એક તરફ સુપ્રીમ કોર્ટ દ્વારા આશારામને જામીન આપવામાં આવ્યા છે તો બીજી તરફ તેના 3 જ દિવસ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આશારામના યૌન શોષણ કેસના સાક્ષી વૈદ્ય અમૃત પ્રજાપતિના હત્યા કેસમાં સંડોવાયેલ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં બી
.
હજુ 7 આરોપી પોલીસ પકડથી દૂર છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશપલટો કરી આશ્રમમાં પ્રવેશી રેકી કરી બાદમાં આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉ.વ.37)ની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ પોલીસ દ્વારા આ કેસમાં કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જયારે હજુ 7 આરોપી પોલીસ પકડથી દૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મ કેસમાં આસારામને સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે અને 31 માર્ચ, 2025 સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.
પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ક્રાઇમ, રાજકોટ
ક્રાઈમ બ્રાન્ચે વેશપલટો કરી કર્ણાટક આશ્રમથી આરોપીને દબોચ્યો રાજકોટ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 23 મે 2014ના રોજ રાજકોટના પેડક રોડ ઉપર ઓમ શાંતિ આરોગ્ય ધામમાં દર્દીના સ્વાંગમાં આવેલા શાર્પ શૂટરે અમૃત પ્રજાપતિ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં પ્રજાપતિને ગળામાં ગોળી ઘૂસી જતા ગંભીર ઇજા થઇ હતી. પહેલા સ્થાનિક હોસ્પિટલ અને બાદમાં તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ કેસમાં 10 વર્ષ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડી વેશપલટો કરી કર્ણાટક સ્થિત આસારામના આશ્રમમાં રેકી કરી બાદમાં વધુ એક આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉ.વ.37)ની ધરપકડ કરવામાં આવી છે.
મૃતક આસારામની વિરુદ્ધમાં બોલતા હતા મૃતક અમૃત પ્રજાપતિ લાંબા સમયથી આસારામ સાથે સંકળાયેલા હતા. તે વૈદ્ય હોવાથી આસારામના સ્વાસ્થ્યની અંગત કાળજી લેવાની જવાબદારી તેની હતી પરંતુ, મોટેરા આશ્રમમાં કિશોર વયના બે સાધકો દિપેશ-અભિષેકના શંકાસ્પદ અપમૃત્યુ પછી અમૃત પ્રજાપતિએ આસારામ સાથે છેડો ફાડયો હતો અને આસારામની વિરુદ્ધમાં બોલતા હતા. જેથી, તેમનું નામ આસારામના વિરોધીઓના લિસ્ટમાં આવી જતા આસારામના સમર્થક દ્વારા અમૃત પ્રજાપતિની હત્યા માટેનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, હત્યા માટેનો પ્લાન બનાવવામાં આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉ.વ.37)ની ભૂમિકા છે અને હાલ તે કર્ણાટકના કાલા બગુડી જિલ્લામાં આવેલ આશ્રમમાં છે, જેથી પોલીસની ટીમ આશ્રમ ખાતે પહોંચી હતી.
મૃતક અમૃત પ્રજાપતિ
1200 કિલોમીટરનું અંતર કાપી આશ્રમ પર વોચ રાખી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ASI જલદીપસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ સુભાષ ઘોઘારી, વિજયરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુન ડવ અને સંજય ખાખરીયા બે દિવસ પૂર્વે રાજકોટથી નીકળી 1200 કિલોમીટરનું અંતર કાપી કર્ણાટક સ્થિત કાલા બગુડા જિલ્લામાં આવેલ આસારામના આશ્રમ ખાતે પહોંચ્યા હતા. અહીંયા પહોંચી તેઓ પ્રથમ એક દિવસ સાધક બની દર્શન કર્યા હતા અને આરોપી ઉપર વોચ રાખવા શરૂ કરી હતી. એક દિવસની રેકી બાદ આરોપી વિશે ભાળ મળી જતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને સતત નોનસ્ટોપ કર્ણાટકથી પરત રાજકોટ આજે 1200 કિલોમીટર રાજકોટ લાવવામાં આવ્યો છે. આમ કુલ 2400 કિલોમીટર અંતર કાપી 10 વર્ષથી નાસ્તા ફરતા હત્યા ગુનાના આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આસારામની વિરુદ્ધ બોલે તેમનું લિસ્ટ તૈયાર કરી હત્યાનો પ્લાન કરતો પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી આસારામનો પરમ ભક્ત હોવાનું અને અલગ-અલગ આશ્રમમાં ફરતો રહેતો હોવાનું અને સેવા આપતો હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત જે લોકો આસારામની વિરુદ્ધ બોલે તેમનું લિસ્ટ તૈયાર કરી તેમના વિરુદ્ધ હત્યા હત્યાની કોશિશ સહિત ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે જેમાં સુરત ખાતે ઉમરા, અડાજણ અને ખાટોદર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી દ્વારા ભૂતકાળમાં એસિડ એટેક છરી વડે હુમલા જેવા ગંભીર ગુના આચરવામાં આવ્યા છે.
આ કેસમાં પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને હવે ચોથા આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકેની ધરપકડ કરવામાં આવી છે જયારે આ કેસમાં હજુ 7 આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.
અગાઉ અમદાવાદ એટીએસએ શાર્પશૂટરને ઝડપી પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, અમૃત પ્રજાપતિ હત્યા કેસમાં શાર્પશૂટર કાર્તિક ઉર્ફે કાર્તિક બંગાળી ઉર્ફે રાજુ દુલાલચંદ હલદર (ઉ.વ.35)ને અમદાવાદ એટીએસએ ઝડપી પાડ્યો હતો. જેની રાજકોટ CID ક્રાઇમ ટીમ દ્વારા તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું જેમાં તેને સવારે કાર્તિક બીમારીના બહાને ક્લિનિકમાં આવ્યો ત્યારે કયાં કેસ કઢાવ્યો, કેટલીવાર રોકાયો, વૈધ પ્રજાપતિ આવ્યા બાદ તેને મળવા જવાના બદલે તેના પર વોચ રાખી, વૈધ પ્રજાપતિ ક્લિનિકમાં ડોક્ટર રૂમની બહાર નીકળતા હતા ત્યારે કાર્તિક ક્લિનિકની બહાર નીકળ્યો હતો અને બહાર બાઇક પર ઊભેલા તેના સાથીદાર પાસેથી હથિયાર લઇ ફરીથી ક્લિનિકમાં ઘૂસ્યો હતો. ક્લિનિકમાં જઇ પ્રજાપતિ પર કેટલે દૂરથી ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગ કર્યા બાદ દોડીને બહાર નીકળી બાઈકમાં બેસી ભાગ્યો સહિતની ઘટના તેણે વર્ણવી હતી.