Kirtidan Gadhvi On Vikram Thakor : ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો હતો. જ્યારે વિક્રમ ઠાકોરની નારાજગી પર રાજભા ગઢવી બાદ કીર્તિદાન ગઢવી પ્રતિક્રિયા આપી હતી.
વિક્રમ ઠાકોરની નારાજગી પર કીર્તિદાન ગઢવીએ શું કહ્યું?
વિક્રમ ઠાકોરની નારાજગી પર કીર્તિદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, ‘વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે. કલાકારોની કોઈ જ્ઞાતિ ધર્મ હોતો નથી, કલા એજ એમની જ્ઞાતિ અને ધર્મ છે. વિધાનસભામાં કોઈને કોઈ આમંત્રણ નહોતું. સહજ આમંત્રણ ના આધારે બધા કલાકારો વિધાનસભા પહોંચ્યા હતા. ‘
રાજભા ગઢવીએ શું કહ્યું?
વિક્રમ ઠાકોરની નારજગી પર રાજભા ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. રાજભાએ જણાવ્યું કે, ‘કલાકારોનો કોઈ સમાજ હોતો નથી. તમામ કલાકારો એક જ હોય છે. આ બાબતે કોઈ વિવાદ ન થવો જોઈએ.’
તો વિક્રમ ઠાકરોની નારાજગી પર ભાજપ સાંસ્કૃતિક સેલે પણ સ્પષ્ટતા કરી છે. અને કહ્યું છે કે ‘આ કોઈ સરકારનો કાર્યક્રમ ન હતો, વ્યક્તિગત સબંધમાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું’.
શું હતો સમગ્ર મામલો?
ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. વિક્રમ ઠાકોરે કહ્યું કે, ‘મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો. ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માંગું છું સરકારને કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, હું અભિનંદન પાછવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું. પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા….’