Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સફાઈની ઓછી ગ્રાન્ટનો પ્રશ્ન હવે હલ થવા તરફ જઈ રહ્યો છે. સર્વ શિક્ષા અભિયાન સાથે હવે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની ગ્રાન્ટનો ઉપયોગ પણ સફાઈ માટે કરવા નિર્ણય કરવામા આવ્યો છે. આ પહેલાં શાળાની સફાઈ માટે ચાર હજાર જેટલી રકમ મળતી હતી હવે તે ડબલ થઈ જશે અને આ રકમના ખર્ચ માટેની સત્તા આચાર્યને આપવામાં આવશે. આ રકમ ફાળવવામાં આવ્યા બાદ જો શાળામાં ગંદકી જોવા મળે તો આચાર્યને જવાબદાર ઠેરવવાની વાત સમિતિની સામાન્ય સભામાં કરવામાં આવી હતી.
સુરત સહિત ગુજરાતની સરકારી શાળાઓમાં શાળા-સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી. શિક્ષણમંત્રીના પોતાના શહેર અને વિસ્તારમાં શાળાઓને સાફ-સફાઈ માટે માત્ર 2 થી 4 હજાર રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે. આ પ્રકારની ફરિયાદ લાંબા સમયથી સાંભળવા મળી હતી તેનો હવે અંત આવવા જઈ રહ્યો છે. આ અંગે સમિતિના સભ્ય યશોધર દેસાઈએ જણાવ્યું હતું કે, સર્વે શિક્ષા અભિયાન હેઠળ સુરતની શાળા માટે જે ફંડ આવે છે તે ઓછું છે તેથી શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે ત્રણ થી ચાર હજાર નો ફંડ આપવામાં આવે છે. પરંતુ હવે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીનો જં ફંડ આવશે તેના 80 ટકા રકમ સફાઈની કામગીરી માટે આપવામાં આવશે. બાકીના 20 ટકા રકમ મટીરીયલ્સના ઉપયોગ માટે કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. જેના કારણે હવે સફાઈની રકમ પહેલા કરતા ડબલ થઈ જશે. આ રકમ શાળાને મળવાનુ શરૂ થઈ ગયાં બાદ જો કોઈ શાળામાં ગંદકી જોવા મળશે તો આચાર્ય સામે પગલાં ભરવામાં આવશે.