યુદ્ધના કહેર વચ્ચે માતાનાં નહીં પણ મોતનાં ખોળામાં હજારો નાનાં બાળકો પોઢી ગયા છે. રુંવાડા ઊભાં કરી દેતા દ્રશ્યો ગાઝાના લોકો એક વર્ષથી જોઈ રહ્યા છે અને તેનું કારણ છે ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ. હમણાં, આ યુદ્ધને એક વર્ષ પૂરું થયું. આ યુદ્ધમાં 42 હજા
.
નમસ્કાર,
7 ઓક્ટોબર, 2023નો દિવસ હતો. આપણે ત્યાં દિવાળી હોય તેમ ઈઝરાયલનો બહુ મોટો ઉત્સવ ચાલી રહ્યો હતો. સવારમાં લોકો ઘરની સજાવટ કરતા હતા. ત્યાં ગાઝા પટ્ટીમાં વસતા આતંકી જૂથ હમાસે ઈઝરાયલ પર એવો રોકેટ અને મિસાઈલ મારો કર્યો કે ઈઝરાયલ સ્તબ્ધ થઈ ગયું. સાથે વિશ્વમાં પણ ચિંતાના વાદળો ઘેરાયાં. એક વર્ષમાં આ યુદ્ધની વિશ્વ પર પણ વિપરિત અસર થઈ છે.
ઈઝરાયલે ગાઝામાં એક વર્ષમાં કાળો કહેર વરસાવ્યો ગાઝાના ધાર્મિક બાબતોના મંત્રાલયે મીડિયા સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, ઈઝરાયલ એક વર્ષથી ગાઝા પર હુમલા કરી રહ્યું છે. આ એક વર્ષમાં આટલી ખુવારી થઈ…
42 હજારનાં મોત થયાં
10 હજાર લોકોના મૃતદેહ કાટમાળમાં દટાયાં છે
96 હજાર લોકો ઘાયલ થયા છે
1245માંથી 814 મસ્જિદો ધ્વસ્ત થઈ છે
બોમ્બમારામાં 148 મસ્જિદોને મોટું નુકસાન થયું છે
અત્યાર સુધીમાં સંપત્તિ નષ્ટ થવાથી 350 મિલિયન ડોલરનું નુકસાન થયું છે
ઈઝરાયલ-ગાઝા વોરથી ભારતને શું અસર થઈ? હમાસ અને ઈરાન સમર્થિત યમનના હુતી આતંકીઓએ રાતા સમુદ્ર અને એડનના અખાતમાં અનેક વેપારી જહાજોને નિશાન બનાવ્યા હતા. હુતીઓએ રાતા સમુદ્રમાં અનેક મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા અને અનેક જહાજોને નુકસાન પહોંચાડ્યું. આનાથી રાતા સમુદ્રના માર્ગમાં સંકટ સર્જાયું હતું, જે વિશ્વના સૌથી વ્યસ્ત વેપાર માર્ગોમાંથી એક છે. બાદમાં ઘણી કંપનીઓને તેમના રૂટ બદલવા અને આફ્રિકા મારફતે વેપાર કરવાની ફરજ પડી હતી. જેના કારણે કંપનીઓને કમરતોડ ફટકો પડ્યો હતો. તેમનો ખર્ચો વધ્યો હતો.
રાતા સમુદ્ર એ વિશ્વનો મુખ્ય વેપાર માર્ગ છે જ્યાંથી માત્ર પશ્ચિમ એશિયા જ નહીં પરંતુ અરેબિયા, યુરોપ, આફ્રિકા અને ભારત પણ વેપાર કરે છે. હુતીઓના હુમલાને કારણે આ માર્ગ પર ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ હતી. વિશ્વનો 12 ટકા વેપાર રાતા સમુદ્રમાંથી થાય છે અને દર વર્ષે આ માર્ગે 10 બિલિયન ડોલરથી વધુની કિંમતની વસ્તુઓની નિકાસ અને આયાત કરવામાં આવે છે. આ સ્થિતિમાં તમે કલ્પના કરી શકો છો કે ગ્લોબલ ઈકોનોમિમાં રાતા સમુદ્રનું કેટલું મહત્વ છે.
