37 મિનિટ પેહલા
- કૉપી લિંક
યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ ભારત।
અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનં સૃજામિ અહમ ।।
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ।
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ।।
અર્થ:- “જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો ફેલાવો થાય છે, ત્યારે હું સ્વયં જન્મ ધારણ કરું છું. સજ્જનોની રક્ષા, દુષ્ટોનો વિનાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે હું દરેક યુગમાં અવતરતો રહું છું.”
ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે પણ દુનિયામાં અધર્મ વધ્યો છે ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની પુનઃસ્થાપના માટે પૃથ્વી પર જન્મ લીધો છે. શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના 24 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી શ્રી હરિના 23 અવતારો પૃથ્વી પર અવતર્યા છે. હવે 24મા અવતારનો વારો છે. જે ‘કલ્કી અવતાર’ તરીકે જન્મ લેશે. ભગવાન વિષ્ણુના મુખ્ય 10 અવતારોમાંનો એક હશે. પુરાણો અનુસાર આ અવતાર કળિયુગના અંતમાં અવતરશે. જાણો દશાવતાર વિશે મહત્ત્વની માહિતી…
કળિયુગમાં ભગવાન કલ્કિનો જન્મ ક્યારે થશે?
ભગવાન વિષ્ણુના અન્ય અવતારોની જેમ, મત્સ્ય પુરાણમાં 10મા અવતારમાં કલ્કીનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પુરાણ અનુસાર, કળિયુગના અંતિમ તબક્કામાં ભગવાન કલ્કિનો જન્મ પૃથ્વી પર થશે. એટલે કે જ્યારે કળિયુગનો અંત આવવાનો છે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કિના રૂપમાં પૃથ્વી પર આવશે. ભગવાન કલ્કિનો જન્મ કળિયુગના અંતમાં સત્યયુગની શરૂઆત પહેલાં એટલે કે બંને યુગના સંગમ પર થશે.
ભગવાન કલ્કિનો જન્મ ક્યાં થશે?
सम्भल ग्राम मुख्यस्य, ब्राह्मणस्य महात्मनः।
भवने विष्णुयशसः कल्किः प्रादुर्भविष्यति।।
ધાર્મિક ગ્રંથોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ભગવાન વિષ્ણુના 10મા અવતાર ભગવાન કલ્કિનો જન્મ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે થશે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક વિષ્ણુ ભક્ત બ્રાહ્મણ પરિવારમાં થશે. ભગવાન પરશુરામ પોતે કલ્કી અવતારને તલવાર આપશે અને ભગવાન બૃહસ્પતિ તેમનું શિક્ષણ પૂર્ણ કરશે. હિંદુ શાસ્ત્રોમાં કલ્કિ ગ્રંથનો પણ સમાવેશ થાય છે, જે ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કિ વિશે જણાવે છે. આ મુજબ કલ્કિ 64 કલાઓથી ભરપૂર હશે અને તે હાથમાં ધનુષ અને બાણ લઈને ધરતી પર ધર્મની સ્થાપના કરશે.
કલ્કિનો જન્મ કળિયુગના અંતિમ કાળમાં થશે
કળિયુગ 4 લાખ 32 હજાર વર્ષ સુધી ચાલશે. અત્યારે કળિયુગનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે, જેમાંથી કળિયુગનાં 5126 વર્ષ વીતી ગયાં છે અને હજુ 426875 વર્ષ બાકી છે. ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રી કૃષ્ણએ પૃથ્વી છોડતાંની સાથે જ કળિયુગ શરૂ થઈ ગયો હતો. પુરાણોમાં કળિયુગ 4 લાખ 32 હજાર વર્ષનો હોવાનું કહેવાય છે. હવે કળિયુગનાં 5126 વર્ષ વીતી ગયાં છે. શ્રીમદ્ ભાગવત પુરાણના 12મા સ્કંધના 24માં શ્લોક અનુસાર, જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર એકસાથે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે, ત્યારે ભગવાન કલ્કિનો જન્મ પૃથ્વી પર થશે. શ્રી હરિના આ દસમા અવતારની જન્મતિથિ શ્રાવણ માસની સુદ પક્ષની પંચમીની તિથિ થશે.
