2 કલાક પેહલાલેખક: શૈલી આચાર્ય
- કૉપી લિંક
એક સમય હતો જ્યારે બોલવું એ કોઈપણ માનવીનો સૌથી મોટો ગુણ માનવામાં આવતો હતો. વ્યક્તિ જેટલી સ્પષ્ટતાથી બોલી શકે, તેટલું સારું માનવામાં આવતું હતું. અંગત અને વ્યાવસાયિક સંબંધો પણ બોલવાની ક્ષમતા પર આધાર રાખે છે.
પરંતુ બદલાતી ટેક્નોલોજીના યુગમાં હવે માત્ર બોલવું એ કરિયર કે રિલેશનશિપમાં સફળતાનું કારણ નથી. આઈટી યુગમાં આપણે બોલવાને બદલે લખીને મેસેજ મોકલવાનું પસંદ કરીએ છીએ. ભલે તમે તમારી લાગણીઓ કોઈ પ્રિય વ્યક્તિ સમક્ષ વ્યક્ત કરવા માંગતા હોવ અથવા તમારા બોસને ઑફિસમાં મોડા પહોંચવા વિશે જાણ કરવા માંગતા હો, આપણે ઝડપથી ટેક્સ્ટ મોકલી શકીએ છીએ.
સ્ટેટિસ્ટાના રિપોર્ટ અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે 2.78 અબજ લોકોએ વોટ્સએપ પર મેસેજ મોકલ્યા છે. 2023ની વાત કરીએ તો ભારતીયોએ એક દિવસમાં લગભગ 140 અબજ મેસેજ મોકલ્યા હતા. આમાં ટેક્સ્ટ, ફોટા, વિડિઓઝ, લિંક્સ, સંપર્કો શામેલ છે.
સરેરાશ, એક ભારતીય વ્હોટએપ યૂઝર દર મહિને 21.4 કલાક માત્ર વ્હોટસએપ પર વિતાવે છે. તે વિચારવામાં અજુગતું લાગે છે, પરંતુ આ સત્ય છે. આપણે સોશિયલ મીડિયા પર કેટલો સમય પસાર કરીએ છીએ તેના પર ક્યારેય ધ્યાન આપતા નથી. દર પાંચ મિનિટે આપણો ફોન ચેક કરવો, કોઈના મેસેજની રાહ જોવી, સવારથી રાત સુધી ફોનનો ઉપયોગ કરવો, જેમાં આપણે મોટાભાગનો સમય મેસેજિંગમાં જ પસાર કરીએ છીએ.
કેનેડિયન વાયરલેસ ટેલિકોમ્યુનિકેશન એસોસિએશન (CWTA) અનુસાર, કેનેડિયનો દરરોજ સરેરાશ 250 મિલિયન ટેક્સ્ટ સંદેશાઓ મોકલે છે. ટેક્સ્ટિંગની સગવડ અને ત્વરિત પ્રતિભાવે તેને સંચાર માટે સૌથી વધુ પસંદગીનો વિકલ્પ બનાવ્યો છે. પરંતુ શું તમે ટેક્સ્ટિંગ અને મેસેજિંગના નિયમોથી પરિચિત છો? કદાચ નહીં. તમે વિચારી રહ્યા હશો કે આવું પણ કંઈક બને છે.
તો આજે ‘ રિલેશનશિપ ‘ કોલમમાં આપણે ટેક્સ્ટિંગની રીતભાત વિશે વાત કરીશું. આપણે કેટલીક ટિપ્સ શીખીશું, જેની મદદથી મેસેજને વધુ અસરકારક બનાવી શકાય છે. તમે તમારો સંદેશ અન્ય વ્યક્તિ સુધી વધુ સારી રીતે કેવી રીતે પહોંચાડી શકો? આપણે એ પણ જાણીશું કે મેસેજ મોકલતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
મોટાભાગના અંતર્મુર્ખી(ઇન્ટ્રોવર્ટ) લોકો ટેક્સ્ટ સંદેશાઓ દ્વારા વાત કરવાનું પસંદ કરે છે
શું તમે એવા લોકોમાંથી એક છો કે જેમને વ્યક્તિગત રૂપે અથવા કૉલ કરવાને બદલે સંદેશાઓ દ્વારા તેમના વિચારો વ્યક્ત કરવાનું વધુ સારું લાગે છે? આ મોટાભાગે અંતર્મુખી લોકો એટલે કે એવા લોકો છે જેઓ બધાની સામે બોલવામાં શરમાતા હોય છે. તેઓ વધુ વાત કરવાનું પસંદ કરતા નથી તેમને સંદેશાઓ દ્વારા વાત કરવામાં વધુ આરામદાયક લાગે છે.
તે જ સમયે, બહિર્મુખ લોકો તે છે જે સરળતાથી ચાર લોકોની સામે તેમના વિચારો વ્યક્ત કરે છે. તેમનો આત્મવિશ્વાસ અન્ય લોકો કરતા વધારે હોય છે. તેઓ તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે ટેક્સ્ટનો આશરો લેતા નથી, બલ્કે તેઓ ખુલ્લેઆમ તેમના વિચારો વ્યક્ત કરે છે.