પોરબંદર નજીક દરિયામાં ડ્રોન હુમલો થયો હતો 2023માં જ્યારે હુતીઓએ ધમકી આપી હતી કે તેઓ ઇઝરાયલ સાથે સંકળાયેલા કોઈપણ જહાજને નિશાન બનાવશે. ડિસેમ્બર 2023માં ગુજરાતના પોરબંદરથી લગભગ 217 નોટિકલ માઇલ દૂર, 21 ભારતીય અને એક વિયેતનામીસ ક્રૂ મેમ્બર્સને લઈ જતા વ્યાપારી જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. તેમાં આગ લાગી હતી. આ જહાજ મુંબઈ પહોંચ્યું અને રસ્તામાં ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ICGS વિક્રમે તેને સુરક્ષા પૂરી પાડી હતી.
ખામેનીના ભાષણે ભારતને મુશ્કેલીમાં મૂક્યું ઈરાન અને ભારત વચ્ચે ઘણા ક્ષેત્રોમાં સારા સંબંધો છે, જ્યારે ઈઝરાયલ અને ભારત વચ્ચેના સંબંધો કોઈનાથી છુપાયેલા નથી, પરંતુ ઈઝરાયલના વલણના કારણે બંને દેશોના સંબંધો પર પણ અસર જોવા મળી રહી છે. તેની ઝલક ત્યારે જોવા મળી જ્યારે 16 સપ્ટેમ્બર, 2024ના રોજ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ ટ્વિટર પર લખ્યું હતું કે વિશ્વના મુસ્લિમોએ ભારત, ગાઝા અને મ્યાનમારમાં રહેતા મુસ્લિમોની દુર્દશાથી અજાણ ન રહેવું જોઈએ. જો તમે તેમનું દર્દ સમજી શકતા નથી તો તમે મુસ્લિમ નથી. ખામેનીના આ નિવેદન પર ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રાલયે તેને ખોટી માહિતી પર આધારિત અને અસ્વીકાર્ય ગણાવ્યું. આ સાથે તેમને તેમના દેશમાં લઘુમતીઓની સ્થિતિ જોવાની પણ સલાહ આપી હતી. ખામેનીએ છેલ્લે ઈરાનમાં તકરીરમાં ભાષણ આપ્યું તે પછી ભારતમાં કાશ્મીર અને દિલ્હીમાં અનેક મુસલમાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દ્રશ્યોની ઈઝરાયલમાં પણ ચર્ચા થઈ હતી. આ પહેલાં ભારત અને ઈઝરાયલ વચ્ચે ગાઝા એટેકને લઈને ચર્ચા થઈ ચૂકી છે પણ ઈઝરાયલ માનતું નથી. આ રીતે ઈઝરાયલ-ગાઝા વોરની અસર ભારત પર પણ પડી છે.
ઈઝરાયલે વોર પેટર્ન બદલી 7 ઓક્ટોબરની સવારે હમાસના ઓચિંતા હુમલાથી આખું ઇઝરાયલ ચોંકી ગયું હતું. બપોર સુધીમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઇઝરાયલ આર્મી હેડક્વાર્ટરમાંથી એક વીડિયો જાહેર કરીને સ્ટેટમેન્ટ આપ્યું હતું. નેતન્યાહુએ કહ્યું, ”ઇઝરાયલના નાગરિકો! યુદ્ધ શરૂ થઈ ગયું છે. હું મોટી સંખ્યામાં રિઝર્વ સૈનિકોને એકત્ર કરી રહ્યો છું. અમે એટલા મોટા પાયે અને તીવ્રતાથી વળતો હુમલો કરીશું, જેની દુશ્મનોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય.” એ પછીના પાંચ દિવસમાં ઇઝરાયલે ગાઝા બોર્ડર પર હથિયારો, દારૂગોળો અને ટેન્ક સાથે લગભગ 1 લાખ સૈનિકો તહેનાત કર્યા. 12 ઓક્ટોબરે તેણે ગાઝા પર ગ્રાઉન્ડ એટેકની ધમકી આપી હતી. 13 ઓક્ટોબરે રોજ IDFએ પેલેસ્ટિનિયનોને ઉત્તર ગાઝા ખાલી કરવા અને દક્ષિણ તરફ શિફ્ટ થવા કહ્યું. આ સમગ્ર કવાયત દ્વારા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે હમાસને નષ્ટ કરવા માટે ઇઝરાયલ ગાઝા પર મોટે પાયે જમીન સ્તરે હુમલો કરશે. યુદ્ધ શરૂ થયાનાં ત્રણ અઠવાડિયાં બાદ ઇઝરાયલની વોર પેટર્ન બદલાઈ ગઈ. ફૂલ સ્કેલ ગ્રાઉન્ડ વોરને બદલે ઇઝરાયલી આર્મી રાત્રે નાના-નાના ટુકડાઓમાં સ્પેશિયલ ઓપરેશન ચલાવી રહી છે.
