Surat Govt School: સુરતમાં છેલ્લાં ઘણાં સમયથી રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. રત્ન કલાકારો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. સુરતમાં આર્થિક મંદીથી કારણે અનેક રત્ન કલાકારોની કમર ભાંગી ગઈ છે. એવામાં હવે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે સરકારી શાળામાં બાળકોનો પ્રવેશ કરાવવા વાલીઓની લાઇન લાગી છે.
5000 અરજીઓ આવી
વર્ષ 2025-26 માં સુરતના મોટા વરાછા ઉતરાણ ખાતેની સરકારી શાળામાં 500 બેઠકો માટે આશરે 5000થી વધુ વાલીઓએ એડમિશન માટે અરજી કરી છે. એડમિશન માટે લાઈનમાં ઊભા વાલીઓ કહે છે કે, આજકાલની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ઘણે આગળ વધી ગઈ છે. બાળકોને અભ્યાસક્રમ, ક્વાલિફાઈડ શિક્ષકો, અને વિવિધ સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિઓનો લાભ મળી રહ્યો છે.જ્યાં ખાનગી શાળાઓમાં નર્સરીથી ધોરણ 8 સુધીમાં અંદાજે રૂ. 25,000થી પણ વધુ ફી લેવામાં આવે છે, ત્યાં સરકારી શાળાઓ મફતમાં સંપૂર્ણ શિક્ષણ આપે છે. આ ઉપરાંત, સરકારની વિવિધ યોજનાઓ જેમ કે મિડ-ડે મીલ, સ્કૂલ યુનિફોર્મ, પુસ્તકો અને સ્કૂલ બેગ જેવી સુવિધાઓ પણ મળે છે.
ખાનગી શાળામાં ખર્ચ વધુ થાય છે
એક વાલી અનુજા પટેલ કહે છે કે, મારું બાળક ગયા વર્ષે ખાનગી શાળામાં હતું, પરંતુ ખર્ચ વધુ અને પરિણામ ઓછું મળતાં અમે સરકારી શાળામાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, દર વર્ષે આ શાળામાં પ્રવેશ માટે આટલી લાંબી લાઇન લાગે છે અને વેઇટિંગ લિસ્ટ જાહેર કરવું પડે છે.