સુરતની નગર પ્રાથમિક શાળામાં ભણનાર વિદ્યાર્થીઓ હાલ પગ અને કમરના દુ:ખાવાની ફરિયાદ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ છેલ્લા બે વર્ષથી આ રીતે ભણવા મજબૂર બન્યા છે. કારણ કે શિક્ષણ સમિતિની જર્જરિત 26 જેટલી શાળાઓ સમિતિએ ખાલી કરાવી દીધી છે અને તે શાળાઓના વિદ્યાર્થી
.
એક વર્ગખંડમાં બે વર્ગના વિદ્યાર્થીઓ બેસવા મજબૂર
હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રવેશ ઉત્સવમાં વેટિંગ લિસ્ટને લઈ ચર્ચામાં આવી હતી. હાઇટેક વર્ગ ખંડો માટે પણ વાહવાહી મેળવી ચૂકી છે. પરંતુ આ જ વર્ગખંડમાં એક વર્ગના વિદ્યાર્થીઓની જગ્યાએ બે વર્ગના વિદ્યાર્થીઓ બેસવા પર મજબૂર થયા છે. એક ક્લાસમાં ખીચો ખીચ વિદ્યાર્થીઓ જોવા મળે છે. ક્લાસની અંદર આવી સ્થિતિ છે કે, બે બેન્ચ વચ્ચે જગ્યા પણ નથી કે વિદ્યાર્થીઓ નીકળી શકે કે સહેલાઈથી અવરજવર કરી શકે. શિક્ષણ સમિતિ દ્વારા ઉધના, પાંડેસરા, કતારગામ સહિત અલગ અલગ વિસ્તારોમાં જર્જરિત શાળાઓ ડિમોલેશન કરવામાં આવ્યું છે. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળા સહિત અન્ય નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી પહેલાંથી બેસતા વિદ્યાર્થીઓ સાથે અન્ય જર્જરિત શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓ બેસવા પર મજબૂર છે. એક જ વર્ગખંડમાં બે-બે વર્ગખંડ ચલાવવાની નોબત પડી છે.
16 શાળાનું ડિમોલિશન પણ કરી નાખ્યું
શિક્ષણ સમિતિની ઉધના, પાંડેસરા, કતારગામ સહિત શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં આવેલી 26 જેટલી શાળાઓ જર્જરિત હોવાથી મહાનગરપાલિકાએ ખાલી કરાવી છે. 26 શાળા પૈકી 16 શાળાનું ડિમોલિશન પણ કરી નાખ્યું છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન અને નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સમાવી લેવામાં આવ્યા છે. એક સાથે અન્ય શાળાના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થઈ જતા શાળામાં વર્ગખંડો ઘટી ગયા છે. જેથી એક જ વર્ગખંડમાં બે વર્ગખંડ ચલાવવાની નોબત પડી છે. જેને લઈને વર્ગખંડમાં એક જ બેન્ચ પર ચારથી વધુ વિદ્યાર્થીઓ બેસી રહ્યા છે. લઈને વિદ્યાર્થીઓને શારીરિક તકલીફ પણ ઊભી થઈ રહી છે. બેન્ચ પર વિદ્યાર્થીઓ સારી રીતે બેસી પણ શકતા નથી. એક બેન્ચ પર પાંચથી છ વિદ્યાર્થીઓ બેસે છે. સારી રીતે લખી અને વાંચી પણ શકતા નથી. સારી રીતે બેન્ચ ઉપર ન બેસી શકવાને કારણે વિદ્યાર્થીઓને કમર દર્દ અને પગમાં દુ:ખાવાની ફરિયાદ ઉઠી છે.
મારા પગમાં દુ:ખાવો થાય છે
વિદ્યાર્થી રોનક ગુપ્તાએ જણાવ્યું હતું કે, હું ધોરણ સાતમાં ભણું છું, મારા બેન્ચ પર એક સાથે ચાર લોકો બેસે છે. મારા પગમાં દુ:ખાવો થાય છે. હું ભણી પણ શકતો નથી.
પુસ્તકો પણ નીચે પડી જાય છે
ગગનસિંહ મનોજ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું ધોરણ સાતમાં ભણું છું, મારી ક્લાસમાં એ અને બી બંને સેકશનના વિદ્યાર્થીઓ સાથે બેસે છે. એક સીટ પર પાંચ વિદ્યાર્થીઓ બેસે છે. પુસ્તકો પણ નીચે પડી જાય છે. પુસ્તકો ઉચકવાના પણ ભૂલી જઈએ છે. પગમાં દુ:ખાવો થાય છે.
