સંયુક્ત રાષ્ટ્રના વડાને એવું લાગે છે કે મોદી હૈ તો મુમકિન હૈ. લગભગ અઢી વર્ષથી યુક્રેન પડોશી દુશ્મન રશિયા સાથે બાથ ભીડી રહ્યું છે. રશિયાએ કીડીને કોસનો ડામ આપ્યો પણ કીડી જેવડું યુક્રેન માથાભારે છે અને જીવ પર આવીને લડી રહ્યું છે. ખુંવારી તો બહુ મોટી થઇ
.
નમસ્કાર
આજે વાત કરીએ યુક્રેન-રશિયાના અવિરત અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધની અને બંને દેશ સાથે એકસરખી દોસ્તી ધરાવતા ભારતની ભૂમિકાની. મોદી યુક્રેન જનારા ભારતના પહેલા વડાપ્રધાન છે.
નીચેની તસવીરો જૂઓ
મોદીએ હાથ મિલાવ્યા, મોદી ભેટ્યા અને મોદીએ એક વડીલ રાજનેતાની માફક ઝેલેન્સ્કીના ખભે હાથ હૂફનો હાથ મૂક્યો. ડિપ્લોમસીમાં બોડી લેન્ગ્વેજનું ઘણું મહત્વ હોય છે. બે નેતા મળે ત્યારે તેમની વાતચીતના શબ્દો કરતા હાવભાવ અને વર્તાવનું પરીક્ષણ ઘણી વાતો કહી જતું હોય છે.
હવે ક્રોનોલોજી સમજો..
રશિયાની મુલાકાતના દોઢ મહિના પછી મોદી યુક્રેન પહોંચ્યા છે. સાદી ભાષામાં સમજીએ તો પુતિનને મળ્યા પછી દોઢ મહિને જ મોદી ઝેલેન્સ્કીને મળ્યા. પુતિનને મળ્યા ત્યારે પણ મોદીએ આ યુદ્ધના અંત લાવવા ભારતની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. એ અગાઉ જૂન મહિનામાં મોદી જી-7 સમિટ ઇટાલીમાં ઝેલેન્સ્કીને પણ મળ્યા હતા. એ વખતે પણ મોદીએ ડાયલોગ અને ડિપ્લોમસીની મદદથી યુદ્ધનો શાંતિપૂર્ણ અંત લાવવાની વાત કરી હતી.
વિદેશમંત્રી જયશંકરે સ્પષ્ટ કહ્યું કે વડાપ્રધાન મોદીએ આજે પુતિન સાથેની મુલાકાત વખતે જે વાતો થઇ તેના વિશે પણ ચર્ચા કરી છે. એનો મતલબ એ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે. ‘હવે તો યુદ્ધ ખતમ એ જ કલ્યાણ’ : ‘ભરોસાની સરકાર’ ચલાવતા મોદી પર UN ચીફને પણ ભરોસો છે.
મોદી રશિયા ગયા હતા ત્યારે ઝેલેન્સ્કીએ ટીકા કરી હતી
પીએમ મોદીની શુક્રવારની યુક્રેન મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે તેઓ ગયા મહિને જ રશિયા ગયા હતા. આ પ્રવાસની શરૂઆતમાં જ વડાપ્રધાન મોદીએ ખાનગી ડીનરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે યુક્રેન યુદ્ધ સહિત વિવિધ મુદ્દાઓ પર અનૌપચારિક વાતચીત થઈ હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ મોદીની મુલાકાતની ટીકા કરી હતી. ઝેલેન્સ્કીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, મોદીની મુલાકાતથી શાંતિ પ્રયાસોને ફટકો પડ્યો છે. વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશના નેતા વિશ્વના સૌથી મોટા ખૂનીને ભેટે તે શરમજનક છે.
યુક્રેને રશિયા પર હુમલા શરૂ કર્યા ને મોદી યુક્રેન પહોંચ્યા
અત્યાર સુધી એવું હતું કે, રશિયા આક્રમક રીતે યુક્રેન પર હુમલા કરતું હતું. યુક્રેનમાં ઘણા નાગરિકો મર્યા, ઘણા ઘાયલ થયા. એવામાં છેલ્લા એક સપ્તાહથી યુક્રેને રશિયા પર હુમલા વધારી દીધા છે. યુક્રેને રશિયાની ઘણી જમીન પર કબજો જમાવી લીધો છે. રશિયાની સેમ નથી પરના ચાર પુલ રશિયાની સપ્લાય ચેન જેવા હતા. નરેન્દ્ર મોદી યુક્રેન પહોંચે તેના બે દિવસ પહેલાં જ યુક્રેને મિસાઈલ મારો કરીને ત્રણ પુલ તો તોડી નાંખ્યા. આ હુમલાના બે દિવસ પછી મોદી યુક્રેન પહોંચ્યા છે.
ભારતે ક્યારે-ક્યારે યુક્રેનની વિરુદ્ધમાં રશિયાનો સાથ આપ્યો?
- 2023માં ભારતમાં થયેલા જી-20 સંમેલનમાં વેસ્ટર્ન દેશોનું દબાણ છતાં યુક્રેનને આમંત્રણ નહોતું આપ્યું.
- 2022માં UNSCમાં યુક્રેનના વિસ્તારો પર રશિયાનો કબજો અને જનમત સંગ્રહ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ રજૂ થયો હતો. પણ ભારત આ પ્રસ્તાવ પર વોટિંગ કરવાથી દૂર રહ્યું.
