Devayat Khavad : ગુજરાતી લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ અવારનવાર પોતાના ડાયરા અને વિવાદને કારણે ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલાં પણ તે ફરી વિવાદમાં આવ્યા હતા. જેમાં પૈસા લઈને ડાયરો કરવા ન આવવાનો આરોપ લગાવી તેમની ગાડી પર તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદ દેવાયત ખવડે વીડિયો શેર કરી પુષ્ટિ કરી હતી કે, ‘મેં ખોટું કર્યું નથી, આયોજક પાસેથી પૈસા લીધા નથી.’ સમગ્ર મામલે દેવાયત ખવડ પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા હતા, પરંતુ ફરિયાદ ન લેવામાં આવતા અંતે ખવડે હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા છે. ખવડે આ મામલે આરોપી વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવા અને મુદ્દામાલ પરત કરવા અંગે પોલીસને નિર્દેશ કરવાને લઈને હાઈકોર્ટમાં અરજી કરી છે.
21 ફેબ્રુઆરીએ દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો. આ પછી સમગ્ર મામલે આયોજક અને દેવાયત ખવડ ચર્ચામાં આવ્યા હતા. જો કે, ગાડી પર હુમલા મામલે દેવાયત ખવડે પોલીસ ફરિયાદ કરવાની પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસ ફરિયાદ નોંધી ન રહી હોવાનો ખવડે દાવો કર્યો હતો. જો કે, સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવા માટે ખવડે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
શું હતી ઘટના?
નોંધનીય છે કે, 21 ફેબ્રુઆરીએ દેવાયત ખવડની કાર પર હુમલો થયા બાદ તેમની કાર ગાયબ થઈ ગઈ હતી. 21 ફેબ્રુઆરીએ અમદાવાદ ગ્રામ્યમાં દેવાયત ખવડે બે પ્રોગ્રામમાં હાજરી આપવાની ડીલ કરી હતી. જોકે, બાદમાં એવી ચર્ચા થઈ કે, સનાથલના પ્રોગ્રામમાં દેવાયતે પૈસા લીધા છતાં તે પ્રોગ્રામમાં હાજર રહ્યો ન હતો. તેથી આયોજકોમાં રોષ હતો અને બીજા દિવસે કાર લેવા પહોંચતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે દેવાયત ખવડે કરી સ્પષ્ટતા
દેવાયત ખવડની ગાડી પર હુમલાને લઈને તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી સમગ્ર વિગત વિશે જણાવ્યું હતું. ‘હાલ એવી ચર્ચા થઈ રહી છે કે, દેવાયત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી આપી અને બીજામાં હાજરી ન આપી. હવે આ બાબતે હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું. કારણ કે, આ વાત તદ્દન ખોટી છે. જે ડાયરામાં મેં હાજરી આપી તે સનાથલમાં તમે આયોજકના સીસીટીવી ચેક કરો. મેં પહેલાં 8 થી 9:30 વાગ્યા સુધી સનાથલમાં હાજરી આપી હતી અને બાદમાં આયોજકની રજા લઈને હું પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો હતો. મેં ખોટું નથી કર્યું કે આયોજક પાસેથી પૈસા નથી લીધા.’