ગુજરાત હાઇકોર્ટમાં સરકાર ઇવેન્ટ્સ એન્ડ હોસ્પિટલ દ્વારા એડવોકેટ ભાવિક સમાણી મારફતે અરજી દાખલ કરવામાં આવી છે. જેની ઉપર જજ સંગીતા વિશેનની કોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. અરજદાર એક ભાગીદાર પેઢી છે. જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝરનું કામ કરે છે. અરજદારે રજૂઆત કરી હતી
.
આ સુનવણીમાં AMC અને જે સંસ્થાને એક ગ્રાઉન્ડ ફાળવાયું છે, તેના વકીલ ઉપસ્થિત રહ્યા હતા. AMC એ જણાવ્યું હતું કે અરજદાર જૂની પોલીસીની વાત કરી રહ્યા છે. જ્યારે નવી પોલીસી વર્ષ 2024 માં આવી છે. જે મુજબ નવરાત્રિમાં ગ્રાઉન્ડ મેળવવા આવેલી અરજી પૈકી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા યોગ્ય નિર્ણય કરીને ગ્રાઉન્ડ ફાળવવામાં આવે છે. કારણ કે હરાજીમાં વધુ સમય અને પૈસાનો વ્યય થાય તેમ છે, વળી આ નાના પ્લોટની વાત છે. અરજદાર જે ગ્રાઉન્ડની વાત કરે છે તેનું ભાડું પણ નવી પોલિસી મુજબ બમણું થઇ ગયું છે. આ ગ્રાઉન્ડ ભાડે આપવા AMC ને કોઈ મોટો લાભ થતો નથી. અરજદારે જે તે સમયે અન્ય જગ્યાએ રજૂઆત કરવા સમય વેડફવો જોઈતો નહોતો. આવી દલીલથી કોર્ટને પણ આશ્ચર્ય થયું હતું. જ્યારે ગ્રાઉન્ડ મેળવનાર સંસ્થાએ જણાવ્યું હતું કે તેઓએ નવરાત્રિને લઈને બધી તૈયારી કરી દીધી છે. AMC માં ડિપોઝિટ પણ ભરી દીધી છે. અરજદારે બે મહિના પછી અને નવરાત્રી પહેલા આવી અરજી કરી છે. તેમની રજૂઆત યોગ્ય હોય તો પણ નવરાત્રી આડે એક જ દિવસ હોવાથી એમને નુકશાન થઈ શકે છે. કોર્ટે આ મુદ્દે AMC સહિતના પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 16 ઓકટોબરે રાખી હતી.
કેસને વિગતે જોતા અરજદારે આ નવરાત્રી માટે ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ ગ્રાઉન્ડ અને કાકરીયા ફૂટબોલ ગ્રાઉન્ડ ભાડે મેળવવા માટે અમદાવાદ મહાનગરપાલિકામાં અરજી કરી હતી. એસ્ટેટ ડિપાર્ટમેન્ટના સર્ક્યુલર મુજબ અમદાવાદના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સેન્ટ્રલ ઝોનમાં એક દિવસનું ગ્રાઉન્ડનું મિનિમમ ભાડુ 15 હજાર રૂપિયા હોય છે. જો જગ્યા 02 હજાર સ્ક્વેર મીટરથી વધુ હોય તો પ્રતિ સ્ક્વેર મીટર 75 રૂપિયા વધારાના ચૂકવવા પડે છે. જ્યારે અમદાવાદ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમમાં એક દિવસનું ગ્રાઉન્ડનું ભાડું 22,500 રૂપિયા હોય છે. તેમાં પણ જો વિસ્તાર 02 હજાર સ્ક્વેર મીટરથી વધી જાય તો વધારાનું 15 રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટર ભાડું ચૂકવવું પડે છે. આ ઉપરાંત ડિપોઝિટની રકમ પણ ભરવાની હોય છે.
જો ગ્રાઉન્ડ મેળવવા માટે એક કરતાં વધારે અરજદારો આવે તો એસ્ટેટ ડિપાર્ટમેન્ટના સર્ક્યુલર મુજબ તેની હરાજી યોજવામાં આવે છે. આ હરાજીની પ્રક્રિયા નવરાત્રીના 02 મહિના પહેલા કરવામાં આવે છે. પરંતુ સ્ટેન્ડિંગ કમિટી છે ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ ગ્રાઉન્ડ અને કાકરીયા ફૂટબોલ ગ્રાઉન્ડની હરાજી કરવાની જગ્યાએ જૂન અને જુલાઈ મહિનામાં ઠરાવ પસાર કરીને અન્ય બે સંસ્થાઓને ઉપરોક્ત ગ્રાઉન્ડ ફાળવી દીધા છે. અરજદારે પોતાની અરજીમાં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવની કોપી જોડી હતી. અરજદારે નિયમ વિરુદ્ધ કાર્ય કરવા બદલ અમદાવાદ મહાનગરપાલિકાની નોટિસ પણ પાઠવી હતી, જો કે તેનો કોઈ જવાબ મળ્યો નહોતો. આથી અરજદારે માંગ કરી છે કે નિયમો વિરુદ્ધ કરાયેલી આ ફાળવણી રદ કરવામાં આવે. અમદાવાદ મહાનગરપાલિકાએ ભારતના બંધારણે નાગરિકોને આપેલા સમાનતાના હકનું ઉલ્લંઘન કર્યું છે. આવી પદ્ધતિથી સરકારી તિજોરીને પણ નુકશાન જાય છે. તેમજ આ ગ્રાઉન્ડની નવરાત્રી માટે ફરીથી હરાજી કરવામાં આવે.