ઇઝરાયલે પોતાને હમાસની જાળમાં ફસાતાં બચાવ્યું
- નિષ્ણાતો માને છે કે હમાસે ગણતરીપૂર્વકનું જોખમ લીધું હતું. 7 ઓક્ટોબરે હુમલા સમયે હમાસને ખબર હતી કે ઇઝરાયલ આક્રમક રીતે વળતો હુમલો કરશે. ઇઝરાયલનું ઓપરેશન બેથી ચાર અઠવાડિયાં ચાલશે. હમાસે આટલો સામાન ભેગો કર્યો હતો. હમાસને આશા હતી કે આ દિવસોમાં યુદ્ધવિરામ થઈ જશે. ઇઝરાયલ પણ આ જાળમાં ફસાઈ જવાનું હતું.
- ઇઝરાયલના ભૂતપૂર્વ વડાપ્રધાન નફ્તાલી બેનેટના કહેવા પ્રમાણે, હમાસે ઈઝરાયલ માટે જબરદસ્ત જાળ પાથરી હતી. તે જાણતા હતા કે અમારા પર હુમલો કર્યા પછી અમે બદલો લઈશું. આમાં ગાઝાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તો નુકસાન થશે જ, પરંતુ હજારો લોકોનાં મોત પણ થશે. આવું થયું છે અને અત્યાર સુધીમાં ઇઝરાયલના હુમલામાં 7 હજારથી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. જ્યારે નાગરિકો મૃત્યુ પામે છે ત્યારે ઇઝરાયલ પર આંતરરાષ્ટ્રીય સમુદાયનું દબાણ વધશે અને અમને યુદ્ધવિરામ માટે ફરજ પડશે.
- નફ્તાલી બેનેટ કહે છે કે હમાસને અંદાજ હતો કે આ યુદ્ધ વધુમાં વધુ એક મહિનો ચાલશે. તેમણે પહેલાંથી જ ઈંધણ, ખાદ્ય ચીજો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો આટલા જ દિવસો અથવા થોડા વધુ દિવસો માટે સ્ટોક કરી લીધો છે. આપણે જાણીએ છીએ કે આજે નહીં તો કાલે આ બધી વસ્તુઓ ખતમ થઈ જવાની છે.
- નફ્તાલીના જણાવ્યા અનુસાર, જ્યારે ઇંધણ પૂરું થઈ જશે ત્યારે જનરેટથી લાઈટ પણ નહીં થાય. એના કારણે તેમની ટનલ અને બંકરમાં અંધારું થશે. તાજી હવા બંધ થઈ જશે. જ્યારે આ બધું બંધ થશે ત્યારે હમાસના નેતાઓ અને આતંકીઓએ બહાર આવવું પડશે અને ત્યારે અમે હમાસનો સફાયો કરીશું.
