Updated: Apr 30th, 2024
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના બે તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે અને હવે ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે જેમાં ગુજરાતની 26 બેઠકોનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી (Rupala Controversy)ને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે ત્યારે હવે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને ક્ષત્રિય સમાજનું સમર્થન મળ્યું છે.
કોંગ્રેસ ઉમેદવારને મળ્યું ક્ષત્રિય સમાજનું સમર્થન
ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર સાતમી મેએ એક જ તબક્કામાં મતદાન થવાનું છે. ભાજપે બનાસકાંઠા (Banaskantha) પર રેખાબેન ચૌધરી (Rekhaben Chaudhary)ને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોર (Geniben Thakor)ને મેદાનમાં ઉતર્યા છે. આ બેઠક પર બે મહિલા ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. જો કે બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને ક્ષત્રિય સમાજનું સમર્થન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અમીરગઢમાં એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ (Kshatriya Community)ના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.
ફક્ત આંખોથી જ ડરાવજો : ગેનીબેન ઠાકોર
આ જાહેર સભામાં ‘જય ભવાની અને ભાજપ જવાનીના નારા લાગ્યા હતા.’ આ તકે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ક્ષત્રિય સમાજના યુવાનોને કહ્યું હતું કે ‘ તાલુકામાં ભાજપની મીટિંગ ન થવા દેતા, આપણે હિંસા કરવાની નથી, પણ તમારી આંખો જ બતાવજો અને આંખોથી જ ડરાવજો.’ ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા પર અડગ છે. જો કે પરશોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનને લઈને ત્રણ વાર ક્ષત્રિય સમાજ સામે માફી માગી છે.