અક્ષર પણ સારી રીતે બનતા નથી
અન્ય વિદ્યાર્થી અંશ વિશ્વકર્માંએ જણાવ્યું હતું કે, અમે એક બેન્ચ પર ચારથી પાંચ લોકો બેસીએ છીએ. બેસવામાં અમને તકલીફ થાય છે. અક્ષર પણ સારી રીતે બનતા નથી. બેસીએ છીએ તો પગ અને કમરમાં દુ:ખાવો શરૂ થઈ જાય છે.
અમુકમાં 10થી 15 વિદ્યાર્થીઓ વધારે બેસે છે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેશ કાપડિયાએ જણાવ્યું હતું કે, હમણાં 3-4 દિવસથી સરપ્રાઈઝ ચેકિંગ માટે હું સ્કૂલોમાં જાવ છું. ગતરોજ ઉધના વિજ્યાનગર પાસે સ્કૂલમાં ગયો હતો. ત્યાં મને એવું લાગ્યું કે, 40ની જગ્યાએ અમુકમાં 10થી 15 વિદ્યાર્થીઓ વધારે બેસે છે. પરંતુ આ મકાનો જર્જરિત હોવાના કારણે અને શાળાઓ મર્જ થવાના કારણે આ થોડો ઘણો પ્રોબ્લેમ છે. પરંતુ એનું પણ ટૂંક સમયમાં નિરાકરણ આવી જશે. કતારગામ, ઉધના અને પાંડેસરા બાજુ બીજી નવી સ્કૂલો બંધાઈ ગયી છે અને એકાદ મહિનામાં કદાચ તેનો કબજો મળશે તો એ બાળકોને ત્યાં શિફ્ટ કરી શકાશે.
9થી 10 શાળાનું બાંધકામ ટૂંક જ સમયમાં શરૂ થશે
વધુમાં જણાવ્યું હતું કે, સ્કૂલોના બાંધકામ કરવા માટે પણ અમુક પ્રક્રિયા હોય છે. સુરત મહાનગર પાલિકા દ્વારા એના પ્રયત્ન થતા હોય છે. હવે સર્વ શિક્ષા અભિયાન હેઠળ રાજ્ય સરકાર આ સ્કૂલોનું બાંધકામ કરવા જઈ રહી છે અને દરેક સ્કૂલો એક જ પ્રકારના પ્લાનિંગ મુજબ થવાનું હોય સર્વ શિક્ષા અભિયાનના અધિકારીઓ પણ વિઝિટ લઇ ગયા છે અને લગભગ 9થી 10 શાળાનું બાંધકામ ટૂંક જ સમયમાં શરૂ થશે અને આના કારણે આવતા વર્ષે જે તકલીફ પડવાની છે તે ના પડે તે માટે રાજ્ય સરકાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચિંતિત છે.
બે વર્ષ બાદ શાળા બનાવવાની કામગીરી હાથ ધરાઈ
શાળામાં થતી અસુવિધાનાં કારણે સરકારી શાળાઓમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ નામ કમી કરવી લીધું છે. હાલ શિક્ષણ સમિતિએ 26 શાળાઓ ખાલી કરી નાખી છે. 26 પૈકી 16 શાળાઓનું ડિમોલિશન પણ કરી નાખ્યું છે. 10 શાળાઓનો ડિમોલિશન કરવાનું બાકી છે. 26 પૈકી માત્ર 4 શાળાનું નવું બાંધકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે એ પણ બે વર્ષ બાદ. ત્યારે તંત્રની ધીમી ગતિએ ચાલી રહેલા કામના કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે.
ભવિષ્યમાં કરમના દુ:ખાવાની સારવાર કરાવી પડે
હાડકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ધીરજ રસ્તોગીએ જણાવ્યું હતું કે, હાલ જે રીતે વિદ્યાર્થીઓ બેસે છે તેને જોઈને કહી શકાય કે, પાંચથી છ કલાક આવી રીતે જો તેઓ બેસી રહે તો તેમની કરોડરજ્જુ પર પણ અસર પડે છે. જેના કારણે કમરમાં દુ:ખાવાની ફરિયાદ તેઓ કરતા હશે. આ સાથે એક જ જગ્યાએ બેસવાથી પગની મુવમેન્ટ પણ થતી નથી જેના કારણે પગમાં દુ:ખાવો થઈ શકે અને બ્લડ સર્ક્યુલેશન પર પણ અસર પડી શકે છે. વધારે સમય જો તેઓ આવી રીતે બેસે અને કમરના દુ:ખાવાની ફરિયાદ કરે તો આવનાર દિવસોમાં તેમને પટ્ટો લગાવીને સારવાર કરાવવી પણ પડી શકે છે.