ઈઝરાયલ જેના પર સતત હુમલા કરે છે તે ગાઝા પટ્ટી શું છે? ગાઝાપટ્ટી એ નાનકડો વિસ્તાર છે, જેની પહોળાઈ 10 કિલોમીટર અને લંબાઈ 41 કિલોમીટર છે. પટ્ટી જેવડો નાનકડો એરિયા હોવાના કારણે એ સ્ટ્રિપ તરીકે એટલે પટ્ટી તરીકે ઓળખાય છે. આ ગાઝાપટ્ટી ઇઝરાયલની દક્ષિણ-પશ્ચિમમાં છે. ગાઝાપટ્ટીની એક બાજુ ઈઝરાયલ છે અને બીજી બાજુ મિસ્ર શહેર છે. એની ત્રીજી બાજુ સમુદ્ર છે. આ પટ્ટીનું મુખ્ય શહેર ગાઝા છે અને એના નામ ઉપરથી આ પટ્ટી જેવા વિસ્તારનું નામ પણ ગાઝા પટ્ટી પડ્યું. આશ્ચર્યની વાત એ છે કે આ ગાઝાપટ્ટીમાં એટલે કે 10 બાય 41 કિલોમીટરના વિસ્તારમાં 21 લાખ લોકો રહે છે, એટલે પ્રતિ ચોરસ કિલોમીટર સરેરાશ 5,820 લોકો રહે છે. જરા વિચારો, કેટલી ગીચતા હશે!! ગાઝાપટ્ટીનું સૌથી મોટું શહેર ગાઝા છે અને બીજું મોટું શહેર રફાહ છે.
ઈઝરાયલને ગાઝાપટ્ટીમાં કેમ રસ છે? પેલેસ્ટાઈન અને અન્ય ઘણા મુસ્લિમ દેશો ઈઝરાયલને યહૂદી રાજ્ય તરીકે માન્યતા આપવાનો ઈનકાર કરે છે. 1947 પછી જ્યારે યુએનએ પેલેસ્ટાઈનને યહૂદી અને આરબ રાજ્યોમાં વિભાજિત કર્યું, ત્યારે પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યું. આમાં એક મહત્ત્વનો મુદ્દો એને રાજ્ય તરીકે સ્વીકારવાનો છે અને બીજો ગાઝા પટ્ટીનો છે. જૂન 1967ના યુદ્ધ પછી ઈઝરાયલે ફરી ગાઝાપટ્ટી પર કબજો કરી લીધો. આ પછી ઇઝરાયલે 25 વર્ષ સુધી પોતાનો કબજો જાળવી રાખ્યો, પણ ડિસેમ્બર 1987માં ગાઝાના પેલેસ્ટિનિયનો વચ્ચે થયેલા રમખાણોએ વિદ્રોહનું સ્વરૂપ લીધું. સપ્ટેમ્બર 2005માં ઇઝરાયલે આ પ્રદેશમાંથી પોતાનો કબજો હટાવી લીધો અને ગાઝા પટ્ટીનું નિયંત્રણ પેલેસ્ટિનિયન ઓથોરિટી (PA)ને સોંપ્યું. જોકે ઈઝરાયલે આ વિસ્તારમાં સંરક્ષણ અને હવાઈ પેટ્રોલિંગ ચાલુ રાખ્યું.
આ રીતે હમાસ નામનું આતંકી સંગઠન બન્યું 1948માં પેલેસ્ટિનિયનો અને યહૂદીઓ અલગ અલગ રહેતા થયા ત્યારે યહૂદીઓએ સ્વીકાર્યું કે અમે ઈઝરાયલમાં રહીશું. ખ્રિસ્તીઓએ સ્વીકાર્યું કે અમે મિસ્રમાં રહીશું અને આરબ મુસ્લિમોને જ્યાં વસાવવામાં આવ્યા હતા એ વિસ્તાર ગાઝા પટ્ટી તરીકે ઓળખાયો. ત્યાંના લોકો એવું કહેતા કે અમે અમારી રીતે સ્વતંત્ર છીએ, પણ યહૂદીઓની આસ્થાના પ્રતીક સમાન અલ-અકસા મસ્જિદ ગાઝા પટ્ટીમાં હોવાથી ઈઝરાયલે ગાઝા પર કબજો જમાવવા પ્રયાસો ચાલુ રાખ્યા.
ઈઝરાયલ ગાઝા પર કબજો ન કરે એટલે ત્યાંના મુસ્લિમોનું એક આતંકી જૂથ બન્યું, જેને હમાસ નામ અપાયું. હમાસ પહેલેથી ઈઝરાયલનો વિરોધ કરીને યુદ્ધ કરે છે. હવે તો ઈઝરાયલે ગાઝાને ખંઢેરમાં ફેરવી દીધું છે.