ટેક્સ્ટ કરવાની એક રીત પણ છે. અમેરિકન લેખિકા એલિઝાબેથ રોસીએ આ વિષય પર એક પુસ્તક લખ્યું છે – ‘ધ ટેક્સ્ટ બુક.’ આ પુસ્તકમાં તેમણે જણાવ્યું છે કે તમે તમારા ટેક્સ્ટિંગ અને કોમ્યુનિકેશનને કેવી રીતે સુધારી શકો છો. આમાં તેણે ટેક્સ્ટિંગ કરતી વખતે કેટલીક ભૂલો વિશે પણ જણાવ્યું છે.
સોશિયલ મીડિયાના કારણે ટેક્સ્ટિંગનું ચલણ વધ્યું
આજના ડિજિટલ યુગમાં કોમ્યુનિકેશનની રીત પણ વિકસી રહી છે. ટેક્સ્ટ મેસેજિંગ એ આપણા જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે. આનાથી આપણે મિત્રો, કુટુંબીજનો અને વ્યવસાયો અથવા આપણી નોકરીઓ સાથે જોડાયેલા રહેવાની રીત બદલી નાખી છે.
સોશિયલ મીડિયાની શરૂઆતથી તેનો ઉપયોગ વધુ વધી ગયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ સૌથી વધુ ટેક્સ્ટમાં વાત કરવાનું પસંદ કરે છે. કોઈની સ્ટોરી કે સ્ટેટસ પર કોમેન્ટ કરવાથી લઈને વાત કરવા સુધી, આપણે મેસેજ મોકલીએ છીએ. આ કારણે, આજના યુગમાં, મોટાભાગે ટેક્સ્ટ દ્વારા વાત કરતા લોકો ‘ટેક્સ્ટ્રોવર્ટ’ તરીકે ઓળખાવા લાગ્યા છે.
‘મેનર્સ ઇન એ ડિજિટલ વર્લ્ડઃ લિવિંગ વેલ ઓનલાઈન’ના લેખક ડેનિયલ સેનિંગે પણ ટેક્સ્ટિંગને લઈને કેટલીક ટિપ્સ આપી છે, જેમાં તમે ટેક્સ્ટિંગના નિયમો અને શરતો પર ધ્યાન આપી શકો છો.
ટેક્સ્ટ ટૂંકો રાખો
ટેક્સ્ટ મેસેજિંગ એ સંચારનું ટૂંકું સ્વરૂપ છે. જો તે ખૂબ લાંબુ ચાલે તો તે બોજ બની જાય છે. જો તમારી પાસે ઘણું કહેવાનું હોય, તો રિસીવરને વાંચવાનું સરળ બનાવવા માટે બહુવિધ ટેક્સ્ટમાં સંદેશ મોકલો.
સંવેદનશીલ સમાચાર ન મોકલો
કેટલીક માહિતી સંદેશાઓ દ્વારા આપવામાં આવતી નથી. જેમ કે કોઈની સાથે સંબંધ તોડવો, કોઈને નોકરીમાંથી કાઢી મૂકવો, કોઈના મૃત્યુના સમાચાર કે અન્ય સંવેદનશીલ સમાચાર ટેક્સ્ટ દ્વારા મોકલવા જોઈએ નહીં. ફોન પર અથવા રૂબરૂમાં આવા સંદેશાઓ પહોંચાડવા વધુ સારું છે.
અયોગ્ય સમયે સંદેશા મોકલશો નહીં
આપણી પાસે એવા મિત્રો છે કે જેઓ ટેક્સ્ટ મોકલ્યા વિના ભોજન કરવા બેસી શકતા નથી. પરંતુ આવા લોકો સૌથી મોટી ભૂલ એ કરે છે કે તેઓ ક્યારે અને ક્યાં મેસેજ મોકલી રહ્યા છે તે વિશે વિચારતા નથી. જાહેર મેળાવડા દરમિયાન ટેક્સ્ટિંગને અસંસ્કારી, અસંવેદનશીલ અને ખલેલ પહોંચાડનાર ગણી શકાય. કેટલાક લોકોને અડધી રાત્રે પણ મેસેજ મોકલવાની આદત હોય છે. આવું કરવું મેસિજિંગ શિષ્ટાચારની વિરુદ્ધ છે.
ટેક્સ્ટ મેસેજિંગનો ઇતિહાસ
ટેક્સ્ટ મેસેજિંગ, જેને SMS તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની શરૂઆત 1990ના દાયકામાં થઈ હતી, જ્યારે મોબાઈલ ફોન બજારમાં આવ્યા હતા. શરૂઆતમાં, તેનો ઉપયોગ મુખ્યત્વે વ્યક્તિઓ વચ્ચેના સંચારના સ્વરૂપ તરીકે થતો હતો. જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થયો, તેમ ટેક્સ્ટિંગ પણ થયું.
પરંતુ 2000 ના દાયકામાં મોબાઇલ ઉપકરણોના કદ અને કાર્યક્ષમતામાં ફેરફાર થતાં, વધુને વધુ લોકોએ સંદેશાવ્યવહારની તેમની પસંદગીની પદ્ધતિ તરીકે ટેક્સ્ટ મેસેજિંગને અપનાવ્યું. તે વ્યક્તિગત અને વ્યવસાયિક સંચાર માટે ગેમ ચેન્જર બન્યું.
હવે, મેસેજમાં ઈમોટિકોન્સથી લઈને સંક્ષિપ્ત શબ્દો સુધીની દરેક વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી મેસેજને ટૂંકમાં વધુ સારી રીતે સમજી શકાય.