image : Social media
Vadodara Fire Safety : ઉનાળાની ઋતુમાં ઈલેક્ટ્રીક લોડના કારણે આગની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફાયર બ્રિગેડમાં મળેલી બેઠકમાં આગના બનાવો અંગે એક્શન પ્લાન બનાવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જે અંગે ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આગની બનતી ઘટનાઓના મામલે 300થી વધુ હાયરાઇઝ બિલ્ડિંગમાં ચેકિંગ કર્યું છે અને 50થી વધુ મિલકતધારકોને નોટિસ બજાવવામાં આવી છે.
ઉનાળાની ઋતુ શરૂ થતા એસી સહિતના વીજળીના ઉપકરણોના વધતા ઉપયોગના પગલે ઈલેક્ટ્રિકનો વપરાશ વધી ગયો છે. જેથી ઘણીવાર ઈલેક્ટ્રિક લોડના કારણે છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં ડીપી તથા અન્ય જગ્યાએ આગ લાગવાના સંખ્યાબંધ બનાવ બન્યા છે. આજે ફાયર બ્રિગેડમાં આગની ઘટના અંગે એક બેઠક મળી હતી. જેમાં આગામી દિવસોમાં આ અંગે શું પગલાં લઈ શકાય? તે અંગે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે તેમાં ચર્ચા થઈ હતી. ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, વડોદરામાં જે હાઇરાઇઝ બિલ્ડિંગમાં છે તેમાં 300થી વધુ બિલ્ડીંગો ખાતે ફાયર બ્રિગેડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે અને જરૂરી તકેદારી ન લેવાય હોય તેવી 50થી વધુ બિલ્ડીંગોને નોટિસ બચાવવામાં આવી છે. નોટિસ એસએસજી હોસ્પિટલના રેસીડન્ટ બિલ્ડીંગ, સરદાર સરોવરની મિલકત સહિતના મિલકતનો સમાવેશ થાય છે. સયાજી હોસ્પિટલના રેસીડેન્સ બિલ્ડિંગમાં ફાયર એનઓસી એક્સપાયર થઈ ગઈ હોવાથી નોટિસ બજાવવામાં આવી છે. ત્યારે એસએસજીના સત્તાધીશો દ્વારા આ અંગે એનઓસીની જરૂરી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ ફાયર બ્રિગેડને આશ્વાસન આપવામાં આવ્યું છે. આ તબક્કે ઓફિસરે એમ પણ જણાવ્યું કે, શહેરમાં જે પ્લાસ્ટિકના ગોડાઉન આવેલા છે ત્યાં પણ જરૂર જણાશે ત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવશે.