8 કલાક પેહલા
- કૉપી લિંક
દિગ્ગજ એક્ટ્રેસ ઝીનત અમાને થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં રિલેશનશિપની સલાહ આપી હતી, જેમાં તેમણે કપલ્સને લિવ-ઈનમાં રહેવાની સલાહ આપી હતી. આ પોસ્ટ બાદ તેમને ઘણા સેલેબ્સની ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. દિગ્ગજ એક્ટ્રેસ મુમતાઝ અને સાયરા બાનુ બાદ હવે એક્ટર મુકેશ ખન્નાએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન મુકેશ ખન્નાએ પોતાનો વાંધો વ્યક્ત કર્યો અને કહ્યું,- ‘આ આપણી સંસ્કૃતિ નથી. ઝીનત અમાને શરૂઆતથી જ પોતાનું જીવન પશ્ચિમી સભ્યતા પ્રમાણે જીવ્યું છે, પરંતુ તેમણે સમજવું જોઈએ કે ભારતીય સંસ્કૃતિમાં લિવ-ઈન રિલેશનશિપને સ્વીકારી શકાય નહીં.’
‘ઝીનત અમાન જે વાત કરી રહી છે તે એ છે કે છોકરો અને છોકરી લગ્ન પહેલાં સાથે રહેવાથી એકબીજા વિશે જાણશે, પરંતુ આ સ્વીકાર્ય નથી. જો છોકરો અને છોકરી પતિ-પત્નીની જેમ સાથે રહે અને તેમની વચ્ચે બરાબર ન ચાલે તો શું થશે? આવી સ્થિતિમાં જે લોકો આવી વાતો કરી રહ્યા છે તેઓએ સમજી વિચારીને બોલવું જોઈએ.’
મુમતાઝ અને સાયરા બાનુએ પણ ટોણો માર્યો
આ પોસ્ટને લઈને દિગ્ગજ એક્ટ્રેસ મુમતાઝે ઝીનત અમાનને ટોણો માર્યો હતો. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘સંબંધો અંગે સલાહ આપનાર છેલ્લી વ્યક્તિ ઝીનત અમાન હોવી જોઈએ. કારણ કે તેનું પોતાનું લગ્ન જીવન ‘નર્ક’ રહ્યું છે. મુમતાઝે એમ પણ કહ્યું હતું કે ઝીનત આવી સલાહ આપીને કૂલ આંટી બનવાનો પ્રયાસ કરી રહી છે અને તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ વધારવા માગે છે.’
‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ સાથે વાત કરતા સાયરા બાનુએ કહ્યું, હું સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી, તેથી હું તેના વિશે વધુ વાંચતી નથી. મુમતાઝ અને ઝીનત જે કહે છે તે ફોલો નથી કરતી કે સ્વીકારતી નથી. અમે ઘણા જૂના જમાનાના લોકો છીએ. અમારો ટ્રેન્ડ 40-50 વર્ષ પહેલાંનો છે.’
સાયરા બાનુએ એમ પણ કહ્યું કે, તે લિવ-ઈન રિલેશનશિપને બિલકુલ સપોર્ટ કરતી નથી. તેમને કહ્યું,- ‘હું આ સાથે ક્યારેય સહમત નહીં થઈ શકું. હું ક્યારેય આની હિમાયત કરીશ નહીં. મારા માટે આ પ્રકારનો સંબંધ અકલ્પનીય અને અસ્વીકાર્ય છે.’
ઝીનતે આ જવાબ મુમતાઝને આપ્યો
મુમતાઝને જવાબ આપતા ઝીનત અમાને કહ્યું હતું, ‘દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. હું ક્યારેય બીજાના અંગત જીવન પર કમેન્ટ કરનાર કે મારા સાથીદારોનું અપમાન કરનાર નથી. હું કરીશ પણ નહીં.’
આ પોસ્ટ પર વિવાદ શરૂ થયો હતો
ઝીનતે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘એક ફેને મને સોશિયલ મીડિયા પર રિલેશનશિપની સલાહ માગી હતી. તેમને કહ્યું કે મને એક અંગત અભિપ્રાય જણાવવા દો, જે મેં પહેલાં ક્યારેય શેર કર્યો નથી. જો તમે રિલેશનશિપમાં હો તો લગ્ન પહેલાં સાથે રહેવું જરૂરી છે.’
‘મેં મારા પુત્રને પણ આ જ સલાહ આપી છે.’ તેમને કહ્યું- ‘જે લોકો લિવ-ઇન રિલેશનશિપમાં છે, હું કહેવા માગુ છું કે આ મને ખૂબ જ તાર્કિક લાગે છે. જ્યારે બે લોકો તેમના પરિવાર અને સરકારને તેમની વચ્ચે લાવે છે, તે પહેલા તેઓએ તેમના સંબંધોની અંતિમ પરીક્ષા કરવી જોઈએ.’
ઝીનતે લખ્યું કે, કોઈની સાથે થોડા કલાકો રહીને તમારું બેસ્ટ બતાવવું ખૂબ જ સરળ છે. પરંતુ દિવસના 24 કલાક કોઈની સાથે રહેવું, બાથરૂમ શેર કરવું, ખરાબ મૂડ સહન કરવું, ડિનરમાં માત્ર એક જ વાત પર સંમત થવું અને લગ્ન પછી આવા લાખો સંઘર્ષો તમારા જીવનમાં આવે છે. આ કારણથી દરેક કપલે લગ્ન પહેલાં સાથે રહેવું જોઈએ કે તમે આ બધું એક સાથે સહન કરવા તૈયાર છો કે નહીં તે જાણવું જોઈએ.’
અંતે તેમણે લખ્યું- ‘હું જાણું છું કે ભારતીય સમાજ લિવ-ઈન રિલેશનશિપને લઈને થોડો કડક છે. પરંતુ સમાજ બીજી પણ ઘણી બાબતો અંગે કડક રહે જ છે.’
ઝીનતે બે વાર લગ્ન કર્યા હતા
ઝીનત અમાનના અંગત જીવનની વાત કરીએ તો, તેણે પહેલા વર્ષ 1978માં અભિનેતા સંજય ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ એક વર્ષ પછી જ આ સંબંધ તૂટી ગયો. ત્યારબાદ ઝીનતે 1985માં અભિનેતા મઝહર ખાન સાથે લગ્ન કર્યા, જેની સાથે તે બે પુત્રો – અઝાન અને જહાનની માતા બની.