3 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિગ્ગજ એક્ટ્રેસ ઝીનત અમાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. થોડા દિવસ પહેલાં જ તેણે એક પોસ્ટ શેર કરી રિલેશનશિપની સલાહ આપી હતી. એક્ટ્રેસે લગ્ન પહેલાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની સલાહ આપી હતી. હવે દિગ્ગજ એક્ટ્રેસ મુમતાઝે તેની પોસ્ટ પર નિશાન સાધ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સંબંધો અંગે સલાહ આપનાર છેલ્લી વ્યક્તિ ઝીનત અમાન હોવી જોઈએ. કારણ કે તેનું પોતાનું લગ્ન જીવન ‘નર્ક’ રહ્યું છે. મુમતાઝે એમ પણ કહ્યું હતું કે ઝીનત આવી સલાહ આપીને કૂલ આંટી બનવાનો પ્રયાસ કરી રહી છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ વધારવા માગે છે.
હવે સાયરા બાનુએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. દિવંગત અભિનેતા દિલીપ કુમારની પત્ની સાયરાએ કહ્યું છે કે તે લિવ-ઈન રિલેશનશિપને સપોર્ટ કરતી નથી.
‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ સાથે વાત કરતા સાયરા બાનુએ કહ્યું- હું સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી, તેથી હું તેના વિશે વધારે વાંચતી નથી. મુમતાઝ અને ઝીનત જે કહે છે તે હું ફોલો કરતી નથી કે માનતી નથી. અમે ઘણા જૂના જમાનાના લોકો છીએ. અમારો ટ્રેન્ડ 40-50 વર્ષ પહેલાંનો છે.
સાયરા બાનુ લિવ-ઈન રિલેશનશિપને સપોર્ટ કરતી નથી
સાયરા બાનુએ એમ પણ કહ્યું કે તે લિવ-ઈન રિલેશનશિપને બિલકુલ સપોર્ટ કરતી નથી. તેમને કહ્યું- હું આ સાથે ક્યારેય સહમત નહીં થઈ શકું. હું ક્યારેય આની હિમાયત કરીશ નહીં. મારા માટે આ પ્રકારનો સંબંધ અકલ્પનીય અને અસ્વીકાર્ય છે.
ઝીનતે આ જવાબ મુમતાઝને આપ્યો
મુમતાઝને જવાબ આપતા ઝીનત અમાને કહ્યું હતું- દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. હું ક્યારેય બીજાના અંગત જીવન પર ટિપ્પણી કરનાર કે મારા સાથીદારોનું અપમાન કરનાર નથી. કે હવે હું કરીશ નહીં.
ઝીનત અમાનની આ પોસ્ટને લઈને વિવાદ થયો હતો
ઝીનતે પોસ્ટમાં લખ્યું હતું કે- એક ફેને મારી પાસે સોશિયલ મીડિયા પર રિલેશનશિપની સલાહ માગી હતી. એ કહ્યું કે મને એક અંગત અભિપ્રાય જણાવવા દો, જે મેં પહેલાં ક્યારેય શેર કર્યો નથી. જો તમે રિલેશનશિપમાં હો તો લગ્ન પહેલાં સાથે રહેવું જરૂરી છે.
મેં મારા પુત્રને પણ આ જ સલાહ આપી છે. જે લોકો લિવ-ઇન રિલેશનશિપમાં છે, હું કહેવા માગુ છું કે આ મને ખૂબ જ તાર્કિક લાગે છે. જ્યારે બે લોકો તેમના પરિવાર અને સરકારને તેમની વચ્ચે લાવે છે, ત્યારે તેઓએ તેમના સંબંધોની અંતિમ પરીક્ષા કરવી જોઈએ.
ઝીનતે લખ્યું છે કે અમુક કલાકો સુધી કોઈની સાથે રહીને તમારું બેસ્ટ વર્ઝન બતાવવું ખૂબ જ સરળ છે. પરંતુ દિવસના 24 કલાક કોઈની સાથે રહેવું, બાથરૂમ શેર કરવું, ખરાબ મૂડ સહન કરવો,ડિનરમાં માત્ર એક જ વસ્તુ પર સંમત થવું અને લગ્ન પછી આવા લાખો સંઘર્ષો તમારા જીવનમાં આવે છે. આ કારણથી દરેક કપલે લગ્ન પહેલાં સાથે રહેવું જોઈએ કે તમે આ બધું એક સાથે સહન કરવા તૈયાર છો કે નહીં.
અંતે તેણે લખ્યું- હું જાણું છું કે ભારતીય સમાજ લિવ-ઈન રિલેશનશિપને લઈને થોડો કડક છે. પરંતુ સમાજ બીજી ઘણી બાબતો અંગે કડક રહે છે.
ઝીનતે બે વાર લગ્ન કર્યા હતા
ઝીનત અમાનના અંગત જીવનની વાત કરીએ તો, તેણે પહેલા વર્ષ 1978માં અભિનેતા સંજય ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ એક વર્ષ પછી સંબંધ તૂટી ગયો. ત્યારબાદ ઝીનતે 1985 માં અભિનેતા મઝહર ખાન સાથે લગ્ન કર્યા, જેની સાથે તે બે પુત્રો – અઝાન અને જહાનની માતા બની.