બાળકીનો હત્યારો
અમદાવાદ, ગુરૂવાર
ચાંગોદરમાં આવેલી રસમધુર કંપનીની કંપનીની જગ્યામાં આવેલી ઓરડીમાં છ વર્ષની બાળકીની હત્યા કરવાના મામલે ચાંગોદર પોલીસે સ્નીફર ડોગ અને અન્ય બાતમીને આધારે અંતે આરોપીને ઝડપી લીધો હતો. આરોપીએ ચોંકાવનારી કબુલાત કરી હતી કે તે બાળકીેને દુષ્કર્મના ઇરાદે ઓરડીમાં લઇ ગયો હતો. પરંતુ, તેણે બુમાબુમ કરતા તેણે બાળકીના માથામાં ઇંટના ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ચાંગોદરમાં આવેલી રસમધુર કંપનીની જમીન પર તૈયાર કરવામાં આવેલી પતરાની વસાહતમાં રહેતી ૬ વર્ષની બાળકી ઘરેથી રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ હતી અને મંગળવારે સવારે નજીકમાં આવેલી એક ઓરડીમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં તેને માથામા ગંભીર ઇજા હતી અને કાન કાપવામાં આવ્યો હતો. આ બનાવને ગંભીરતાથી લઇને જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટે ચાંગોદર, એલસીબી, સાણંદ ડીવાયએસપી તેમજ અન્ય સ્ટાફ મળીને ૬૦ જેટલા કર્મચારીઓની સાથે રાખીને છ ટીમ બનાવીને તપાસ શરૂ કરાવી હતી. જેમાં બનાવ સ્થળની આસપાસના ૭૦ જેટલા સીસીટીવી કેેમેરાના ફુટેજ તપાસવાની સાથે નજીકમાં રહેતા ૧૦૦ જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા.
બીજી તરફ પોલીસે સ્નીફર ડોગ ઓરિયોની મદદ લીધી હતી. જેમાં સ્થળ પરથી મળેલી સ્મેલને આધારે તેણે રવિન્દ્ર મોજીસાવ નામના યુવકને ટારગેટમાં લીધો હતો. જેના આધારે પોલીસે સમગ્ર ઘટના સમય દરમિયાન તેની હાજરી અને અન્ય બાબતો અંગે પુછપરછ કરતા તે ભાંગી પડયો હતો.
તેણે કબુલ્યું હતું કે સોમવારે તેણે બાળકીને બિસ્કીટ આપવાનું કહીને દુષ્કર્મના ઇરાદે ઓરડીમાં લઇ ગયો હતો. જ્યાં બાળકીએ બચવા માટે બુમાબુમ કરતા તેણે ફસાઇ જવાના ડરથી બાળકીના માથા પર ઇંટના ઘા મારીને હત્યા કરી હતી. પોેલીસે આ અંગે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.