અંબાલાલની નવરાત્રિ બગાડતી આગાહી
.
રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તેમજ ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં વરસાદની અસર થઈ શકે છે. નવરાત્રી દરમ્યાન દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. તો નવરાત્રી દરમિયાન 3થી 5 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે. 7થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
નવરાત્રિના પહેલાં જ દિવસે ટ્રાફિકજામે ખેલૈયાનો ઉત્સાહ માર્યો
ગઈકાલથી નવરાત્રિનો પ્રારંભ થયો ત્યારે પહેલા દિવસે જ અમદાવાદના એસ.પી. રિંગ રોડથી લઈને વૈષ્ણોદેવી સર્કલ અને ઓગણજ સુધી ટ્રાફિકજામનો નજારો જોવા મળ્યો હતો. લગભગ અડધો કિલોમીટર સુધી વાહનોના જ થપ્પા લાગ્યા. સર્વિસ રોડ અને રીંગરોડ બંને ઉપર ટ્રાફિકજામ થયો હતો. ઓગણજ સર્કલ નજીક આવેલા પાર્ટી પ્લોટમાં રમવા જનારા ખેલૈયાઓને ટ્રાફિકજામના કારણે પોતાના વાહનો બે કિલોમીટર દૂર મૂકી અને ચાલતા ચાલતા પાર્ટી પ્લોટ સુધી જવાની ફરજ પડી.
અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે સવારે 11 વાગ્યે તેઓ ADC બેંકના કાર્યક્રમમાં તેમજ સંસદીય વિસ્તારના અન્ય વિકાસકાર્યોમાં હાજરી આપશે. ગાંધીનગર લોકસભામાં વિવિધ જાહેર કાર્યક્રમોમાં પણ હાજરી આપશે અને સાંજે તેઓ માણસા કુળદેવીના દર્શને જશે.
રાજ્યમાં 1903 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત
ગુજરાતમાં 1903 સ્ટાફનર્સની ભરતી કરાશે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ માટે સીધી ભરતીથી સ્ટાફનર્સની ભરતી કરાશે. તારીખ 5મી ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. OJAS પ્લેટફોર્મ મારફતે ઉમેદવારો અરજી કરી શકશે. સમગ્ર ભરતી પ્રક્રિયા 6થી 8 મહિનામાં પૂર્ણ થશે. લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી પ્રસિધ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે.
ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે સંઘાણીએ કર્યો સરકારનો વિરોધ
ઈકો સેન્સિટિવ ઝોનને લઈ દિલીપ સંઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં જંગલ આસપાસ વિસ્તારોનાં ખેડૂતો એકત્ર કરીશું. તેમજ સરકારે કાયદાઓમાં ફેરફાર કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ કરીશ. પ્રાથમિક સ્થિતિમાં માત્ર 196 ગામનાં લોકો એકત્ર થયા છે. પરિસ્તિતિ વણસે તો અન્ય ગામો પણ આગળ આવશે. જનજાગૃતિ માટે સમગ્ર રાજ્ય અને દેશમાં વિચારોની ચર્ચા કરવી જોઈએ. વન્ય જીવો દ્વારા માનવ જીવન જોખમો ટાળવા માટે કાયદામાં સુધારો કરવો પડે. તેમજ નેતૃત્વ લઈને સક્રિય આગેવાની કરીશ.
આખરે ગણેશ જાડેજાને મળ્યા જામીન
જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકી સાથે મારામારી અને અપહરણ કેસમાં આરોપી ગણેશ જાડેજાને આખરે જામીન મળ્યા છે. હાઈકોર્ટે ગણેશ ગોંડલને 10 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપતા 6 મહિના સુધી જૂનાગઢમાં પ્રવેશ નહીં કરવાનો હુકમ કર્યો છે. ગણેશ ગોંડલ સહિત 5 આરોપીએ જૂનાગઢની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી મૂકી હતી. જેને કોર્ટે ફગાવી દેતાં જ્યોતિરાદીપસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ હાઈકોર્ટ પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગણેશ જાડેજા છેલ્લા 4 મહિનાથી જૂનાગઢની જેલમાં બંધ હતો. જેથી 4 મહિના બાદ ગણેશ ગોંડલ જેલમાંથી બહાર આવશે.
રેલવે ટ્રેક પર બે સાવજ આવી જતાં ટ્રેન અડધો કલાક રોકવી પડી
જુનાગઢ થી અમરેલી જતી ટ્રેન જૂનાગઢના તોરણીયા નજીક અડધો કલાક રોકવામાં આવી હતી. આ ટ્રેન રોકવાનું કારણ એ હતું કે રેલવે ટ્રેક નજીક બે સિંહો આવી ચડતાં ટ્રેન ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી ટ્રેનને રોકી દીધી હતી. ત્યારે ટ્રેનમાં સવાર મુસાફરો ટ્રેન રોકાતા નીચે ઉતરી સિંહના વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. રેલવે ટ્રેક નજીક સિંહ આવી ચડિયાની જાણ વન વિભાગને થતા વન વિભાગ નો સ્ટાફ તાત્કાલિક જૂનાગઢના તોરણીયા પહોંચ્યો હતો. જ્યાં વન વિભાગ દ્વારા આ બંને સિંહને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ અડધો કલાકના વિરામ પછી અમરેલી જતી ટ્રેનને રવાના કરવામાં આવી હતી.