1 કલાક પેહલા
- કૉપી લિંક
અયોધ્યાનું રામ મંદિર
ઉત્તરાયણ પછી તરત કમૂરતા ઉતરે એટલે અયોધ્યા તરફ આખા દેશનું જ નહીં, વિશ્વભરમાં વસતા ભારતીયોનું ધ્યાન કેન્દ્રીત થશે. કારણ કે 15મી જાન્યુઆરીથી અયોધ્યાના નવા રામ મંદિરમાં રામલલાને બિરાજમાન કરવાની તૈયારીઓ શરૂ થઈ જશે. 16 જાન્યુઆરીથી રોજેરોજ વિધિ-વિધાન અને અનુષ્ઠાનો હશે. આ તમામ વિધિ પ્રાણ પ્રતિષ્ઠાનો જ એક ભાગ છે. 16થી 21 સુધી અલગ અલગ પૂજન થશે અને 22મી જાન્યુઆરી, 2024ને સોમવારે બપોરે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
16 જાન્યુઆરીથી જે કાર્યક્રમો, પૂજાપાઠ, વિધિ થવાની છે તેની રૂપરેખા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી જાહેર કરાઈ છે. શું છે આ રૂપરેખા. ગ્રાફિક્સથી જાણો…
સંપૂર્ણ મંદિરને તૈયાર થવામાં હજુ 2 વર્ષ લાગશે
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય કહે છે, ‘ઉદઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને ગર્ભગૃહનું કામ પૂર્ણ થઈ ગયું છે, જો કે સમગ્ર મંદિરને તૈયાર થવામાં હજુ બે વર્ષનો સમય લાગશે. અમે ઈચ્છીએ છીએ કે લોકો 22 જાન્યુઆરીને આનંદના તહેવાર તરીકે ઊજવે અને અયોધ્યા આવવાને બદલે પોતાના ઘરની નજીકના મંદિરમાં તહેવાર ઊજવે.
ટ્રસ્ટ અનુસાર, 22 જાન્યુઆરીએ રામમંદિરના ઉદ્ઘાટનના બીજા જ દિવસે 23 જાન્યુઆરીથી ભક્તો રામલલ્લાનાં દર્શન કરી શકશે. ઉદ્ઘાટન માટે આવનારા લોકોને રહેવા માટે નાઈટ શેલ્ટર બનાવવામાં આવી રહ્યા છે. લોકો ધર્મશાળા અને ટીન કમ્પાર્ટમેન્ટમાં પણ રોકાઈ શકશે. મણિ પર્વત પાસે ટીન શેડમાંથી ટીન સિટી બનાવવામાં આવી છે. અહીં સાડા ત્રણ હજારથી વધુ સંતો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
22મીએ યજમાન હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ બની રહેલા ભવ્ય રામમંદિરના અભિષેકની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે અને તમામ અગ્રણી હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ અને વિશ્વના ઘણા VVIP મહેમાનો આ અભિષેક સમારોહમાં હાજરી આપે એવી અપેક્ષા છે. સરકાર આ સમારોહને ભવ્ય બનાવવામાં કોઈ કસર છોડવા માગતી નથી. ભગવાન શ્રીરામલલ્લાનું ગર્ભગૃહ લગભગ તૈયાર છે. લાઈટિંગ-ફિટિંગની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે.
અયોધ્યામાં બિરાજિત રામલલાની વર્તમાનમાં પૂજાતી પ્રતીમા
એક અઠવાડિયા પહેલાં કાર્યક્રમો શરૂ થશે
અભિષેક સમારોહના એક સપ્તાહ પહેલાં જ વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થશે. એની શરૂઆત શહેરમાં એક ટેબ્લોથી થશે. એમાં ભગવાન રામના જન્મથી લઈને વનવાસ સુધીની તસવીરો હશે. લંકા પરની જીત અને અયોધ્યા પરત ફરવાની ઝલક પણ જોવા મળશે.
30 ડિસેમ્બરે એરપોર્ટનું ઉદઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા આવવાના છે. અયોધ્યાની આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અયોધ્યામાં બનેલા શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરશે. આ પછી તેઓ એરપોર્ટથી સીધા અયોધ્યાધામ રેલવે સ્ટેશન સુધી 8 કિલોમીટર લાંબો રોડ શો કરશે. ત્યાર બાદ અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ તેઓ અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદઘાટન પણ કરશે.