સુરતના પીવીએસ શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેમને પ્રદેશ મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની રણનીતિ નક્કી કરવામાં પીવીએસ શર્માનો ખૂબ જ મોટો ભાગ હતો. લોકો આમ આદમી પાર્ટીનો સારી રીતે પરિચય થાય અને સંગઠનાત્મક રીતે મજબૂત થાય
.
પી.વી.એસ શર્માએ રાજીનામું આપ્યું દિવાળી પહેલાં જ ધનતેરસના દિવસે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ગાબડું પડી ગયું છે. પી.વી.એસ શર્મા સુરતના રાજકારણમાં એક જાણીતું નામ છે. ભારતીય જનતા પાર્ટીમાં તેઓ સંગઠનમાં અલગ અલગ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં પરપ્રાંતિય મતદારોમાં ભાજપની છબી સુધારવા માટે તેમણે ખૂબ કામ કર્યું હતું. કોર્પોરેટર રહ્યા બાદ તેઓ સંગઠનમાં ખૂબ સારી રીતે પોતાની ભૂમિકા ભજવતા હતા, પરંતુ આંતરિક વિખવાદને કારણે તેઓએ ભારતીય જનતા પાર્ટીને છોડી દીધી હતી અને ત્યાર બાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જોકે, આજે તેમણે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખી પોતાના રાજીનામાની માહિતી આપી છે. પાર્ટીના સભ્ય પદેથી તેમાં તમામ હોદ્દા ઉપરથી તેમને રાજીનામુ આપી દીધું છે. રાજીનામામાં તેમણે લખ્યું છે કે અંગત કારણોસર પક્ષના પ્રાથમિક સભ્યપદ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. ગુજરાતના લોકોની મારી ક્ષમતા પ્રમાણે સેવા કરવાની તમે આપેલી તકો બદલ તમારો હૃદયપૂર્વક આભાર.
પાર્ટીનું કોઈ ભવિષ્ય દેખાતું નથી પી.વી.એસ શર્માએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી છોડીને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો, પરંતુ પ્રવેશ્યા પછી આગળ કેવી રીતે કામ કરવું તેની કોઈ ચોક્કસ દિશા દેખાતી ન હતી. મેં ઘણા પ્રયાસો કર્યા મનથી અને આર્થિક રીતે પણ પાર્ટી માટે ઘણું આપ્યું છે, પરંતુ મેં જેવી કલ્પના કરી હતી તે પ્રકારની સ્થિતિ ઊભી થતી મને દેખાતી નથી. જોકે, મેં ઘણા દિવસ પહેલાંથી નક્કી કર્યું હતું કે, ધનતેરસના દિવસે જ પાર્ટીને છોડી દઈશ અને તે પ્રમાણે આજે મેં મારી પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની મારી કોઈ ઈચ્છા નથી અને તે દિશામાં હું વિચારતો પણ નથી. આગળ રાજકીય રીતે મારે આગળ વધુ કે કેમ તે અંગે પણ હું વિચાર્યા બાદ નિર્ણય લઈશ.
ભાજપમાં પ્રવેશશે કે કેમ તેના પર સૌની નજર પીવીએસ શર્મા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાની સાથે જ તેઓ ભાજપમાં જોડાઈ જશે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણ કે મૂળ તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રહ્યા છે અને સંગઠનમાં પણ તેમણે કામ કર્યું છે, પરંતુ જે દિગ્ગજ નેતાઓ સાથે તેમને વૈચારિક મનભેર થયા હતા અને ત્યારબાદના જે ક્રમશઃ ઘટનાક્રમ હતો તેને જોતા હવે તેવો ફરીથી ભાજપમાં જોડાશે કે કેમ તેને લઈને પણ અનેક પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે, પરંતુ જો તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો પણ કંઈ નવાઈની વાત નથી. કારણ કે ઘણા રાજકારણીઓએ પોતાને અન્ય પાર્ટીમાં જવાના સ્પષ્ટ શબ્દોમાં ના કયા બાદ પણ તેઓ પ્રવેશ્યા છે, પરંતુ હાલ તો પીવીએસ શર્માએ કોઈપણ રાજકીય પાર્ટીમાં જવાનો નથી એ પ્રકારની વાત કરી છે. હવે ભાજપ તેમનો સંપર્ક કરીને પોતાની પાર્ટીમાં પરત લાવે છે કે, કેમ તેના ઉપર પણ ઘણી ચર્ચા થશે.