- Gujarati News
- International
- Action On Day After S. Jaishankar’s Visit To Iran, Missile drone Attack In Balochistan; PAK Said This Will Have Serious Consequences
તેહરાન/ઇસ્લામાબાદ47 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાન પર ઈરાને એરસ્ટ્રાઈક કરતાં વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. ઈરાને મંગળવારે રાત્રે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુન્ની આતંકવાદી સંગઠન ‘જૈશ-અલ-અદલ’ના અડ્ડાઓ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ માહિતી ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAએ આપી છે. ખાસ વાત એ છે કે માહિતી આપ્યાના થોડા સમય બાદ ન્યૂઝ એજન્સીએ આ સમાચાર પોતાના પોર્ટલ પરથી હટાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સોમ-મંગળવારે ઈરાનમાં જ હતા. તેમની મુલાકાત બાદ તરત ઈરાને પાકિસ્તાન પર હુમલો કર્યો છે એટલે આ મુદ્દો પણ વૈશ્વિર સ્તરે ચર્ચામાં આવી ગયો છે.
આ પછી, આ મામલે પહેલી પ્રતિક્રિયા રાત્રે લગભગ 2 વાગ્યે પાકિસ્તાન તરફથી આવી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું- ઈરાને અમારી એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. આ દરમિયાન બે બાળકોનાં મોત થયાં હતા, જ્યારે ત્રણ છોકરીઓ ઘાયલ થઈ હતી. ઈરાનને આના ગંભીર પરિણામો ભોગવવા પડશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનું આ નિવેદન મંગળવાર અને બુધવારે રાત્રે લગભગ 2 વાગ્યે બહાર પાડવામાં આવ્યું હતું.
પાકિસ્તાનની ધમકી – ગંભીર પરિણામો આવશે
પાકિસ્તાને આગળ કહ્યું- ઈરાનનું આ પગલું વધુ પરેશાન કરનારું છે કારણ કે બંને દેશો વચ્ચે વાતચીતના ઘણા માધ્યમો છે. અમે તેહરાનમાં ઈરાન સરકારનો સંપર્ક કર્યો છે અને તેમને અમારી સ્થિતિ જણાવી છે.
ઈરાનના રાજદ્વારીને પણ બોલાવવામાં આવ્યા છે. અમે હંમેશા કહ્યું છે કે આતંકવાદ સમગ્ર વિશ્વ માટે ખતરો છે અને તેની સાથે મળીને સામનો કરવો પડશે. પરંતુ, આવી એકતરફી કાર્યવાહી ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને બગાડશે.
ઈરાની મીડિયા અનુસાર, પાકિસ્તાનનો જે વિસ્તાર જ્યાં હુમલો થયો છે તેને ગ્રીન માઉન્ટેન તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં આ મામલે પાકિસ્તાની સેના તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
હુમલાનું કારણ શું છે?
ઈરાન શિયા બહુમતી ધરાવતો દેશ છે, જ્યારે પાકિસ્તાનમાં લગભગ 95% લોકો સુન્ની છે. પાકિસ્તાનના સુન્ની સંગઠનો ઈરાનનો વિરોધ કરી રહ્યા છે. આ સિવાય બલૂચિસ્તાનનું જૈશ-અલ-અદલ આતંકવાદી સંગઠન ઈરાનની સરહદમાં ઘૂસીને ત્યાંની સેના પર અનેકવાર હુમલા કરી રહ્યું છે. ઈરાનની સેનાને રિવોલ્યુશનરી ગાર્ડ કહેવામાં આવે છે. ઈરાન સરકાર આતંકવાદી સંગઠનોને અંકુશમાં લેવા પાકિસ્તાનને ઘણી વખત ચેતવણી આપી ચૂકી છે.
ઈરાનની સમાચાર એજન્સી તસ્નીમે પોતાની વેબસાઈટ પર પાકિસ્તાન પર હુમલાના આ સમાચાર આપ્યા છે.
ઈરાન-પાકિસ્તાન ઈઝરાયલ સાથેના યુદ્ધમાં હમાસને ટેકો આપે છે
જૈશ અલ-અદલના મોટાભાગના આતંકવાદીઓ અન્ય પાકિસ્તાની આતંકવાદી સંગઠનોમાંથી આવ્યા છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ઈરાન ખુલ્લેઆમ હમાસનું સમર્થન કરી રહ્યું છે અને પાકિસ્તાન પણ આ મામલે હમાસનું સમર્થન કરી રહ્યું છે.
ઈરાને સોમવારે પણ ઈરાક પર હુમલો કર્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદનું ઈરાકમાં હેડક્વાર્ટર છે અને તેને નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાકે ઈરાનના રાજદૂતને બોલાવીને તેને પોતાના દેશ પર હુમલો ગણાવ્યો હતો. બાદમાં ઈરાકી સેનાએ કહ્યું કે આ હુમલાનો યોગ્ય સમયે જવાબ આપવામાં આવશે.
