2 કલાક પેહલા
- કૉપી લિંક
મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદને કરાચીમાં ઝેર આપવામાં આવ્યું છે. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.
હકીકતમાં સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદ ઈબ્રાહિમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને ઝેર આપ્યું છે. જેના કારણે દાઉદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દાઉદની ગેંગના ભૂતપૂર્વ સભ્યએ પુષ્ટિ કરી કે દાઉદ ગંભીર બીમારીને કારણે કરાચીની હોસ્પિટલમાં દાખલ છે, તેને બે દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે અને જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો છે ત્યાં કોઈને જવાની મંજૂરી નથી. માત્ર ઉચ્ચ અધિકારીઓ અને પરિવારના નજીકના લોકો જ ત્યાં જઈ શકશે.
મીડિયાના રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે દાઉદને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જો કે હજુ સુધી આ સમાચારની કોઈએ પુષ્ટિ કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસ અધિકારીઓ દાઉદના નજીકના સંબંધીઓ (ભત્રીજા અલીશા પારકર અને સાજિદ વાગલે) પાસેથી પણ આ વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પાકિસ્તાની મીડિયાએ સોશિયલ મીડિયાને પણ ટાંક્યું હતું
જિયો ટીવી ન્યૂઝે પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ ચર્ચાઓને ટાંકીને કહ્યું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે અફવાઓ ફેલાઈ રહી છે, જેને ગંભીર તબીબી સ્થિતિ બાદ પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અપ્રમાણિત અહેવાલોમાં, કારણ ઝેર હોવાનું કહેવાય છે. 65 વર્ષીય ભાગેડુ ઘણાં વર્ષોથી કરાચીમાં રહે છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. કારણ કે પાકિસ્તાની અને ભારતીય અધિકારીઓએ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી. એવી અટકળો છે કે દાઉદની અચાનક ખરાબ તબિયત પાછળ ઝેરનું કારણ હોઈ શકે છે. આ પહેલાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે દાઉદ ઘણી ગંભીર બીમારીઓથી પીડિત હતો. તાજેતરમાં એવી ચર્ચા હતી કે ગેંગરીનને કારણે કરાચીની એક હોસ્પિટલમાં તેના બે અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા.
પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા સર્વર ડાઉન
આ અંગે પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ પણ યુટ્યૂબ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ ચર્ચાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈ મોટી ઘટના અંગે શંકા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કામ કરી રહ્યું નથી. યુટ્યૂબ, ગૂગલ વગેરેના સર્વર ડાઉન છે.
તેમણે કહ્યું કે દાઉદ ઈબ્રાહિમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને ઝેર આપવામાં આવ્યું હોવાના અહેવાલ છે. તેની હાલત નાજુક છે અને તેને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. જો કે આ વાતની પુષ્ટિ કોણ કરશે તે એક પ્રશ્ન છે. કારણ કે આ બાબતે કોઈ પૂછશે તો તે પણ મુશ્કેલીમાં મુકાઈ જશે. પાકિસ્તાનમાં તમામ સામાજિક પ્લેટફોર્મ સેવાઓ અચાનક ઠપ થઈ ગઈ છે. આનાથી દાળમાં કંઈક કાળું હોવાની શંકા વધુ ઘેરી બને છે. નહીંતર આ સમાચાર આવતાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સર્વિસ અચાનક કેવી રીતે ડાઉન થઈ શકે છે.
આ રીતે દાઉદ ડી-કંપનીનો વડા બન્યો
તમને જણાવી દઈએ કે દાઉદ ઈબ્રાહિમ કાસકરનો જન્મ ડિસેમ્બર 1955માં મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં થયો હતો. તેના પિતા ઈબ્રાહીમ કાસકર પોલીસ કોન્સ્ટેબલ હતા. બાદમાં દાઉદ ઈબ્રાહિમનો પરિવાર મુંબઈના ડોંગરી વિસ્તારમાં સ્થાયી થયો હતો. 70ના દાયકામાં મુંબઈના અંડરવર્લ્ડમાં દાઉદનું નામ ઝડપથી ઊછળવા લાગ્યું. અગાઉ તે હાજી મસ્તાન ગેંગમાં કામ કરતો હતો. ત્યાં રહીને તેમનો પ્રભાવ વધવા લાગ્યો. લોકો તેની ગેંગને ડી-કંપની કહેવા લાગ્યા. તેને તેનો નેતા માનવામાં આવતો હતો.
મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે દાઉદ
ડી-કંપની ચીફ દાઉદ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ છે. આ હુમલામાં 250થી વધુ લોકો માર્યા ગયા હતા. આ ઘટનામાં હજારો લોકો ઘાયલ પણ થયા હતા. આ ઘટના બાદ ભારતે દાઉદને મોસ્ટ વોન્ટેડ આતંકવાંદી જાહેર કરવામાં આવ્યો હતો. દાઉદ ભારતમાંથી ભાગેડુ છે અને તે ઘણાં વર્ષોથી પાકિસ્તાનમાં છુપાયેલો છે.