(જી. એન. એસ) તા. 7
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત માઇસ ઇન્ડસ્ટ્રી માટે બેસ્ટ ચોઇસના રૂપમાં સ્થાપિત થયું છે
બે દાયકાથી વાઇબ્રન્ટ સમિટની સફળતાએ વિશ્વકક્ષાના આયોજનો પાર પાડવાની ગુજરાતની ક્ષમતા ઉજાગર કરી છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ-૨૦૨૪ના પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે આયોજિત ૧૪મી કન્વેન્શન્સ ઇન્ડિયા કોન્ક્લેવ-૨૦૨૩નો પ્રારંભ કરાવતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટની સફળતાએ વિશ્વકક્ષાના આયોજનો સુપેરે પાર પાડવાની ગુજરાતની ક્ષમતા ઉજાગર કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ભારત હવે વર્લ્ડ વાઇડ માઇસ ડેસ્ટિનેશનના રૂપમાં તૈયાર થઈ રહ્યું છે અને ગુજરાતમાં માઇસ ઇન્ડસ્ટ્રી માટે બેસ્ટ ચોઈસ બનવા સજ્જ છે.
આ ૧૪મી કન્વેન્શન્સ ઇન્ડિયા કોન્ક્લેવનું ત્રિ-દિવસીય આયોજન રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયના ઇન્ડિયા કન્વેન્શન્સ પ્રમોશન બ્યુરોના સહયોગથી કર્યું છે.
આ કોન્ક્લેવમાં ડેલિગેટ્સ, એક્ઝિબિટર્સ અને બાયર્સ મળી ૪૦૦થી વધુ લોકો સહભાગી થઈને B2B મીટિંગ્સ અને કોન્ફરન્સ કરવાના છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસન ક્ષેત્રમાં ૪૦ ટકાથી વધુ આવક માઇસ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રોજગાર સર્જન, સ્થાનિક અર્થતંત્ર પર વ્યાપક લાભદાય અસરો વગેરે માટે આ ઇન્ડસ્ટ્રીમાં મોટો અવકાશ રહેલો છે અને તેના પર ધ્યાન આપવું પણ આવશ્યક છે.
તેમણે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ભારતે G20 ની પ્રેસિડેન્સી કરી તેમાં ગુજરાતે ૧૭ જેટલા ઇવેન્ટ્સના આયોજન સફળતાથી પૂર્ણ કર્યા તેની પણ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, ગુજરાતમાં એડવેન્ચર ટુરીઝમ, હેરિટેજ ટુરીઝમ, રિલીજિયસ ટુરીઝમ ફૂલ્યા ફાલ્યા છે અને હવે કોન્ફરન્સ ટુરીઝમ તરફ ગુજરાત આગળ વધ્યું છે.
મહાત્મા મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ અને ટેન્ટ સિટી વગેરે સ્થળો પ્રવાસન સાથે નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સના આયોજન માટે પણ બેસ્ટ ડેસ્ટિનેશન બન્યા છે એમ તેમણે જણાવ્યું હતું.
આ કોન્ક્લેવ ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમીના સંકલ્પને સાકાર કરવા માટે સસ્ટેઇનેબલ માઇસ એમ્પાવરીંગની થીમ સાથે યોજાઇ રહી છે તે વિકસિત ભારત@૨૦૪૭માં નવું બળ પૂરું પાડશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
ગુજરાતમાં માઇસ ઇન્ડસ્ટ્રીઝને નવી ગતિ અને દિશા આપવા આ કોન્ક્લેવ દરમિયાન વિવિધ MoU પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઇ બેરાએ કહ્યું કે, વિશ્વના પ્રવાસીઓ માટે ગુજરાત હોટ ફેવરિટ ડેસ્ટીનેશન બન્યું છે. ગુજરાતમાં હેરિટેજ સ્થળો, પ્રાગઐતિહાસિક વિરાસતો, તીર્થસ્થાનો, યાત્રાધામો અને સફેદ રણ જેવા વિવિધ કુદરતી સૌંદર્ય સ્થળોનો ખજાનો રહેલો છે. ઉપરાંત, ગુજરાતના પર્વતો, જંગલો, દરિયાકિનારા અને રણ પ્રદેશ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યા છે.
