અમદાવાદ,રવિવાર
માણેક ચોકમાં બુલિયન ટ્રેડીંગ કરતા વેપારી પાસેથી રૂપિયા ૧.૬૦ કરોડની કિંમતનું સોનુ ખરીદવાના નામે રૂપિયા ૧.૩૦ કરોડની ચુકવણી પેટે ૫૦૦ના દરની બનાવટી ચલણી નોટો આપનાર ગઠિયાઓને ઝડપી લેવા માટે પોલીસે અન્ય રાજ્યોમાં તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસે જપ્ત કરેલી નકલી નોટોમાં આરોપીઓએ ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટોગ્રાફ્સ લગાવ્યો હતો. જ્યારે નોટોના બંડલ પર એસબીઆઇ લખેલું હતું. શહેરના પ્રહલાદનગરમાં રહેતા અને માણેક ચોકમાં બુલિયનનો વ્યવસાય કરતા મેહુલભાઇ ઠક્કર પાસેથી રૂપિયા ૧.૬૦ કરોડની કિંમતનું ૨૧૦૦ ગ્રામ ગોલ્ડ ખરીદવાના નામે સીજી રોડ પર આવેલા આનંદમંગલ કોમ્પ્લેક્સમાં પટેલ કાંતિલાલ મદનલાલના નામની બનાવટી આંગડિયા પેઢીની ઓફિસ શરૂ કરીને બે ગઠિયાઓએ સોનાની સામે ૧.૩૦ કરોડની બનાવટી ચલણી નોટો આપી હતી. રૂપિયા ૫૦૦ના દરની આ ચલણી નોટો પર ગાંધીજીનો નહી પણ અનુપમ ખેરનો ફોટો હતો. જેથી પોલીસે આ કેસના આરોપીઓને ઝડપી લેવા માટે બનાવટી ચલણીના પ્રિન્ટીંગની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું છે.
જ્યાં આરોપીઓ અંગે કડી મળવા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આરોપીઓ સરદાર કોમ્યુનીટીના હોવાથી પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે પોલીસને હજુ સુધી કોઇ કડી મળી નથી.