લખપત તાલુકામાં પીવાના પાણીની સમસ્યાને લઇને દયાપર ખાતે ધરણા શરૂ કરાયા છે, જેને 3 દિવસ થઇ ગયા છે તેમ છતાં આ સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી. જો કે, મોડી સાંજે રાજકોટથી ઇન્ચાર્જ જિલ્લા પાણી પુરવઠા અધિકારી સ્થાનિકે દોડી આવ્યા હતા.
.
તાલુકામાં પાણીની સમસ્યા મુદ્દે ઘડુલી ગ્રામજનો, તાલુકાના આગેવાનો દ્વારા દયાપર પાણી પુરવઠા કચેરીના પ્રાંગણમાં ધરણા પર છે. ધરણાના ત્રીજા દિવસે બુધવારે મોડી સાંજે કચ્છ જિલ્લા પાણી પુરવઠા વિભાગની જવાબદારી સંભાળતા ઇન્ચાર્જ મહિલા અધિકારી કોમલબેન અડાલજા રાજકોટથી સ્થાનિકે દોડી આવ્યા હતા અને પાણીની સમસ્યાના ઉકેલની ખાતરી સાથે 5 દિવસની મુદત માંગતા આગેવાનો દ્વારા જ્યાં સુધી સચોટ કામગીરી સાથે પરિણામ ન આવે ત્યાં સુધી શાંતિપૂર્વક ધરણા ચાલુ રાખવામાં આવશે તેમ જણાવી જો વહેલી તકે કોઈ ઉકેલ નહીં આવે તો લડત ઉગ્ર બનાવવાની પણ ચીમકી આપી હતી. ગ્રામજનોના કહેવા મુજબ તેઓએ જિલ્લા પાણી પુરવઠા વિભાગના કૌશિક વાઘેલા, દક્ષેશ પ્રજાપતિ સમક્ષ પાણીની સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. મહિલા અધિકારીએ કહ્યું હતું કે, ખાનગી એજન્સી દ્વારા દાખવવામાં આવતી બેદરકારી બદલ નોટિસ આપી, તપાસ બાદ જરૂર જણાશે તો બ્લેકલિસ્ટમાં પણ મૂકાશે તેમજ ગેરકાયદેસર કલેક્શનને લઈને પાણી પુરવઠા વિભાગ દ્વારા ઝુંબેશ પણ ટૂંક સમયમાં જ હાથ ધરાશે. છેલ્લા ત્રણ દિવસથી લોકો ધરણા પર છે ત્યારે લખપત તાલુકા પાણી સમિતિના અધ્યક્ષ અને તાલુકા મામલતદાર એસ. એ. ડોડીયાએ ત્રીજા દિવસે મોડી સાંજે ધરણા પર બેઠેલા લોકોની મુલાકાત લીધી હતી.
મોડી સાંજે રાજકોટથી ઇન્ચાર્જ જિલ્લા પાણી પુરવઠા અધિકારી કચ્છ દોડી આવ્યા
લખપત તાલુકામાં વિતરીત થતા પીવાના પાણીના આંકડામાં વિસંગતતા જોવા મળી
લખપત તાલુકામાં વિતરણ કરાતા પાણીને લઈને આગેવાનો દ્વારા પાણી પુરવઠા કચેરી દયાપરના અધિકારી પ્રભાકર પાસે માંગેલી આંકડાકીય માહિતીમાં પણ વિસંગતતા બહાર આવી છે. ખીરસરા સંપ દ્વારા દોલતપર સુધી આવતા 3 માસના 178 એમએલડી પાણી સામે 302 એમએલડી પાણી આવ્યું હતું. ઓગસ્ટ માં 178 એમએલડી સામે 267 એમએલડી, સપ્ટેમ્બર મહિનામાં 178 એમએલડી સામે 267 એમએલડી પાણી અપાયું હતું ત્યારે બાકીનું પાણી કયાં ગયું ક્યાં તેવા સવાલ લોકોમાંથી ઉઠી રહ્યા છે. ઘડુલીના નીતિન પટેલે જણાવ્યું હતું કે, તેમના ગામમાં 30 એમએલડી સામે ઓગસ્ટ મહિનામાં 19 એમએલડી, સપ્ટેમ્બરમાં માત્ર 18 એમએલડી પાણી મળ્યું છે. તે જ રીતે અન્ય આગેવાનોએ પણ અન્ય ગામોમાં પૂરતા પ્રમાણમાં પાણી ન આવતું જણાવ્યું હતું.