મંત્રી શ્રી બેરાએ ઉમેર્યું કે, તાજેતરમાં જ કચ્છના ધોરડોને યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝશન દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’નો એવોર્ડ પ્રાપ્ત થયો છે. વિશ્વના પ્રવાસીઓના પ્રવાસ અનુભવને અભૂતપૂર્વ બાનાવવા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
મંત્રી શ્રી બેરાએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત પ્રવાસન નિગમ એડવેન્ચર, વાઇલ્ડલાઇફ, MICE, મેડિકલ, વેલનેસ અને રિવર ક્રૂઝ ટુરિઝમ જેવા વિવિધ પ્રકારના ટુરિઝમને પ્રોત્સાહિત કરી રહ્યું છે. આજે ગુજરાતમાં MICE ટુરિઝમ એટલે કે મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન આયોજિત કરવા માટેના પ્રવાસનને વેગ મળી રહ્યો છે.
મંત્રી શ્રી બેરાએ વધુમાં જણાવ્યું કે, આ કોન્ક્લેવ એક એક્સક્લુઝિવ MICE ઇવેન્ટ છે, જે ભારતીય MICE ઇન્ડસ્ટ્રીના સપ્લાયરો સહિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મીટિંગના આયોજકોને એક પ્લેટફોર્મ પર એકસાથે લઇ આવશે. ગુજરાતની પ્રવાસન નીતિ સસ્ટેનેબલ ટુરિઝમ પર ભાર મૂકે છે અને આ કોન્ક્લેવ પણ સસ્ટેનેબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કોન્ક્લેવનો ઉદ્દેશ ગુજરાતમાં સ્થિત MICE ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રદર્શિત કરવાનો છે, જેથી વધુને વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કોન્ફરન્સને ગુજરાતમાં આકર્ષિત કરી શકાય અને તેના દ્વારા ગુજરાતને ભારતના MICE નકશા પર નિશ્ચિત સ્થાન આપી શકાય.
પ્રવાસન સચિવ શ્રી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા પ્રવાસન પથ, ટુરિઝમ યર સહિતના વિવિધ પ્રયાસો કર્યા, તેના પરિણામે જ ગુજરાત આજે દેશનું પ્રવાસન કેન્દ્ર બન્યું છે. આજે વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાત પ્રથમ પસંદગી છે, જ્યારે ડોમેસ્ટિક પ્રવાસનમાં પણ ગુજરાત દેશમાં પ્રથમ પાંચમા સ્થાન ધરાવે છે. ગુજરાતની અનોખી સાંસ્કૃતિક વિરાસત દર વર્ષે અનેક પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરે છે.
તેમણે ઉમેર્યું કે, છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં ડિફેન્સ એક્સ્પો, જી-૨૦, આઇપીએલ, ક્રિકેટ વર્લ્ડ કપ અને વાઇબ્રન્ટ સમિટ સહિતની અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન થયું છે. દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતું ગુજરાત હવે MICE ક્ષેત્રે પણ ધ્યાન કેન્દ્રિત કરી આ ક્ષેત્રે પણ અગ્રણી બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ વિશ્વની મહત્વની ઇવેન્ટ્સ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં આવે તે માટે પણ પ્રયત્નો કરશે.
ઇન્ડિયા કન્વેન્શન્સ પ્રમોશન બ્યુરોના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અમરેશ તિવારીએ ICPBની ભૂમિકા વિશે સૌને માહિતગાર કર્યા હતા. સાથે જ તેમણે વૈશ્વિક સ્તરે MICE એટલે કે મીટિંગ્સ, ઈન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને પ્રદર્શન ક્ષેત્રની પ્રવર્તમાન પરિસ્થિતિ અને આ ક્ષેત્રની ક્ષમતા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે MICE એ ૮૦૦ બિલિયન ડોલર ઇન્ડસ્ટ્રી છે, પરંતુ તેમાં ભારતનું યોગદાન એક ટકા કરતાં પણ ઓછું છે. એટલા માટે જ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારતમાં MICE ક્ષેત્રનો વિકાસ કરવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેના માટે કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા “India as a MICE Destination” કેમ્પેઇન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં TCGL અને ICPB એ ઇન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફયુઝન એન્ડ ઇમ્યુનોહેમેટોલોજી, ઇન્ડિયન એન્ડોડોન્ટિક સોસાયટી, એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયા તેમજ ફાયર સિક્યુરિટી એસોસિએશન ઓફ ઇન્ડિયા સાથે રાષ્ટ્રીય એમઓયુ તથા ઇન્ટરનેશનલ કોંગ્રેસ એન્ડ કન્વેન્શન્સ એસોસીએશન સાથે આંતરરાષ્ટ્રીય એમઓયુ સાઇન થયા હતા.
આ પ્રસંગે ઇન્ડિયા કન્વેન્શન્સ પ્રમોશન બ્યૂરો અને ટુરિઝમ કૉર્પોરેશન ઓફ ગુજરાતના અધિકારીઓ, MICE સેક્ટરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.