કલ્કિ અવતારનું સ્વરૂપ કેવું હશે? :
‘અગ્નિ પુરાણ’ના સોળમાં અધ્યાયમાં કલ્કિ અવતારને ધનુષ અને બાણ ધરાવનારા ઘોડેસવાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર દેવદત્ત નામના સફેદ ઘોડા પર બેસીને આવશે. જે કલિયુગના પાપીઓનો નાશ કરશે. કલ્કિ ભગવાન શિવની તપસ્યા કરશે અને તેમની પાસેથી ચમત્કારિક શક્તિઓ મેળવીને અધર્મનો નાશ કરશે
ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર રહસ્યમય છે
સનાતન ધર્મશાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જ્યારે પણ દુનિયામાં પાપ અને અન્યાય વધે છે ત્યારે ભગવાન વિષ્ણુ પાપીઓનો નાશ કરવા માટે અવતાર લે છે. પૌરાણિક ગ્રંથોમાં, વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુના દશાવતારોનો ઉલ્લેખ છે. આમાં વામન અવતાર, નરસિંહ અવતાર, મત્સ્ય અવતાર, રામ અવતાર અને કૃષ્ણ અવતાર થઈ ચૂક્યા છે. એક પૌરાણિક માન્યતા છે કે કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુ કલ્કિ તરીકે છેલ્લા અવતાર તરીકે પ્રગટ થશે અને પાપીઓનો અંત લાવશે. કલ્કિનો અવતાર હંમેશાં રહસ્યમય રહ્યો છે.
ધાર્મિક ગ્રંથો અનુસાર કલ્કિ અવતાર કેમ થશે?
ચાર વેદોમાં કલ્કિ અવતારનો ઉલ્લેખ નથી. અન્ય ધાર્મિક ગ્રંથો, જેમ કે મહાભારત, વિષ્ણુ પુરાણ, મત્સ્ય પુરાણ, ભવિષ્ય પુરાણ, કલ્કિ પુરાણ અને ભાગવત પુરાણમાં કલ્કી અવતાર વિશે વિગતવાર લખ્યું છે. આ વાતનો ઉલ્લેખ પહેલાં સ્કંધના ત્રીજા અધ્યાયના 25મા શ્લોકમાં છે. તેમાં લખ્યું છે કે ભગવાન બે યુગ કળિયુગ અને સત્યયુગની વચ્ચે કલ્કિ રૂપમાં વિષ્ણુયશના પુત્રના રૂપમાં જન્મ લેશે.
સ્કંદ પુરાણના 24મા અધ્યાયમાં લખ્યું છે કે જ્યારે ધર્મ લગભગ નાશ પામશે, કળિયુગનો અંત આવશે, ત્યારે ભગવાન અલૌકિક શક્તિઓ સાથે કલ્કિના રૂપમાં અવતાર લેશે. પદ્મ પુરાણના છઠ્ઠા સ્કંધના 71 અધ્યાય 279-282 શ્લોકોમાં લખ્યું છે કે જ્યારે રાક્ષસ પ્રકૃતિના લોકો વિશ્વનો નાશ કરશે ત્યારે કલ્કિ અવતાર લેશે. કલ્કિ પુરાણ (34.16)માં લખ્યું છે કે દેવતાઓનો કરુણ પોકાર સાંભળ્યા પછી ભગવાન હરિ બ્રહ્માને આશ્વાસન આપશે.
ભગવાન વિષ્ણુના મુખ્ય દશાવતાર
1. મત્સ્ય અવતારઃ-
ચૈત્ર મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ ભગવાન વિષ્ણુના પહેલા અવતાર મત્સ્યની જયંતી ઊજવવામાં આવે છે. મત્સ્ય પુરાણ પ્રમાણે વિષ્ણુજીએ પુષ્પભદ્રા નદીના કિનારે મત્સ્ય અવતાર લીધો હતો. પ્રાચીન સમયમાં અસુર હયગ્રીવનો આતંક વધી ગયો હતો અને સંપૂર્ણ પૃથ્વી જળમાં સમાઇ ગઇ હતી. ત્યારે માછલી સ્વરૂપમાં શ્રીહરિએ પહેલો મત્સ્ય અવતાર લીધો. મત્સ્ય સ્વરૂપમાં હયગ્રીવનો વધ કર્યો અને જળપ્રલયથી પૃથ્વીના બધા જીવોની રક્ષા કરી હતી.
