Surat Hanuman Jayanti Special : આવતીકાલે (તા.12) શનિવારે હનુમાન જન્મોત્સવની સુરત સહિત સમગ્ર દેશમાં તડામાર તૈયારી થઈ રહી છે. સુરતના વિવિધ મંદિરો સાથે 450 વર્ષ પહેલા શિવાજીના ગુરુએ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી તેવા ડુંભાલ મંદિરમાં પણ ઉજવણી માટે તૈયારી થઈ રહી છે. આ મંદિરમાં હનુમાન જયંતી પહેલા સવા લાખ હનુમાન ચાલીસાના પાઠ લખવામાં આવ્યા હતા. આ ઉપરાંત આવતીકાલે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
હનુમાન જન્મોત્સવ માટે સુરત અનેક હનુમાન મંદિરમાં ઉજવણીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સુરતના ડુંભાલ વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતાથી જ સામુહિક હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવામાં આવ્યા છે. નવરાત્રીથી હનુમાન જયંતી દરમિયાન સવા લાખ હનુમાન ચાલીસાના પાઠ લખવા માટેનો નિર્ણય કરાયો હતો. વધુ માહિતી આપતા મંદિરના જીતુ મહારાજે કહ્યું હતું કે, મંદિર છત્રપતિ શિવાજી મહારાજના ગુરુજીએ 450 વર્ષ પહેલા બનાવ્યું હતું. મંદિરની નીચે એક સુરંગ બનાવવામાં આવી હતી જેનો છેડો તાપી નદીના તટ પર ચોક બજાર ખાતે નીકળતો હતો. આ સુરંગ બંધ છે પરંતુ આજે પણ તેને સાચવીને રાખવામાં આવી છે.
આ મંદિરમાં ભક્તોએ સવા લાખ હનુમાન ચાલીસા લખવા માટેનો નિર્ણય કર્યો હતો પરંતુ આજ સુધીમાં પોણા બે લાખ જેટલી હનુમાન ચાલીસા લખાઈ ગઈ છે. આ હનુમાન ચાલીસા હનુમાનજીની પ્રતિમા આગળ રાખવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે વહેલી સવારથી આ મંદિરમાં હનુમાન જન્મોત્સવ માટેના વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે.