માતાજીની આરાધનાનું પર્વ એટલે નવલા નોરતા… નવરાત્રિ શરૂ થવાને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શક્તિની ભક્તીમાં લીન થવા બાળાઓ આતુર જોવા મળી રહી છે. રાજકોટમાં અર્વાચીન રાસોની ઝાકમઝાળ વચ્ચે આજે પણ પ્રાચીન ગરબીનુ મહત્વ યથાવત્ જોવા મળી ર
.
જલતો જલતો જાય, અંબે માનો ગરબો જલતો જાય.. પવન ઝપાટા થાય તોય, માનો ગરબો ઝલતો જાય.. અંબે માનો ગરબો જલતો જાય..
રાજકોટમાં 16 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન.
છેલ્લા 16 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન રાજકોટના વિવિધ વિસ્તારોમાં આજે પણ પ્રાચીન ગરબીનું મહત્વ અને આયોજન જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરના મવડી ચોક વિસ્તારમાં શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 16 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ 17માં વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના નવે’ય દિવસ અહીં હજારોની સંખ્યામાં ભાવિકો માઁની આરાધનામાં લીન બનીને ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા આવે છે.
રાસ દરમિયાન થાય છે સાક્ષાત માઁના દર્શન શ્રી બજરંગ ગરબી મંડળમાં વર્ષોથી સળગતી ઇંઢોણીના રાસે ભાવિકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે. આ રાસની વિશેષતા એ છે કે, તેમાં માત્ર 6 બાળા પોતાના માથે સળગતી ઇંઢોણી મૂકીને ગરબે ઘૂમે છે. તે વેળાએ માઁ દુર્ગાની જાણે આ બાળાઓમાં પ્રચંડ શક્તિ સમાઇ હોય તેવા દૃશ્યો નિહાળવા મળે છે. આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો એ પણ ડરને જન્માવે છે, જ્યારે આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે. ત્યારે માઁના ચરણમાં આપો આપ નતમસ્તક થવાનું મન થાય છે. કારણ કે, ભક્તિની શકિત વિના અને માઁના આશિર્વાદ વગર આ કરવું એ બિલકુલ સરળ નથી.
સળગતી ઈંઢોણી રાસ દરમિયાન બાળાઓમાં થાય છે સાક્ષાત માઁ દુર્ગાના દર્શન.
પ્રેક્ટિસ કરતી 6 બાળામાં અનેરો ઉત્સાહ હાલ નવરાત્રિની પ્રેક્ટિસ ચાલી રહી છે. ત્યારે આ સળગતી ઇંઢોણીના રાસની પ્રેક્ટિસ કરતી 6 બાળામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળાઓ કોઈ પણ જાતના ડર વગર આ રાસ માટે પ્રેક્ટિસમાં લાગી ગઇ છે. પ્રેક્ટિસ દરમિયાન પણ માતાજીના આશિર્વાદનું કવચ બાળાઓને મળે છે. આ છ બાળાને સળગતી ઇંઢોણી માથે લઇને ઘૂમતી જોવી એ પણ એક લ્હાવો હોય છે.
કુલ 12 બાળાને તાલીમ અપાઈ છેઃ આયોજક ગરબીના આયોજક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શહેરના મવડી ચોક વિસ્તારમાં બજરંગ ગરબી મંડળમાં છેલ્લા 16 વર્ષથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે 17માં વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબીમાં 30 બાળાઓ રાસ રમી રહી છે. સળગતી ઈંઢોણી રાસમાં 6 બાળાની ટીમ દ્વારા રાસ રમાઈ છે. કુલ 12 બાળાને તાલીમ અપાઈ છે. નવરાત્રિ દરમિયાન ત્રીજા, છઠા અને નવમાં દિવસે આ રાસનું આયોજન કરાઈ છે. એક વખત રાસ રમનાર ટીમને બીજી વખત આરામ અપાઈ છે. કલાકારો દ્વારા ગરબા ગવડાવામાં આવે છે.
કુલ 12 બાળાને રાસની તાલીમ અપાઈ છે.
ફાયર સેફટીના સાધનો સાથે પણ રખાયા અહીંના રાસમાં મુખ્યત્વે ટિપ્પણી રાસ, મનજીરા રાસ, કરતાલ રાસ, ગાગર રાસ અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવો સળગતી ઈંઢોણીનો રાસ બાળાઓ રમે છે. આયોજકો દ્વારા બાળાઓને કોઈ તકલીફ ન પડે એ માટે ધ્યાન રાખવામાં આવે છે. સળગતી ઈંઢોણીના રાસ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને એ માટે પણ આયોજકો દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે છે. એટલું જ નહિ આ વખતે તો પ્રેક્ટિસ દરમિયાન પણ ફાયર સેફટીના સાધનો સાથે રાખવામાં આવે છે.
વારસાની ઝાંખી કરી સૌ કોઈ ગર્વની લાગણી અનુભવે છે ઉલ્લેખનીય છે કે, ટેકનોલોજીના યુગમાં આપણી સંસ્કૃતિ વિસરાતી જાય છે. ત્યારે પ્રાચીન ગરબીઓમાં રમાતા ગરબાઓ ભારતની ભવ્ય સંસ્કૃતિની યાદ અપાવી જાય છે. આપણા આ ભવ્ય વારસાની ઝાંખી કરી સૌ કોઈ ગર્વની લાગણી અનુભવે છે.
ફાયર સેફ્ટિનું પણ ધ્યાન રખાયું.
યુવરાજસિંહ ઝાલા (આયોજક) અને ચૌહાણ જયતિ (રાસની પ્રક્ટિસ કરતી બાળા)