શ્રીનગર17 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભા ચૂંટણી 2024ની પહેલા I.N.D.I.A. ગઠબંધનથી બીજી એક પાર્ટીએ અંતર બનાવી લીધુ છે. જમ્મુ-કાશ્મીરની પાર્ટી નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ ગુરુવારે (15 ફેબ્રુઆરી) કહ્યું કે પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડશે. આ પહેલા દિલ્હી-પંજાબમાં AAP અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
શ્રીનગરના સાંસદ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે થઈ શકે છે. ખેડૂતોના આંદોલન પર તેમણે કહ્યું- અગાઉના ખેડૂતોના આંદોલનમાં લગભગ 750 ખેડૂતોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી, યુપી ચૂંટણી પહેલા, કેન્દ્રએ ત્રણેય ખેડૂત બિલ પાછા ખેંચી લીધા હતા.
જમ્મુ-કાશ્મીરમાં હવે 5 લોકસભા સીટો
2019માં કલમ 370 હટાવ્યા પછી, સરકારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું. વિભાજન પહેલા જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની 6 બેઠકો હતી. વિભાજન પછી, જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની 5 અને લદ્દાખમાં 2 બેઠકો છે.
AAPએ દિલ્હી-પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને સીએમ અરવિંદ કેજરીવાલે 11 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે દિલ્હીના લોકોએ સાતેય લોકસભા બેઠકો AAPને આપવાનું મન બનાવી લીધુ છે.
જો સૂત્રોનું માનીએ તો, દિલ્હી માટે I.N.D.I.A.નો એક ભાગ કોંગ્રેસ અને AAP બેઠકોની વહેંચણી માટે 4:3 ફોર્મ્યુલા પર ચર્ચા કરી રહ્યા હતા. એવી અટકળો હતી કે કોંગ્રેસ ચાર બેઠકો પર અને AAP ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે. 2019માં ભાજપે તમામ સાત લોકસભા બેઠકો જીતી હતી.
કેજરીવાલે પંજાબ અને ચંડીગઢમાં કોંગ્રેસ સાથે સીટ વહેંચણીનો પણ ઇનકાર કર્યો હતો. પંજાબના લુધિયાણામાં કેજરીવાલે કહ્યું હતું – AAP પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે. 2 મહિના પછી લોકસભાની ચૂંટણી છે. પંજાબમાં 13 અને ચંડીગઢમાં એક સીટ છે. આ 14 બેઠકો માટેના ઉમેદવારો આગામી 14-15 દિવસમાં જાહેર કરવામાં આવશે.
મમતા બંગાળમાં પણ એકલા હાથે ચૂંટણી લડશે
આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. મમતા પણ પોતાને I.N.D.I.A.નો ભાગ ગણાવે છે. જો કે, તેમણે એકલા ચૂંટણી લડવાના નિર્ણય માટે કોંગ્રેસ સાથે બેઠક વહેંચણીની વાટાઘાટોની નિષ્ફળતાને ટાંકી હતી.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પહેલાથી જ અલગ થઈ ગયા છે. તેઓ I.N.D.I.A.ના સંયોજક હતા. તેમણે જ ભાજપ વિરુદ્ધ તમામ વિપક્ષી પાર્ટીઓને એક કરી હતી. જો કે, તેઓ પોતે 28 જાન્યુઆરીએ એનડીએમાં જોડાયા હતા અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી.
ઉદ્ધવ ઠાકરેએ 5 ફેબ્રુઆરીએ કહ્યું, ‘હું મોદીજીને કહેવા માંગુ છું કે અમે ક્યારેય તમારા દુશ્મન નહોતા. આજે પણ આપણે દુશ્મન નથી. અમે તમારી સાથે હતા. અમે ગઇ ચૂંટણીમાં તમારા માટે પ્રચાર કર્યો હતો.
નીતીશ કુમાર અને ભાજપના ગઠબંધન બાદ ઉદ્ધવનો સૂર પણ બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 10 દિવસમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ને 4 મોટા ઝટકા લાગ્યા છે, પાંચમો ઝટકો ઉદ્ધવ ઠાકરેએ મોદીના વખાણ કરીને આપ્યો છે.