લદ્દાખ4 કલાક પેહલા
- કૉપી લિંક
લદ્દાખમાં કેટલાક ભારતીય ગોવાળિયાઓએ ચીનની સરહદ નજીક ચીની સૈનિકોને જવાબ આપ્યો. આ ગોવાળિયા આ વિસ્તારમાં ઘેટાં ચરાવવા આવ્યા હતા. ચીની સૈનિકોએ તેમને રોક્યા, ત્યાર બાદ ગોવાળોએ કહ્યું, અમે ભારતીય જમીન પર ઊભા છીએ. આ ઘટના આ મહિનાની શરૂઆતમાં બની હોવાનું કહેવાય છે.
2020માં ગલવાન સંઘર્ષ પછી સ્થાનિક ગોવાળો તેમનાં ઢોરને ચરાવવા માટે આ વિસ્તારમાં લાવ્યા ન હતા. ગલવાન વિવાદ પછી આ પ્રથમ વખત છે જ્યારે પશુપાલકોએ આ વિસ્તારને પોતાનો હોવાનો દાવો કર્યો હતો અને ચીની સૈનિકોને ત્યાંથી જવા કહ્યું હતું. આ વાતચીતનો વીડિયો સામે આવ્યો છે.
પૂર્વ લદ્દાખના ચુશુલના કાઉન્સિલર કોંચોક સ્ટેનજિને આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે જુઓ કે કેવી રીતે અમારા સ્થાનિક લોકોએ ચીની સેનાની સામે તેમની બહાદુરી બતાવી અને દાવો કર્યો કે જે વિસ્તારમાં તેમને પ્રવેશતા રોકવામાં આવી રહ્યા છે એ અમારી ભૂમિ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ચીની સેના અમારા લોકોને તેમની પોતાની જમીન પર ઢોર ચરાવવાથી રોકી રહી છે. હું તે લોકોને સલામ કરું છું, જેઓ હંમેશાં આપણી ભૂમિની રક્ષા માટે દેશના બીજા રક્ષક દળ તરીકે ઊભા રહે છે.
કોંચોકે કહ્યું- હું ભારતીય સેનાનો આભારી છું
અન્ય એક ટ્વીટમાં કોંચોકે લખ્યું છે કે ભારતીય સેનાના ફાયર ફ્યુરી કોર્પ્સે પૂર્વી લદ્દાખના સરહદી વિસ્તારોમાં સકારાત્મક ફેરફારો કર્યા છે, જે જોઈને આનંદ થાય છે. સેનાએ અમારા પશુપાલકો અને બંજારાઓને પેંગોંગ તળાવના ઉત્તરી કાંઠાને અડીને આવેલી ગોચર જમીન પર અધિકાર મેળવવામાં મદદ કરી છે. મજબૂત સૈન્ય-નાગરિક સંબંધો બનાવવા અને સરહદી વિસ્તારોના લોકોનાં હિતોનું ધ્યાન રાખવા માટે હું ભારતીય સેનાનો આભારી છું.
15 જૂન, 2020ના રોજ ગલવાનમાં ભારત અને ચીન વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો
2020માં ચીને પૂર્વ લદ્દાખના સરહદી વિસ્તારોમાં કવાયતના બહાને સૈનિકો તહેનાત કર્યા હતા. ત્યાર બાદ આ વિસ્તારમાં ઘણી જગ્યાએ ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી, જેના જવાબમાં ભારતીય સેનાએ પણ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈનિકોને તહેનાત કર્યા હતા.
આ દરમિયાન 15 જૂને ગલવાન ઘાટીમાં ચીની સેના સાથેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.
2020માં જ્યારે બંને દેશોની સેનાઓ વચ્ચે તણાવ વધ્યો ત્યારે ભારત અને ચીને પેટ્રોલિંગ પોઈન્ટ-15 નજીક તેમના સૈનિકો તહેનાત કર્યા હતા.