નવી દિલ્હી8 કલાક પેહલા
- કૉપી લિંક
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 21 દિવસના જામીન આવતીકાલે પૂરા થઈ રહ્યા છે. આ પહેલા શુક્રવારે (31 મે)ના રોજ એક વીડિયો જાહેર કરીને તેમણે કેન્દ્ર સરકાર અને જેલ અધિકારીઓ પર તેમના પર ત્રાસ ગુજારવાના આરોપ લગાવ્યા હતા.
તેમણે કહ્યું- હું દેશને તાનાશાહીથી બચાવવા જેલમાં જઈ રહ્યો છું. હું પરમ દિવસે 3 વાગ્યે સરેન્ડર કરવા ઘરેથી નીકળીશ. આ વખતે હું મારો જીવ ગુમાવું તો પણ દુઃખી ન થતા. જેલમાં મારા પર ત્રાસ ગુજારવાના ફરીથી પ્રયાસો થશે.
તેઓએ મને ઝુકાવી દેવાના પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ થયા નહીં. જ્યારે હું જેલમાં હતો ત્યારે તેઓએ મને ખૂબ ત્રાસ આપ્યો હતો. હું 30 વર્ષથી ડાયાબિટીસનો દર્દી છું. હું 10 વર્ષથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઉં છું.
EDએ કેજરીવાલની 21 માર્ચે લીકર પોલિસી કેસમાં મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરી હતી. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. તેમને 2 જૂને તિહાર જેલમાં સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું.
કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સની ખાસ વાતો…
- હું 50 દિવસ જેલમાં હતો. આ 50 દિવસમાં મારુ 6 કિલો વજન ઘટ્યું છે. ડોક્ટરો કહી રહ્યા છે કે મારે ઘણા ટેસ્ટ કરાવવાની જરૂર છે. મારા યુરિનમાં કીટોનનું લેવલ પણ વધી ગયું છે.
- મારા ઈરાદાઓ બુલંદ છે. આ વખતે પણ હું ઝૂકીશ નહીં. તમે ખુશ છો તો કેજરીવાલ પણ ખુશ થશે. હું તમારી વચ્ચે નહિ આવીશ, પણ તમારા બધા કામ જોતો રહીશ.
- હું જ્યાં પણ હોઉં ત્યાં દિલ્હીનું કામ અટકશે નહીં. હોસ્પિટલ, મોહલ્લા ક્લિનિક, મફત બસ સેવા જેવી તમામ યોજનાઓ ચાલુ રહેશે. તમારા પરિવારના પુત્ર તરીકે મેં હંમેશા મારી ફરજ નિભાવી છે.
- આજે હું તમને મારા પરિવાર માટે કંઈક પૂછવા માંગુ છું. મારા માતા-પિતા વૃદ્ધ છે. મને જેલમાં તેમની ચિંતા રહે છે. હું ઈચ્છું છું કે દિલ્હીના લોકો મારા માતા-પિતાનું ધ્યાન રાખે. લોકોએ મારા માતા-પિતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે પ્રાર્થનામાં ઘણી શક્તિ હોય છે.
- મારી પત્ની સુનીતા ખૂબ જ મજબૂત છે. તેણે દરેક મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો છે. મુશ્કેલ સમયમાં પરિવાર સાથે હોય છે. અમે બધા સાથે મળીને તાનાશાહી સામે લડી રહ્યા છીએ. તમારી પ્રાર્થનાને લીધે હું જીવતો છું. તમારા આશીર્વાદ જ ભવિષ્યમાં મારું રક્ષણ કરશે. ભગવાન ઈચ્છે, તમારો દીકરો જલ્દી પાછો આવશે.
AAPએ કહ્યું- કેજરીવાલનું કીટોન લેવલ ઘટ્યું છે, આ ગંભીર બીમારીની નિશાની છે
આમ આદમી પાર્ટીએ સોમવારે દલીલ કરી હતી કે તેમની ધરપકડ બાદ કેજરીવાલનું વજન 7 કિલો ઘટી ગયું છે અને તેમનું કીટોન લેવલ ઊંચું છે, જે કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.