- જુલાઈ 2024માં UNGAમાં યુક્રેન વિરૂદ્ધ રશિયાના હુમલાને રોકવા માટે વોટિંગ થયું. જો કે ભારત તેમાંથી પણ દૂર રહ્યું.
- રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત પછી પશ્ચિમી દેશોએ રશિયાના ઓઈલ પર પ્રતિબંધ મૂક્યો. પણ ભારતે પ્રતિબંધો વચ્ચે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખ્યું.
- ભારત-રશિયા વચ્ચે 2021-22માં 60 અરબ ડોલરનો વેપાર હતો, જે 2030 સુધીમાં 100 બિલિયન ડોલર પહોંચવાનું લક્ષ્ય છે.
યુક્રેન જનારા પહેલા ભારતીય વડાપ્રધાન મોદી
પીએમ મોદી યુક્રેનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. યુક્રેનની સ્થાપના 1991માં સોવિયત સંઘના તૂટ્યા બાદ થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી કોઈપણ ભારતીય વડાપ્રધાન યુક્રેન ગયા નથી. પીએમ મોદીની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે. 24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયન હુમલા બાદથી અત્યાર સુધી નાટો દેશો સિવાય અન્ય કોઈ દેશના નેતાએ યુક્રેનની મુલાકાત લીધી નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી થોડા મહિના પહેલાં જ પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. ઝેલેન્સ્કીના આમંત્રણ પર મોદી યુક્રેન પહોંચ્યા છે.
ડાયલોગ અને ડિપ્લોમસીથી સમાધાન આવી શકશે?
યુક્રેન ગયા પહેલાં નરેન્દ્ર મોદી પાડોશી દેશ પોલેન્ડમાં હતા. નરેન્દ્રભાઈએ પોલેન્ડમાં કહ્યું કે, કોઈપણ સંકટમાં નિર્દોષ લોકોના જીવ જાય છે તે માનવતા માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. ડાયલોગ અને ડિપ્લોમસીથી યુક્રેન સંકટનું સમાધાન કાઢવું જરૂરી છે.
‘રશિયા-યુક્રેન વચ્ચે સમય બગાડ્યા વિના વાતચીત થવી જોઈએ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે ત્રણ કલાકની દ્વિપક્ષીય મિટિંગ થઈ હતી. આ મિટિંગ દરમિયાન બંને દેશના નેતાઓ વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર ખુલીને વાત થઈ હતી.
- મોદીએ ઝેલેન્સ્કીને કહ્યું, યુદ્ધની ભયાનકતા જોઈને દુ:ખ થાય છે
- યુએન ચાર્ટર હેઠળ કોઈપણ દેશનું પ્રાદેશિક સાર્વભૌમત્વ જાળવવા બંને સંમત થયા.
- મોદીએ કહ્યું, યુદ્ધથી સમસ્યા ઉકેલાતી નથી. રશિયા-યુક્રેન વચ્ચે સમય બગાડ્યા વિના વાતચીત થવી જોઈએ.
- વડાપ્રધાને કહ્યું, ‘ભારત શાંતિ માટેના પ્રયાસોમાં સક્રિય ભૂમિકા ભજવશે.’
- ઝેલેન્સ્કીએ રશિયા પાસેથી ઓઈલ ખરીદવા વિશે ભારતને સવાલ કર્યો
- ભારતે ઝેલેન્સકી સમક્ષ દેશની સ્થિતિ રજૂ કરીને બજારની સ્થિતિ સમજાવી હતી.
- મોદીએ યુદ્ધ પૂરું કરવા પર જોર આપીને કહ્યું કે, યુદ્ધમાં ભારતનું વલણ ક્યારેય તટસ્થ હતું નહીં. અમે હંમેશાં શાંતિનો પક્ષ લીધો છે.
- ભારતે યુક્રેનને મેડિકલ કીટનો બહુ મોટો જથ્થો આપ્યો છે. જેથી યુદ્ધમાં ઘાયલોનો ઈલાજ થઈ શકે
- PM મોદીએ ઝેલેન્સ્કીને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું.
- બંને દેશ વચ્ચેની મિટિંગની બ્રીફ વિદેશમંત્રી એસ.જયશંકરે આપી હતી.
- તેમણે કહ્યું કે, જે ભારતીય સ્ટુડન્ટ યુક્રેનમાં છે તે સાવધાન રહે. અમને આશા છે યુદ્ધ જલ્દી પૂરું થઈ જશે.
- 24 ઓગસ્ટ યુક્રેનનો નેશનલ ડે છે, મોદીએ તેની શુભેચ્છા આપતાં કહ્યું, અમને આશા છે કે, યુક્રેનમાં જલ્દી શાંતિ સ્થપાશે
છેલ્લે,
UNના ચીફે આશાવાદ વ્યક્ત કર્યો છે કે, મોદીની યુક્રેનની મુલાકાત પછી જલ્દી યુદ્ધ પૂરું થવાની આશા છે. ગયા મહિને મોરારિબાપુએ UNમાં રામકથા કરી હતી અને યુનાઈટેડ નેશન્સની મુખ્ય ઓફિસમાં રામ પોથીની સ્થાપના કરી હતી. મોદીએ પુતિન અને ઝેલેન્સ્કીને મળીને યુદ્ધ પૂરું કરવાની વાત તો કરી છે, હવે બંને યુદ્ધખોર નેતાઓના હૃદયમાં રામ વસે એ જરૂરી છે.