2. કૂર્મ અવતારઃ-
દર વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમાએ કૂર્મ જયંતી ઊજવવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુનો બીજો અવતાર માનવામાં આવે છે. આ અવતારને લઇને કથા પ્રચલિત છે કે, પ્રાચીન સમયમાં જ્યારે સમુદ્ર મંથન થયું, ત્યારે વિષ્ણુજીએ કાચબાનું સ્વરૂપ લઇને પોતાની પીઠ ઉપર મંદરાચલ પર્વતને ગ્રહણ કર્યો હતો. દેવતાઓ અને દાનવોએ વાસુકિ નાગને દોરડાની જેમ મંદરાચલનું વલોણું બનાવ્યું અને સમુદ્ર મંથન કર્યું હતું. આ મંથનમાંથી હળાહળ વિષ બહાર આવ્યું, જેને શિવજીએ ગ્રહણ કર્યું હતું. ત્યાર બાદ 14 રત્નો મળી આવ્યાં અને છેલ્લે અમૃત કળશ મળી આવ્યો હતો.
3. વરાહ અવતારઃ-
ભાદરવા મહિનામાં સુદ પક્ષની ત્રીજ તિથિએ વરાહ જયંતી ઊજવવામાં આવે છે. વરાહ એટલે સૂવર. આ અવતારનું મુખ સૂવરનું હતું, પરંતુ શરીર મનુષ્ય જેવું હતું. દૈત્ય હિરણ્યાક્ષે પૃથ્વીને સમુદ્રમાં સંતાડી દીધી હતી. ત્યારે બ્રહ્માજીના નાકમાંથી વિષ્ણુજી વરાહ સ્વરૂપમાં અવતરિત થયા. વરાહદેવ સમુદ્રમાં ગયા અને પોતાના દાંત ઉપર પૃથ્વી રાખીને તેને બહાર લઇ આવ્યા. ત્યાર બાદ તેમણે હિરણ્યાક્ષનો વધ કર્યો. હિરણ્યાક્ષ નામમાં હિરણ્યનો અર્થ સોનું અને અક્ષનો અર્થ આંખ થાય છે. જેની આંખ અન્યના ધન ઉપર રહેતી હોય, તે જ હિરણ્યાક્ષ કહેવાય છે.
4. નૃસિંહ અવતારઃ-
નૃસિંહ અવતાર પ્રાચીન સમયમાં વૈશાખ મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિએ થયો હતો. આ અવતારને લઇને ભક્ત પ્રહલાદની કથા પ્રચલિત છે. પ્રહલાદને અસુર હિરણ્યકશિપુથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ એક થાંભલામાંથી પ્રગટ થઇ નૃસિંહ અવતાર લીધો. તેમનું અડધું શરીર સિંહ અને અડધું શરીર મનુષ્યનું હતું. પ્રહલાદ હિરણ્યકશિપુનો પુત્ર હતો. પરંતુ તે વિષ્ણુજીનો પરમ ભક્ત હતો. જેના કારણે હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવા માટે અનેકવાર પ્રયાસો કર્યાં. પરંતુ દર વખતે વિષ્ણુજીએ તેની રક્ષા કરી. ભગવાને નૃસિંહ અવતાર લઇને હિરણ્યકશિપુનો વધ કર્યો.
