સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રિએ શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસની સારવાર હેઠળ બાળકનું મોત નીપજ્યું છે. જેને લઈને મૃત્યુ આંક છ થયો છે. ત્યારે હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે.
.
હિંમતનગરમાં શંકાસ્પદ વાઇરસથી મોતનો આંક 6 થયો
આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના આસી. RMO ડૉ. વિપુલ જાનીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં 27 જૂનથી અત્યાર સુધીમાં રાજસ્થાન, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના આઠ બાળકોના કેસ આવ્યા હતા. જેમાંથી 6 બાળકોના મોત થયા છે. જ્યારે હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે.
બાળકને 13 જુલાઈના રોજ દાખલ કરાયો હતો
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામનો 3 વર્ષીય બાળકનું 13 જુલાઈના રોજ દાખલ કરવામાં આવ્યું હતું. જેની હાલત ગંભીર હતી જેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જે બાળકનું બે દિવસની સારવાર દરમિયાન સોમવારે રાત્રિના સમયે મોત નીપજ્યું હતું. તો છેલ્લા 3 દિવસથી કોઈ નવો કેસ આવ્યો નથી જ્યારે પુના ખાતે સાત સેમ્પલ મોકલવામાં આવ્યા છે.
6 દર્દીઓ હાલ સારવાર હેઠળ
રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરા વાયરસના 12 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી 6 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં 4, અરવલ્લી જિલ્લામાં 3, મહીસાગર અને ખેડા જિલ્લામાં એક- એક શંકાસ્પદ કેસ છે. જ્યારે રાજસ્થાનના 2 દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીઓ કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવી હોય આમ કુલ 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે તમામના સેમ્પલ પુના ખાતેની લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેનું પરિણામ સરેરાશ 12થી 15 દિવસમાં આવે છે.
2 વર્ષથી 9 વર્ષ સુધીનાં બાળકોના કેસ નોંધાયા
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પ્રથમ કેસ 27 જૂન 2024ના રોજ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના પલેચા ગામના 4 વર્ષીય બાળકનું મોત થયું હતું. ત્યાર બાદ 5 જુલાઈ 2024ના રોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયાની 6 વર્ષીય બાળકી નીપજ્યું હતું. 9 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના કોડારિયા ગામના 5 વર્ષીય બાળક અને અરવલ્લી જિલ્લાના તાનપુરના 2 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. આમ, 17 દિવસમાં ચારનાં મોત થયાં હતા. ત્યાર બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 8 જુલાઈ 2024ના રોજ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અકીવાડા ગામની 4 વર્ષીય બાળકી અને 9 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપળિયા ગામની 9 વર્ષીય બાળકી સારવાર હેઠળ છે. જ્યારે 13 જુલાઈના રોજ દાખલ કરાયેલા ઢેકવા ગામના 3 વર્ષીય બાળકનું 15 જુલાઈના રોજ સોમવાર રાત્રિના મોત નીપજ્યું હતું.
શું છે આ ચાંદીપુરમ વાઈરસ
આ એક એવો ખતરનાક વાઈરસ છે, જે સીધો બાળકના મગજમાં એટેક કરે છે, જેને કારણે તેમના મગજમાં સોજો આવી જાય છે. શરૂઆતમાં ફ્લૂનાં લક્ષણ દેખાય છે, પરંતુ આગળ જતાં બાળક કોમામાં ચાલ્યું જાય છે. આ વાઈરસનું નામ એક ગામના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ છે. પહેલીવાર 1965માં આ વાઈરસથી બીમાર બાળકોનો મામલો સામે આવ્યો હતો. સામાન્ય રીતે આ વાઈરસ 14 વર્ષ કરતાં નાનાં બાળકોને પોતાનો શિકાર બનાવે છે.
ચાંદીપુરમ વાઈરસ ફેલાવાનું કારણ
આ વાઈરસ ખાસ કરીને મચ્છર અને મોટી માખીઓને કારણે ફેલાય છે. સેન્ડ ફ્લાય માખીઓની એક એવી પ્રજાતિ છે, જે રેતી અને કાદવમાં જોવા મળે છે અને વરસાદમાં એની સંખ્યા ખૂબ વધી જાય છે, પરંતુ મેદાની ક્ષેત્રોમાં એને કારણે ચાંદીપુરા નામનો વાઈરસ ફેલાય છે.
કાચા અને પાકા મકાનની તિરાડો પૂરી દેવી જોઇએ
સેન્ડ ફ્લાય મકાનની તિરાડોમાં જોવા મળે છે, જેથી સાવચેતીના ભારરૂપે કાચા અને પાકા મકાનની તિરાડો પૂરી દેવી જોઇએ. આ ઉપરાંત બાળકને આખાં કપડાં પહેરાવવાં પણ જરૂરી બની જાય છે અને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. ચાંદીપુરમ માટે કોઇ રસી ઉપલબ્ધ ન હોવાથી એના માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે.
માખથી પાંચ ગણી નાની સેન્ડ ફ્લાયથી થતો રોગ
ચાંદીપુરમ વાઇરસનો ફેલાવો સેન્ડ ફ્લાયથી થાય છે. આ માખ સામાન્ય માખથી 5 ગણી નાની હોય છે, પણ ઘરે ઊડતી માખ જેવી જ દેખાય છે. આ માખની બીજી ખાસિયત એ છે કે ઇંડાંમાંથી કોશેટામાંથી માખમાં ફેરવાયા બાદ માંડ 5 ફૂટ જ દૂર જાય છે. આ માખ સૌથી વધુ ઇંડાં કાચાં મકાનોની તિરાડમાં આપે છે, તેથી સેન્ડ ફ્લાયનાં ઇંડાનો નાશ કરવા માટે મેલેથિન પાઉડરનો દીવાલોની તિરાડોમાં વધુ છંટકાવ કરવો જાઈએ.
ચાંદીપુરમ વાઈરસનાં લક્ષણ
- અચાનક તાવ અને માથું દુઃખવું.
- વોમિટિંગ થવી.
- અશક્તિને કારણે બેભાન થઈ જવું.
- ચાંદીપુરમ વાઈરસથી બચવાના ઉપાયો
- ચાંદીપુરમનાં લક્ષણ ઈન્સેફ્લાઈટિસ (મગજનો તાવ)ને મળતા આવે છે. જો કોઈનામા પણ આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. આ વાઈરસ માખીઓ અને મચ્છરોથી ફેલાય છે, આથી ઘર અને બહાર સ્વચ્છતા રાખો, જેથી ઘરમાં મચ્છર કે માખી ન ફેલાય.