ઇઝરાયલ-હમાસ યુદ્ધ પછી શું થશે? ગાઝામાં હમાસને ખતમ કરવા માટે ઈઝરાયલની સેના જે રીતે ઓપરેશન ચલાવી રહી છે એ જોતાં સવાલ એ ઊભો થાય છે કે હમાસના પોલિટીકલ અને ફોર્સના ખાત્મા પછી અહીં કોણ શાસન કરશે? કેટલાક નિષ્ણાતો કહે છે કે ગાઝાનું સંચાલન ઈઝરાયલની આર્મી કરી શકે છે. પણ ચિંતાનો વિષય એ પણ છે કે, આ યુદ્ધ ગાઝાની નવી પેઢીને વધુ કટ્ટરપંથી બનાવી શકે છે.
સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર એન્ટોની એચ. કોર્ડેસમેનના જણાવ્યા અનુસાર, શક્ય છે કે હમાસના ખાત્મા પછી એનાથી પણ વધુ ખતરનાક ઉત્તરાધિકારી ઊભા થશે. વર્તમાન પરિસ્થિતિમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ત્રણ પ્રકારની સ્થિતિના અનુમાન દેખાઈ રહ્યાં છે.
1. ઇઝરાયલી સૈનિકોએ ગાઝાના સ્થાનિક શાસનને સંપૂર્ણપણે કબજે કરવું જોઈએ.
2. ગાઝામાંથી હમાસને ખતમ કર્યા બાદ ઈઝરાયલના સૈનિકો એ જગ્યા ખાલી કરશે. આ પછી સમયાંતરે ઇઝરાયલના સૈનિકો અહીં હમાસ વિરુદ્ધ ઓપરેશન કરી શકે છે.
3. પેલેસ્ટાઈન ઓથોરિટી, જે પશ્ચિમ કાંઠા વિસ્તાર પર શાસન કરે છે તેણે આ વિસ્તારમાં એની સ્થિતિ મજબૂત કરવી જોઈએ અને અહીં શાસન કરવું જોઈએ.
ઈન્ટરનેશનલ કોર્ટ સુધી ઈઝરાયલને ઢસડી જવાયું, હવે તેની વિગતો વાંચો…
ઇઝરાયલ સામે બે કોર્ટમાં કેસ ઇઝરાયલ નેધરલેન્ડના હેગમાં બે કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યું છે. એક કેસ ICC એટલે કે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં છે. જેમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને રક્ષા મંત્રી યોવ ગેલેંટ વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. બીજું, ગાઝા યુદ્ધમાં 1948ના નરસંહાર કન્વેન્શનનું ઉલ્લંઘન કરવા માટે ICJ એટલે કે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ઈઝરાયલ પર પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
આ પાંચ દેશો ઈઝરાયલને ICCમાં લઈ ગયા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ની સ્થાપના 2022માં કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર હેગ, નેધરલેન્ડમાં છે. સંસ્થાનું કામ યુદ્ધ અપરાધો, નરસંહાર અને માનવતા વિરુદ્ધના ગુનાઓના કેસોની તપાસ અને સુનાવણી કરવાનું છે. તેની પાસે આરોપી વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની સત્તા છે. જો કે આ સંસ્થાની સ્થાપના સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN)ની સંમતિથી કરવામાં આવી હતી. ICC એ સંયુક્ત રાષ્ટ્રનો ભાગ નથી. 124 દેશો તેના સભ્ય છે. કોર્ટ તેમના ફંડિંગ પર જ ચાલે છે. અમેરિકા, ઈઝરાયલ, ભારત, રશિયા, ચીન જેવા દેશો ICCના સભ્ય નથી.