5. વામન અવતારઃ-
ભાદરવા મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ વામન પ્રકોટત્સવ ઊજવવામાં આવે છે. આ અવતાર સતયુગમાં થયો હતો. તે સમયે અસુર રાજા બલિએ દેવતાઓને પરાજિત કરીને સ્વર્ગલોક ઉપર અધિકાર કરી લીધો હતો. ત્યારે વિષ્ણુજીએ દેવમાતા અદિતિના ગર્ભમાંથી વામન સ્વરૂપમાં અવતાર લીધો. ત્યાર બાદ એક દિવસ રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતા, ત્યારે વામનદેવ રાજા બલિ પાસે ગયા અને ત્રણ ડગલાં ધરતી દાનમાં માંગી. શુક્રાચાર્યના ના પાડવા છતાં રાજા બલિએ વામનદેવને ત્રણ ડગલાં ધરતી દાનમાં આપવાનું વચન સ્વીકારી લીધું. વામને વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને એક ડગલામાં ધરતી, બીજા ડગલામાં સ્વર્ગલોકને માપી લીધું. ત્રીજા ડગલામાં રાખવા માટે કોઇ સ્થાન હતું નહીં ત્યારે બલિએ વામનદેવને તેમનો પગ પોતાના માથે રાખવા માટે કહ્યું. વામન ભગવાને પોતાનો પગ જેવો બલિના માથા ઉપર રાખ્યો તે પાતાળ લોકમાં પહોંચી ગયો. બલિની દાનવીરતાથી પ્રસન્ન થઇને ભગવાને તેને પાતાળલોકનો સ્વામી બનાવી દીધો અને બધા દેવતાઓને તેમનું સ્વર્ગ પાછું આપી દીધું.
6. પરશુરામ અવતારઃ-
વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામનો જન્મ થયો હતો. પરશુરામને ચિરંજીવી માનવામાં આવે છે. પરશુરામે હૈહયવંશી ક્ષત્રિયોના આતંકને દૂર કર્યો, રાજા સહસ્ત્રાર્જુનનો વધ કર્યો હતો. પરશુરામનો ઉલ્લેખ ત્રેતાયુગની રામાયણ અને દ્વાપરયુગના મહાભારતમાં પણ છે.
7. શ્રીરામ અવતારઃ-
ચૈત્ર મહિનાની સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામ પ્રાકટોત્સવ ઊજવવામાં આવે છે. ત્રેતાયુગમાં રાજા દશરથને ત્યાં ભગવાન વિષ્ણુએ શ્રીરામ સ્વરૂપમાં જન્મ લીધો હતો. શ્રીરામે રાવણ સાથે તે સમયના બધા અધર્મી અસુરોનો વધ કર્યો. ધર્મ અને મર્યાદાની સ્થાપના કરી હતી. એટલે તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ પણ કહેવામાં આવે છે.
8. શ્રીકૃષ્ણ અવતારઃ-
દ્વાપર યુગમાં શ્રાવણ મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ ભગવાન વિષ્ણુએ શ્રીકૃષ્ણ સ્વરૂપમાં અવતાર લીધો હતો. તે સમયે શ્રીકૃષ્ણએ કંસ અને તેમના બધા સાથી અસુરોનો વધ કર્યો. દુર્યોધન સાથે જ સંપૂર્ણ કૌરવવંશના આતંકને દૂર કરવા માટે પાંડવોનું માર્ગદર્શન કર્યું.
9. બુદ્ધ અવતારઃ-
ભગવાન બુદ્ધને વિષ્ણુજીનો નવમો અવતાર માનવામાં આવે છે. ગૌતમ બુદ્ધનો જન્મ 2564 વર્ષ પહેલાં લુંબિનીમાં થયો હતો. લુંબિની નેપાળમાં સ્થિત છે. દર વર્ષે વૈશાખ મહિનાની પૂનમે બુદ્ધ જયંતી ઊજવવામાં આવે છે. બુદ્ઘે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી. તેમણે સમાજને અહિંસા અને કરુણાનો સંદેશ આપ્યો હતો.
10. કલ્કિ અવતારઃ-
ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ હાલ પ્રકટ થયો નથી. માન્યતા છે કે, કળિયુગ લગભગ 4 લાખ 32 હજાર વર્ષનું છે. હાલ કળિયુગને 5 હજાર વર્ષ જ થયાં છે. કળિયુગના અંતમાં જ્યારે ધરતી ઉપર અધર્મ વધી જશે. ધર્મ લગભગ નષ્ટ થવા જ લાગશે, તે સમયે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર લેશે. બધા અધર્મીઓને દૂર કરશે અને ફરીથી ધર્મની સ્થાપના કરશે.