AAPએ એમ પણ કહ્યું હતું કે ડોક્ટરોએ કેજરીવાલને પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી અને કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (PET-CT) સ્કેન અને અન્ય કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી, જેના કારણે તેમણે વચગાળાના જામીન લંબાવવાની માગ કરી છે. જેલમાં હતા ત્યારે તેમનું શુગર લેવલ પણ સતત ચર્ચાનો વિષય બન્યું હતું. કેજરીવાલ અને તેમની પાર્ટીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમને ઇન્સ્યુલિન આપવામાં આવતું નથી.
કેજરીવાલની સુપ્રીમ કોર્ટમાં અત્યારસુધીમાં 7 વખત સુનાવણી થઈ ચૂકી છે
- 17 મેના રોજ, EDએ રાઉઝ એવન્યુ કોર્ટમાં દિલ્હી લિકર પોલિસીમાં 8મી ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કેજરીવાલ અને AAPનું નામ સામેલ છે. EDએ એ જ દિવસે સુપ્રીમ કોર્ટને પણ આ માહિતી આપી હતી.
- 16 મેના રોજ EDની ધરપકડ સામે કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે કેજરીવાલને વિશેષ છૂટ આપી નથી. EDએ દાવો કર્યો હતો કે જામીન પર બહાર આવ્યા બાદ કેજરીવાલ તેમનાં ચૂંટણી ભાષણોમાં કહી રહ્યા હતા કે જો લોકો AAPને મત આપશે તો તેમને 2 જૂને જેલમાં નહીં જવું પડે.
- 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. કેજરીવાલને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 1 જૂન સુધી રાહત મળી છે. તેમને 2 જૂને તમામ સંજોગોમાં આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું છે. જામીન મળ્યા બાદ કેજરીવાલ 10 મેના રોજ 39 દિવસ બાદ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા.
- 7મી મેના રોજ સુપ્રીમ કોર્ટની બેન્ચે કેજરીવાલના વચગાળાના જામીન પર પોતાનો ચુકાદો આપ્યા વિના મુલતવી રાખ્યો હતો. સવારે 10.30 વાગ્યે સુનાવણી શરૂ થયા બાદ કોર્ટે લંચ પહેલાં જામીનની શરતો નક્કી કરી હતી. જોકે ત્યાર બાદ EDએ કહ્યું હતું કે કેજરીવાલના વકીલની 3 દિવસ સુધી સુનાવણી કરવામાં આવી. અમને પણ પૂરતો સમય આપવો જોઈએ.
- 3 મેના રોજ સુનાવણી બે કલાક ચાલી હતી. આ લાંબી ચર્ચા પછી બેન્ચે કહ્યું હતું કે મુખ્ય કેસ એટલે કે કેજરીવાલે તેમની ધરપકડ અને રિમાન્ડને પડકાર્યો છે એમાં સમય લાગી શકે છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલ માટે વચગાળાના જામીન પર વિચાર કરી શકાય છે, જેથી તેઓ પ્રચારમાં ભાગ લઈ શકે.
- 30 એપ્રિલે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ધરપકડના સમય પર સવાલ ઉઠાવ્યા હતા. EDને પૂછવામાં આવ્યું કે ચૂંટણી પહેલાં આવું કેમ કર્યું?
- 29 એપ્રિલે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ED નોટિસ પર સવાલ પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતુંકે તમે ED દ્વારા મોકલવામાં આવેલી નોટિસની અવગણના કેમ કરી? તમે ધરપકડ અને રિમાન્ડ સામે અહીં આવ્યા છો, તમે જામીન માટે ટ્રાયલ કોર્ટમાં કેમ ન ગયા. કેજરીવાલના વકીલ સિંઘવીએ કહ્યું હતું કે ધરપકડ ગેરકાયદે છે.
- 15 એપ્રિલે સુપ્રીમ કોર્ટે EDને નોટિસ આપી ધરપકડ પર તેનો જવાબ માગ્યો હતો. સુનાવણી દરમિયાન એફિડેવિટમાં EDએ કહ્યું હતું કે અનેક વખત સમન્સ મોકલવામાં આવ્યા છતાં તેમણે એજન્સીને સહકાર આપ્યો ન હતો. EDએ એમ પણ કહ્યું હતું કે કેજરીવાલની ધરપકડ કોઈ દૂષિત અથવા અન્ય કારણોસર કરવામાં આવી નથી. તેમની ધરપકડ તપાસનો એક ભાગ છે.