સ્પોર્ટ્સ ડેસ્ક38 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPLની નવી સિઝન પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુધવારે (31 જુલાઈ) મુંબઈમાં તમામ 10 ટીમના માલિકો સાથે બેઠક યોજી હતી. મિટિંગ પછી જારી કરાયેલ એડવાઈઝરીમાં, BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ બોર્ડે બુધવારે 10 ફ્રેન્ચાઈઝીના માલિકો સાથે IPLની આગળની સિઝન સંબંધિત ઘણા વિષયો પર વાતચીત કરી હતી.
તેમણે નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, ફ્રેન્ચાઇઝી માલિકોએ ખેલાડીઓના નિયમન અને લાયસન્સ, ગેમિંગ સહિત ઘણા વ્યવસાયિક પાસાઓ પર પ્રતિસાદ આપ્યો છે. તેમણે કહ્યું, BCCI આગામી થોડા અઠવાડિયામાં ફ્રેન્ચાઈઝીઓને તેના નિર્ણયની જાણ કરશે.
ANI અનુસાર, મિટિંગ પછી, BCCI સેક્રેટરી જય શાહ, પંજાબ કિંગ્સના સહ-માલિક નેસ વાડિયા અને કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન BCCI હેડ-ક્વાર્ટરની બહાર જોવા મળ્યા હતા.

BCCI સેક્રેટરી જય શાહ બેઠક માટે મુંબઈ હેડ-ક્વાર્ટરની બહાર.
ઘણી ટીમે મેગા ઓક્શનનો વિરોધ કર્યો
ક્રિકબઝના અહેવાલમાં જણાવાયું છે કે ઘણી ટીમે મેગા ઓક્શનનો વિરોધ કર્યો હતો. તે જ સમયે, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માલિક શાહરૂખ ખાન અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના સીઈઓ કાવ્યા મારને તેને બંધ કરવાની માગ કરી હતી.
શાહરૂખ અને નેસ વાડિયા વચ્ચે ઉગ્ર દલીલ થઈ
ક્રિકબઝના અહેવાલ મુજબ, શાહરૂખ ખાન આગામી મેગા ઓક્શનની વિરુદ્ધ હતો, જ્યારે પંજાબ કિંગ્સના માલિક નેસ વાડિયા ઇચ્છતા હતા કે ઓક્શન થાય. શાહરૂખે મિટિંગમાં પોતાનો મત પણ વ્યક્ત કર્યો હતો કે મિની ઓક્શન થવું જોઈએ અને શક્ય તેટલા ખેલાડીઓને રિટેઇન રાખવાની સુવિધા પૂરી પાડવી જોઈએ. જ્યારે નેસ વાડિયાએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ મુદ્દા પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે બંને વચ્ચે પોતપોતાના મુદ્દા પર દલીલો શરૂ થઈ ગઈ હતી.

મિટિંગ બાદ નેસ વાડિયાએ પત્રકારોને કહ્યું કે, આ એક સારી મિટિંગ હતી. BCCI સાથે ચર્ચા કરીને ખુશ છું અને મને લાગે છે કે જે પણ નિર્ણય લેવામાં આવશે તે દરેકના હિતમાં હશે.