દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર મંગળવાર અને બુધવારની સવારે ‘ગાંધીનગર ડાયરી’ વિભાગની શરૂઆત કરવામાં આવી છે. આ વિભાગમાં રાજ્યમાં સરકારની ચાલતી ગતિવિધીઓ પ્રસ્તુત કરવામાં આવી રહી છે. સો, ટેક ઈટ ઈઝી…
.
વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દીધી ને મંત્રી ઉશ્કેરાયા બારડોલીના તાજપુર પોલિટેકનિકમાં ભણતા 100 જેટલા વિદ્યાર્થીએ ફી ન ભરી હોવાને આચાર્ય દ્વારા તેમને ચાલુ પરીક્ષામાંથી ઉઠાડી દેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પરીક્ષા પણ આપવા ન દીધી હોવાના કારણે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિને ફોન આવ્યો હતો. ફોન આવતાની સાથે જ હળપતિ એકાએક રોષે ભરાયા અને તાત્કાલિક પોલિટેક્નિક આચાર્યને ફોન કર્યો હતો. ફોન કરી અને મંત્રીએ આચાર્યને ઠપકો આપ્યો કે, તાત્કાલિક ધોરણે પરીક્ષા આપવા દેવામાં આવે. જો પરીક્ષા આપવા દેવામાં નહીં આવે તો સરકાર તરફી ફરિયાદી એ જાતે બનશે અને બાદમાં કાર્યવાહી થશે. આ પ્રકારનો ઠપકો આપતાં આચાર્ય એ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને બોલાવીને પરીક્ષા આપવા દીધી હતી.
મુખ્યમંત્રી આજે દિલ્હી જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવાના છે. મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ રાજકુમાર પણ જોડાશે. જો કે, આ નિર્ધારિત કાર્યક્રમ હોવાથી શકયતા એ પણ છે કે મુખ્યમંત્રી કમલમ ખાતે યોજાનાર સદસ્યતા અભિયાનની બેઠકમાં હાજર ન રહે. દિલ્હી જવા પાછળ હેતુ એ જાણવા મળ્યો છે કે, ચોક્કસ પ્રોજેક્ટ માટે ત્રણેક જેટલા પ્રેઝન્ટેશન બતાવવાના છે. તો સાથે જ પ્રધાનમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત પણ મુખ્યમંત્રી કરશે.
સરકારની જાહેરાત છતાં વધુ સમય વીજળી મળે એ માટે માગ તાજેતરમાં જ ગુજરાત સરકારે સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત થવા છતાં ભારતીય કિસાન સંઘના સભ્યોએ કૃષિ મંત્રી રાઘવજી પટેલની મુલાકાત કરી અને મગફળીના પાકમાં પિયત માટે 10 કલાક સુધી વીજળી આપવાની માગ કરી હતી. આ ઉપરાંત રવિ સીઝનની શરૂઆત થઈ છે, ત્યારે પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળી રહે તેવી માગ કરી છે. અહીં સવાલ એ છે કે, સરકારે વધારે સમય વીજળી આપવા જાહેરાત કરી છે, તેમ છતાં પણ 10 કલાક વીજળી આપવા માટે માગ આવી છે તો સરકારની જાહેરાત સાચી છે કે માંગ સાચી છે?
કમલમ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક આજે કમલમ ખાતે તમામ મંત્રી તેમજ ભાજપના તમામ વર્તમાન ધારાસભ્ય-સાંસદને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદોને પણ સાંજે 4 વાગ્યે હાજર રહેવાની સૂચના આપી અને બેઠકમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. બેઠકનું આયોજન કરવા પાછળ સદસ્યતા અભિયાન અંતર્ગત ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત તમામ લોકોના અત્યાર સુધીના સભ્ય નોંધણી પર્ફોમન્સ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સદસ્યતા અભિયાનમાં આવી રહેલા પડકારો અંગે પણ મનોમંથન કરવામાં આવશે.
ઈકો સેન્સિટિવ ઝોનના કાયદા અન્વયે ધારાસભ્યોના ગાંધીનગર ધામા ઈકો સેન્સિટિવ ઝોનને લઇને ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ગ્રામીણ ગામડાઓનાં ખેડૂતોની રજૂઆતો અન્વયે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાળા અને ધારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ આજે ગાંધીનગર ખાતે વનમંત્રી મુળુભાઇ બેરા સમક્ષ ઇકો સેન્સિટિવ ઝોનના કાયદામાં ગામડાઓમાં ખેડૂતોમાં ઊભી થયેલી વિસંગતાને લઈને અમરેલી જિલ્લાના આવતા ગામડાના ખેડૂતો સિંહોના રક્ષક સાથે સિંહોના રખેવાળ હોય ત્યારે સરકાર દ્વારા સિંહો બચવવના અભિગમ સાથે ખેડૂતોને મુશ્કેલીઓ ન પડે અને ખેડૂતોને ઇકો સેન્સિટિવ ઝોનના કાયદાથી નુકશાની થવાની ઊભી થયેલી દહેશત અંગે વનમંત્રી સમક્ષ અમરેલી જિલ્લાના ધારાસભ્યોએ ખેડૂત હિતમાં રજૂઆતો કરશે. સાથે તાકીદે ખેડૂતોની મુશ્કેલીઓનું નિવારણ આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે તે અંગે થયેલી ફળસ્વરૂપ રજૂઆતો વનમંત્રી મુળુભાઈ બેરા એ ધ્યાને લીધેલ હતી. વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ નિત્યાનંદ શ્રીવાસ્તવ સાથે ધારી ડી.સી.એફ. રાજદીપસિંહ ઝાલા સાથે પરામર્શ બેઠક યોજેલ હતી અને ઇકો સેન્સિટિવ ઝોનના કાયદાઓમાં સુધારા લાવવા અંગેની ધારાસભ્યોની રજૂઆતોનો નિરાકરણ લાવવાની તંત્રના અધિકારીઓ સાથે વનમંત્રીએ ધરપત આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહિલા અત્યાચાર પર નીતિ બનાવવાની માગ સાથે વિરોધ ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચારની વધતી જતી ઘટના સામે નક્કર નીતિ બનાવવાની માગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સવારે 10 વાગ્યાથી 3 વાગ્યા સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શન દરમિયાન દાહોદ, સુરેન્દ્રનગર અને વડોદરાની ઘટનાના દોષિતોને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે, દરેક કચેરી તથા સંસ્થામાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તેવી માગને પણ વાચા આપવામાં આવશે. મહિલા અધિકાર મંચના બેનર હેઠળ આ ધરણા પ્રદર્શન યોજાશે.