4 મિનિટ પેહલા
- કૉપી લિંક
અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાને એક મહિનો બાકી છે. દરેકના મનમાં ઉત્સુકતા છે કે ભગવાન રામની મૂર્તિ કેવી હશે? કેવું બન્યું છે મંદિર? વિશેષતા શું છે? ભાસ્કરના સંકેત ઠાકરે ચંદ્રકાંત સોમપુરા પાસેથી આવા જ પ્રશ્નોના જવાબો લીધા હતા. સોમપુરાએ અયોધ્યાના શ્રી રામ મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરી છે. સમગ્ર નિર્માણ તેમની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. વાંચો તેમના જ શબ્દોમાં …
ચંદ્રકાંત સોમપુરાએ કહ્યું- મંદિર અભિષેક માટે તૈયાર છે. ગર્ભગૃહમાં તે આસન પણ આકાર પામી ચૂક્યું છે, જ્યાં રામલલ્લા બિરાજશે. અમે 5.5 ફૂટની ત્રણ પ્રતિમાઓ બનાવી રહ્યા છીએ. એક શ્યામ રંગની, બીજો ઘાટા કાળા શાલિગ્રામ પથ્થરની અને ત્રીજી સફેદ પથ્થરની. મંદિર ટ્રસ્ટ 29 ડિસેમ્બરે આમાંથી એક મૂર્તિ અંગે નિર્ણય લેશે. તેની પ્રાણ-પ્રતિષ્ઠા થશે.
ગર્ભગૃહમાંથી બહાર આવતાની સાથે જ સામે ગણપતિ અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત થશે. મંદિરની સામે ગરુડજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી રહી છે. મંદિરના બીજા માળે પ્રાણ-પ્રતિષ્ઠા થશે. અહીં રામ દરબાર પણ બનાવવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામ, માતા જાનકી, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ હશે.
કાશીના કલાકારો દ્વારા તૈયાર કરાયેલા રામ-દરબારને પણ રામ-મંદિરમાં શણગારવામાં આવશે.
દરેક પિલરમાં લગભગ 16-16 મૂર્તિઓનું કોતરણી કામ
ચંદ્રકાંત સોમપુરાએ જણાવ્યું કે ભારતમાં મંદિરોની ડિઝાઇનની 16 શૈલીઓ છે. તેમાં 3 મુખ્ય છે. ઉત્તર ભારતમાં નાગારા શૈલી, દક્ષિણમાં દ્રવિડિયન અને મધ્ય-પૂર્વ ભારતમાં પેગોડા શૈલી. અયોધ્યા મંદિર નાગર શૈલીમાં છે. સોમનાથ, સ્વામિનારાયણ, અંબાજી મંદિરો આ શૈલીમાં બંધાયેલા છે. વિષ્ણુની આઠ ભુજાઓ અને આઠ સ્વરૂપોને ધ્યાનમાં રાખીને ગર્ભગૃહને અષ્ટકોણીય બનાવવામાં આવ્યું છે.
કોતરણીમાં ભગવાન શ્રી રામના તે 16 ગુણો જોવા મળશે, જેના કારણે તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યા હતા. ગર્ભગૃહ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે ભક્તો 25 ફૂટ દૂરથી રામલલાના દર્શન કરી શકે. મંદિરને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં હજુ એક વર્ષ લાગશે. અયોધ્યા કોરિડોર બનાવવામાં પણ દોઢથી બે વર્ષનો સમય લાગશે.
મંદિરમાં વિષ્ણુના દશાવતાર, 64 યોગીની, 52 શક્તિપીઠ અને સૂર્યના 12 સ્વરૂપોની મૂર્તિઓ પણ કોતરવામાં આવી છે. દરેક સ્તંભમાં લગભગ 16 શિલ્પો કોતરેલા છે. મંદિરમાં આવા કુલ 250 સ્તંભો છે.
સોમપુરાએ કહ્યું- અયોધ્યા આંદોલન દરમિયાન મંદિર નિર્માણ શરૂ થયું હતું
મંદિર તો અત્યારે ચર્ચામાં આવ્યું પણ તેનું નિર્માણ અયોધ્યા આંદોલન વખતે 1989માં જ શરૂ કરી દેવાયુ હતું. એ વખતના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અશોક સિંઘલે મને ત્યારે મંદિરની ડિઝાઈન બનાવવાનું કહ્યુ હતું. ડીડી બિરલાએ મને કહ્યું હતું કે તમે અશોકજી સાથે અયોધ્યા જાવ અને મંદિર બનવાનું છે એ સ્થળનું માપ લઈ રાખો. જોકે અમે ત્યાં પહોંચ્યા ત્યારે મામલો કોર્ટમાં હતો. સુરક્ષા કારણોસર અમને માપપટ્ટીથી માપ લેવા દેવામાં ન આવ્યું. એટલે અમે પગલાં દ્વારા માપ લીધું હતું. 82 પગલાં જેટલી જગ્યા મંદિર માટે નક્કી કરી હતી. કેટલાક વર્ષો પછી મંદિરનો નકશો તૈયાર થયો ત્યારે અમે એ માપનો જ ઉપયોગ કર્યો હતો.
આ ફોટો ગ્રાઉન્ડ ફ્લોરમાં બનેલા ડોમનો છે. તેમાં સુંદર કોતરણી જોવા મળે છે.
મંદિરનો દરવાજો લગભગ 10 ફૂટ પહોળો અને 15 ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો છે.
સોમનાથ મંદિરની રચના ચંદ્રકાંતના પિતાએ કરી હતી
સોમપુરા પરિવાર 18 પેઢીઓથી મંદિરની ડિઝાઇનનું કામ કરે છે. ચંદ્રકાંત સોમપુરા અને તેમના પુત્ર આશિષે દેશ-વિદેશમાં 31 મંદિરોની ડિઝાઈન તૈયાર કરી છે. 12 જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ સોમનાથ મંદિર અને 51 શક્તિપીઠોમાં સમાવિષ્ટ અંબાજી મંદિરની રચના ચંદ્રકાંતના પિતા પ્રભાશંકર સોમપુરા દ્વારા કરવામાં આવી હતી. ચંદ્રકાંતના દાદા રામજીભાઈએ ગુજરાતમાં પાલીતાણા મંદિરની રચના કરી હતી. મંદિરનો એક દરવાજો તેમના નામથી પણ ઓળખાય છે.