ઈરાન બોર્ડરથી પાકિસ્તાનમાં તેલની દાણચોરી થાય છે. આના કારણે ઈરાન સરકારને નુકસાન થાય છે. ઈરાન અને પાકિસ્તાન વચ્ચે તણાવનું એક કારણ દાણચોરી પણ છે. (ફાઈલ)
આતંકી હુમલામાં ઈરાનના 8 સૈનિકો માર્યા ગયા હતા
2015માં પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સંબંધો ખરાબ થઈ ગયા હતા. ત્યારપછી પાકિસ્તાનથી ઈરાની વિસ્તારમાં ઘૂસેલા સુન્ની આતંકવાદીઓ સાથેની અથડામણમાં આઠ ઈરાની સૈનિકો માર્યા ગયા હતા. આ આતંકીઓ પણ જૈશ અલ અદાલના હતા. ત્યારે ઈરાન સરકારે કહ્યું હતું કે- અમારી સરહદ પર તૈનાત સૈનિકોની પાકિસ્તાનથી ઘૂસેલા આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. અમારા આઠ જવાનો શહીદ થયા. અમે ચોક્કસપણે આ મામલે વળતી કાર્યવાહી કરીશું.
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સુન્નીઓની વસ્તી વધુ છે અને તેના આતંકવાદીઓ શિયા દેશ ઈરાનના સૈનિકો પર વારંવાર હુમલા કરે છે. જેના કારણે પાકિસ્તાન-ઈરાન બોર્ડર પર તણાવની સ્થિતિ છે.
ઈરાને 2021માં પણ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી
2021ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાની સેનાના કમાન્ડો 2 ફેબ્રુઆરી 2021ની રાત્રે પાકિસ્તાનમાં ઘૂસી ગયા હતા અને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. વાસ્તવમાં જૈશ-અલ-અદલે ઈરાનના બે સૈનિકોનું અપહરણ કર્યું હતું. તેમને બચાવવા માટે કમાન્ડોએ ઓપરેશન હાથ ધર્યું હતું.
ઈરાને આ કાર્યવાહી અંગે પાકિસ્તાની સેનાને કોઈ આગોતરી માહિતી આપી ન હતી. 3 ફેબ્રુઆરીના રોજ, ઈરાની સૈનિકોએ તેમના મિશનને સફળ જાહેર કર્યું અને તેમના સાથીઓને બચાવવાની માહિતી આપી.
ઈરાન ત્રીજો દેશ છે જેણે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ઈરાન પહેલાં અમેરિકાએ 2011માં પાકિસ્તાનમાં અને સપ્ટેમ્બર 2016માં ભારતમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. – ફાઇલ ફોટો
જૈશ અલ-અદલે ફેબ્રુઆરી 2019માં આ જ વિસ્તારમાં ઈરાની સૈનિકોની બસ પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા ઈરાની સૈનિકો માર્યા ગયા અને ડઝનબંધ ઘાયલ થયા. ઓક્ટોબર 2018માં આ આતંકી સંગઠને 14 ઈરાની સૈનિકોનું અપહરણ કર્યું હતું. આ ઘટના ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતની મિર્ઝાવેહ બોર્ડર પર થઈ હતી. જેમાંથી 5 સૈનિકોને એક મહિના બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.
કહેવાય છે કે બાદમાં એક ગુપ્ત ઓપરેશનમાં ઈરાની કમાન્ડોએ ન માત્ર આ જવાનોને બચાવ્યા પરંતુ જૈશ અલ-અદલના ઘણા આતંકવાદીઓને પણ માર્યા. પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂતે પણ આ વાતની પુષ્ટિ કરી હતી.
વિદેશ મંત્રી જયશંકર ઈરાનમાં હતા
ઈઝરાયેલ-હમાસ અને રશિયા-યુક્રેનને કારણે જિયોપોલિટિક્સ ઝડપથી બદલાઈ રહ્યું છે. યમનના હુતી વિદ્રોહીઓ અને લેબનોનનું આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ બંને સંગઠનોને ઈરાનની કઠપૂતળી માનવામાં આવે છે. હુતી વિદ્રોહીઓ રાતા સમુદ્રમાં વિશ્વના તમામ દેશોના માલવાહક જહાજોને નિશાન બનાવી રહ્યા છે.
વિદેશ મંત્રી એસ જયશંકર સોમવાર અને મંગળવારે ઈરાનમાં હતા.
આ જિયોપોલિટિક્સમાં ભારતના હિતોને ધ્યાનમાં રાખીને, અમારા વિદેશ પ્રધાન એસ જયશંકર સોમવાર અને મંગળવારે ઈરાનના પ્રવાસે હતા. દરમિયાન, એક મીડિયા આઉટલેટે અહેવાલ આપ્યો કે હુથી બળવાખોરો ફક્ત પશ્ચિમી દેશોના માલવાહક જહાજોને નિશાન બનાવી રહ્યા છે અને ભારત તેમનું સીધુ લક્ષ્ય નથી.
ન્યૂઝ 18એ એક ગુપ્તચર અહેવાલના આધારે આ દાવો કર્યો છે. આ મુજબ ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) અથવા સેના અને હિઝબુલ્લાહ મળીને હુથી બળવાખોરોને તાલીમ આપે છે.
તેઓ જહાજો દ્વારા હુથી બળવાખોરોને ડ્રોન, બેલિસ્ટિક મિસાઇલો અને અન્ય શસ્ત્રો પણ પહોંચાડે છે. રિપોર્ટ અનુસાર, ચીન તેમને ફેક્ટરીઓ બનાવવા, હથિયારોના ભાગોની દાણચોરી અને ઘણી બાબતોમાં સલાહ આપવામાં મદદ કરે છે. બીજી તરફ ઈરાન ભારતને પશ્ચિમી દેશો સામે સાથી તરીકે જુએ છે.