આ મામલો ICC સુધી કેવી રીતે પહોંચ્યો? ICC માર્ચ 2021થી ઈઝરાયલ વિરુદ્ધ તપાસ કરી રહ્યું છે. તે પછી જ્યારે ઓક્ટોબર 2023માં હમાસના હુમલા બાદ યુદ્ધ શરૂ થયું. જે રીતે અનેક નિર્દોષ જીવો ગુમાવી રહ્યા હતા, તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના અહેવાલો આવ્યા હતા… પછીના એક મહિના પછી નવેમ્બર 2023માં બાંગ્લાદેશ, બોલિવિયા, કોમોરોસ, જિબુટી અને દક્ષિણ આફ્રિકા જેવા પાંચ દેશોએ ICCને ઇઝરાયલ વિરુદ્ધ તપાસ ઝડપી બનાવવા અરજી કરી. આ પાંચ દેશોનો આરોપ છે કે ઈઝરાયેલ ગાઝામાં નરસંહાર કરી રહ્યું છે. ફરિયાદ બાદ ICCની તપાસ તેજ થઈ ગઈ. ત્યારપછી મામલો ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ સામે ધરપકડ વોરંટ સુધી પહોંચ્યો હતો.
ICC માં હાલમાં આ કેસની સ્થિતિ શું છે? ICC પાસે પોતાની કોઈ પોલીસ નથી. તેમને પકડવા માટે સભ્ય દેશની એજન્સીઓની મદદ લેવી પડે છે. આ જ કારણથી સમસ્યા ઊભી થાય છે. ઈઝરાયલ ICCનો સભ્ય દેશ નથી. સ્વાભાવિક રીતે જ ઇઝરાયલની પોલીસે વડાપ્રધાન નેતન્યાહુની ધરપકડ કરવામાં સહકાર આપવાનું ટાળ્યું હતું. જો કે, એક રસ્તો બાકી છે. જો નેતન્યાહુ કોઈ એવા દેશમાં જાય છે જે ICCનો સભ્ય દેશ છે, તો ત્યાંથી તેમની ધરપકડ થઈ શકે છે.
હમાસના ત્રણ લીડરો સામે પણ ધરપકડ વોરંટ ઈશ્યૂ થયું હતું ઇઝરાયલ ઉપરાંત હમાસના ત્રણ નેતાઓ માટે ICCમાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. ICC ચીફ પ્રોસીક્યુટર કરીમ ખાને મે 2024માં હમાસના ત્રણ નેતાઓ સામે 7 ઓક્ટોબરના હુમલા દરમિયાન હત્યા, બળાત્કાર અને બંધક બનાવવા સહિતના કથિત યુદ્ધ અપરાધો માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. જેમાં હમાસના વડા યાહ્યા સિનવાર, લશ્કરી વડા મોહમ્મદ દૈફ અને હમાસના રાજકીય નેતા ઈસ્માઈલ હાનિયેહનો સમાવેશ થાય છે. મોહમ્મદ દૈફ અને ઈસ્માઈલ હાનિયાના મૃત્યુ બાદ હવે માત્ર હમાસ ચીફ યાહ્યા સિનવાર જ બચ્યા છે. સપ્ટેમ્બર 2024 માં, ICC એ જાહેરાત કરી કે તેણે જુલાઈમાં હાનિયેહના મૃત્યુ પછી તેની સામેનો કેસ બંધ કરી દીધો છે. ફરિયાદીએ એમ પણ કહ્યું હતું કે તે દૈફના કથિત મૃત્યુની તપાસ કરી રહ્યા છે અને જો તેની પુષ્ટિ થશે તો તે દૈફ સામેનો કેસ પણ પાછો ખેંચી લેશે.
છેલ્લે,
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુને રાઈટ બંડલ બ્રન્ચ બ્લોકની બીમારી છે. એમાં હૃદયના ઈલેક્ટ્રિકલ સિગ્નલ બરાબર કામ કરતા નથી એટલે તેને પેસમેકર મૂકવું પડ્યું છે. નેતન્યાહુને હૃદયમાં ઈલેક્ટ્રિકલ સિગ્નલ તો કામ કરતા નથી જ, હવે એવું લાગે છે કે સંવેદનાના સિગ્નલે પણ કામ કરવાનું બંધ કરી દીધું છે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિચર્સ : યશપાલ બક્ષી)