2 કલાક પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
એક્ટ્રેસ શિલ્પા શિંદેએ કરિયરમાં ઘણા ટેલિવિઝન શોમાં કામ કર્યું છે, જો કે, ઘણી વખત શિલ્પાએએ સીરિયલ્સ અધવચ્ચે જ છોડી દીધી હતી જેના કારણે ઘણા વિવાદો પણ થયા હતા. શિલ્પા ‘ભાબીજી ઘર પર હૈં’, ‘ઝલક દિખલા જા’, ‘મડમ સર’, ‘ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન’ સહિતના ઘણા શોને કારણે વિવાદોમાં રહી છે. પરંતુ એક્ટ્રેસની વાત પર વિશ્વાસ કરીએ તો હવે તે ‘ખતરો કે ખિલાડી 14’ના નિર્માતાઓને નિરાશ નહીં કરે.
વર્ષ 2022માં શિલ્પા શિંદેએ ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો
રિયાલિટી શો કરવો સહેજ પણ સરળ નથી
દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં શિલ્પા જણાવે છે કે, ‘થોડા સમય પહેલાં હું રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’નો ભાગ બની હતી. તે સમયે પણ બેક ટુ પેવેલિયન એટલે કે શો અધવચ્ચે જ છોડી દીધો હતો. લોકોએ ઘણી ખરી-ખોટી વાતો પણ સંભળાવી હતી. પરંતુ, શોની ટીમના સભ્યો સત્ય જાણે છે. હું ખરેખર બીમાર હતી. રિયાલિટી શો કરવો સરળ નથી. લોકો માને છે કે કલાકારો અથવા સ્પર્ધકો માત્ર 2-3 મહિનામાં ખૂબ પૈસા કમાઈ લે છે. આ ફિલ્ડમાં પૈસા, પ્રસિદ્ધિ અને ગ્લેમર ઘણો છે પરંતુ તણાવ પણ ઘણો છે.
‘ઝલક’ દરમિયાન હું રિહર્સલ કરતી હતી અને મારું બેસ્ટ પર્ફોર્મન્સ પણ આપતી હતી. પરંતુ છેલ્લી ક્ષણે નિર્માતાઓએ ઘણા ફેરફારો કર્યા. ક્યારેક કોસ્ચ્યુમમાં તો ક્યારેક કોરિયોગ્રાફીમાં. મારી બધી શક્તિ આમાં જ વેડફાઈ ગઈ હતી. કોરિયોગ્રાફરે પણ સહકાર આપ્યો ન હતો. એટલા માટે મેં શો અધવચ્ચે જ છોડી દીધો.
શિલ્પા શિંદેએ સલમાન ખાનના હોસ્ટ રિયાલિટી શો ‘બિગ બોસ’ની 11મી સીઝનનો તાજ જીત્યો હતો
હું KKK 14 અધવચ્ચે નહીં છોડું
એક્ટ્રેસે વધુમાં કહ્યું, ‘ખતરોં કે ખિલાડીની ટીમે પહેલાંથી જ અમારા બધા સાથે સ્ટંટ વિશે ચર્ચા કરી છે. મારે ફક્ત સેટ પર જઈને તે સ્ટંટ કરવા છે. સારી વાત એ છે કે આમાં મારો કોઈ પાર્ટનર નથી, જેમ કે ‘ઝલક’માં હતો. અહીં મને માત્ર મારા એક્ટિંગ માટે જજ કરવામાં આવશે. હું આ શો અધવચ્ચે છોડીશ નહીં. અહીં હું બીજાને ભગાડી દઈશ. આ વખતે હું કોઈને નિરાશ નહીં થવા દઉં.
‘બિગ બોસ 11’માં વિકાસ ગુપ્તા અને શિલ્પા શિંદે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી
લોકોને લાગે છે કે મને ફક્ત ને ફક્ત ઝઘડા જ પસંદ
એક્ટ્રેસના જણાવ્યા અનુસાર તેને અસલી જીવનમાં ‘ઝઘડાખોર’ હોવાનો ટેગ મળ્યો છે. પરંતુ તે એવી નથી. વધુમાં કહ્યું, ‘લોકોને લાગે છે કે હું માત્ર લડું છું. હું ઝઘડાળુ છું. પણ સત્ય એ છે કે હું એવી બિલકુલ નથી. લોકોએ ‘બિગ બોસ’માં મારું અસલી વ્યક્તિત્વ જોયું. તેને ખબર પડી કે પરિસ્થિતિ પ્રમાણે મારો સ્વભાવ બદલાય છે. હવે હું યોગ કરું છું. નિયમિત રીતે યોગ કરવાથી મારામાં પણ બદલાવ આવ્યો છે. હવે હું વિચારવા લાગી છું કે જે થાય છે તે સારા માટે જ થાય છે.
‘ભાબીજી ઘર પર હૈં’ શોથી શિલ્પા શિંદે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી
નિર્માતા પાસે કલાકાર માટે જ પૈસા નથી
‘ભાબીજી…’ પછી શિલ્પા ડેઈલી સોપ્સથી દૂર થઈ ગઈ. આ પાછળનું કારણ જણાવતા એક્ટ્રેસ કહે છે, ‘ખરેખર, ટીવી નિર્માતાઓ માટે હજી કોરોનાનો અંત આવ્યો નથી. જ્યારે પણ કોઈ પ્રોડ્યુસર મને ફોન કરે છે ત્યારે સૌથી પહેલાં એ કહે છે કે શો છે પણ બજેટ બહુ ઓછું છે. આ સાંભળતા જ મેં તેમને ના પાડી. એવું નથી કે હું હંમેશા પૈસા માટે કામ કરું છું. પરંતુ તમે દર વખતે બજેટ ઘટાડવાનું બહાનું આપી શકતા નથી.
નિર્માતાઓ પૈસા બચાવવા માટે ગમે ત્યાં સેટ ગોઠવે છે
વધુમાં જણાવ્યું હતું કે, ‘ટીવીમાં સ્પર્ધા ઘણી વધી ગઈ છે. આજકાલ જે કલાકારો પાસે કામ નથી તેઓ મોટાભાગે ટીવી શો માટે સાઈન કરવામાં આવે છે. શો દરમિયાન તેને ઘણા તણાવનો સામનો પણ કરવો પડે છે. નિર્માતાઓ પૈસા બચાવવા માટે ગમે ત્યાં સેટ ગોઠવે છે. કલાકારો દરરોજ કામ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
તેઓ સેટ પર કરોડો રૂપિયા ખર્ચ કરશે, પરંતુ મહેનત કરનારા કલાકારોને તેઓ પૈસા આપતા નથી. તેથી આવા વાતાવરણમાં કામ કરવાની મજા નથી આવતી.
શિલ્પા શિંદે ‘ખતરો કે ખિલાડી 14’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે
મને રોહિત શેટ્ટીથી ખુબ જ ડર લાગે છે
શિલ્પા ‘ખતરો કે ખિલાડી 14’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે માત્ર ગરોળીથી ડરે છે. આ વિશે એકટ્રેસ કહે છે, ‘મને ગરોળી સિવાય કોઈ વાતનો ડર નથી. મને ખરેખર ગરોળીનો ડર લાગે છે. આ સિવાય હું રોહિત શેટ્ટીથી પણ ખૂબ ડરું છું. મેં સાંભળ્યું છે કે તે ખૂબ જ કડક વ્યક્તિત્વ ધરાવે છે. જો કે, હું પણ આ અનુભવ માટે ખૂબ જ ઉત્સાહિત છું.