નવી દિલ્હી26 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત નાણાવર્ષ 2030-31 સુધીમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઇ રહ્યું છે, જેનું કારણ વાર્ષિક ધોરણે 6.7%નો મજબૂત આર્થિક વૃદ્ધિદર છે તેવું ક્રેડિટ રેટિંગ એજન્સી એસ એન્ડ પી ગ્લોબલે જણાવ્યું હતું. અર્થતંત્રની વૃદ્ધિને વેગ આપવા માટે વધુ કેટલાક પગલાંઓ પણ સૂચવ્યા હતા.
ગ્રોથ મોમેન્ટમને જાળવવા માટે, રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ તેમજ લોજિસ્ટિક્સને સુધારવા માટે સતત સુધારા મહત્વપૂર્ણ છે, જેનાથી ખાનગી ક્ષેત્રે પણ રોકાણને વેગ મળશે અને જાહેર મૂડી પરની નિર્ભરતા ઘટશે. ક્રેડિટ રેટિંગ એજન્સીએ અનુમાન વ્યક્ત કર્યું છે કે ભારતીય ઇક્વિટી માર્કેટ મજબૂત ગ્રોથની સંભાવનાઓ અને ચુસ્ત નિયમનને કારણે વધુ ગતિશિલ અને સ્પર્ધાત્મક રહેશે.
ભારત ઉભરતા માર્કેટ ઇન્ડેક્સમાં સામેલ થવાને કારણે ભારતીય સરકારી બોન્ડમાં વિદેશી રોકાણમાં વધારો થઇ રહ્યો છે. રેટિંગ એજન્સીએ વધુમાં ઉમેર્યું હતું કે ભારત વેપારને વધારવા માટે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરશે તેમજ ભૌગોલિક રાજકીય વ્યૂહરચના બનાવશે. વધતી ઉર્જા જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે દેશમાં રિન્યુએબલ તેમજ ઓછું ઉત્સર્જન કરે તેવા ઇંધણ સહિત ટકાઉ ટેક્નોલોજી વિકસિત કરવાની જરૂરિયાત છે જેથી કરીને દેશની ઉર્જા સલામતીમાં સંતુલન લાવી શકાય. કૃષિ ક્ષેત્ર પણ એડવાન્સ ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોડક્ટિવિટી સુધારવા માટે નવી પોલિસી પર નિર્ભર રહેશે.
આર્થિક સ્થિરતા તેમજ ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવા માટે સિંચાઇ, સંગ્રહ અને વિતરણ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની અનિવાર્યતા રહેશે. AIના ઉપયોગને કારણે અર્થતંત્રનો વૃદ્ધિદર વધશે જેનાથી પબ્લિક પ્રાઇવેટ પાટર્નરશિપ માટે નવી તકોનું સર્જન થશે.
2023-24માં ભારતે 8.2%નો વૃદ્ધિદર નોંધાવ્યો હતો નાણાવર્ષ 2023-24 દરમિયાન ભારતે 8.2%નો પ્રભાવી આર્થિક વૃદ્ધિદર નોંધાવ્યો હતો, જે સાથે વિશ્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યું હતું. વર્ષ 2022-23માં દેશનો આર્થિક વૃદ્ધિદર 7.2% અને 2021-22 દરમિયાન 8.7% રહ્યો હતો. અનેક વૈશ્વિક રેટિંગ એજન્સીએ પણ દેશના આર્થિક વૃદ્ધિદરને વધાર્યો છે.