ટંકારા-રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ આર્ય વિદ્યાલય પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું. ત્યારે તે ડબલ સવારી બાઇકને કારના ચાલકે પાછળથી ઠોકર મારી હતી. જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીના એક યુવાનનું મોત નીપજ્યું હતું.
.
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલ જલારામ ચોક ગાયત્રીનગર શેરી નં-3 માં રહેતા રાજેશભાઈ નટવરલાલ સાહોલીયા જાતે સોની (ઉં.52)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 36 એએફ 5176ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેમનો દીકરો રવિભાઈ રાજેશભાઈ સાહોલીયા (ઉં.26) અને તેના મિત્ર પાર્થ હિતેશભાઇ જોશી સાથે ટંકારાથી રાજકોટ તરફ આવવાના રસ્તા ઉપર બાઈક નંબર જીજે 3 એનએમ 2624 ઉપર રાજકોટ આવી રહ્યો હતો. ત્યારે આર્યમ વિદ્યાલય સામે તેઓના બાઈકને પાછળથી કાર ચાલકે અડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો.
જેમાં ફરિયાદીના દીકરા રવિભાઈને માથા, જમણા હાથે, પગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને તેના મિત્ર પાર્થને પાંસળી, લીવર, પેટ, હાથ અને પગના સાથળના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબીના નવલખી રોડ ઉપર બાઈલ સ્લીપ મારી
મોરબીના વજેપર શેરી નં- 10 માં રહેતા રાજેશ છગનભાઈ ખાણધર (ઉં.38) નામનો યુવાન મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેંટમેરી સ્કૂલ પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો. ત્યારે ત્યાં રસ્તામાં બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેથી તે યુવાનને માથામાં અને ડાબા પગની ઘૂંટીના ભાગે ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા.