50 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે દશેરા છે. આ પર્વ રાવણ પર ભગવાન રામના વિજયનું પર્વ છે. પૌરાણિક પાત્રોમાં રાવણને સૌથી શક્તિશાળી ખલનાયક માનવામાં આવે છે. એક ભાગ એવો પણ છે, જે રાવણને હીરોની જેમ જુએ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાવણમાં ઘણા ગુણો હોવા છતાં તેનો મૂળ સ્વભાવ રાક્ષસોવાળો જ હતો. રાવણ એક કુશળ રાજનેતા, સેનાપતિ અને વાસ્તુકલાનો ગુણગ્રાહક તેમજ અનેક વિષયોમાં જાણકાર હતો. તેને પ્રપંચી કહેવાતો, કારણ કે તે જાદુ, તંત્ર, હિપ્નોટિઝમ અને અન્ય પ્રકારના જાદુ જાણતો હતો. તેની પાસે એવું વિમાન હતું, જે બીજા કોઈની પાસે નહોતું. આ બધાને કારણે બધા તેનાથી ભયભીત રહેતા હતા.
બ્રહ્માજીના પુત્ર પુલસ્ત્ય ઋષિ બન્યા. તેમનો પુત્ર વિશ્વશ્રવા હતો. વિશ્વશ્રવાની પ્રથમ પત્ની દેવાંગના હતી, જે ભારદ્વાજની પુત્રી હતી, જેના પુત્ર કુબેરજી હતા. વિશ્વશ્રવાની બીજી પત્ની કૈકસી હતી, જે દૈત્યરાજ સુમાલીની પુત્રી હતી, જેનાં બાળકો રાવણ, કુંભકર્ણ અને વિભીષણ હતા. વાલ્મીકિ રામાયણ ઉપરાંત, પદ્મપુરાણ, શ્રીમદ ભાગવત પુરાણ, કુર્મપુરાણ, મહાભારત, આનંદ રામાયણ, દશાવતારચરિત વગેરે જેવા હિન્દુ ગ્રંથોમાં અને જૈન ગ્રંથોમાં પણ રાવણનો ઉલ્લેખ છે. ભગવાન રામચંદ્રનો વિરોધી અને દુશ્મન હોવા છતાં રાવણ ‘માત્ર ખરાબ’ નહોતો.
રાવણના જન્મનું રહસ્ય અને પૌરાણિક કથા શું છે? રાવણનો જન્મ ઋષિ વિશ્રવ અને રાક્ષસ કૈકસીના પુત્ર તરીકે થયો હતો. વિશ્રવ બ્રહ્માના પુત્ર અને મહાન વિદ્વાન હતા, જ્યારે કૈકસી રાક્ષસ કુળના હતા. આમ, રાવણના લોહીમાં એક તરફ બ્રાહ્મણ જ્ઞાન હતું અને બીજી તરફ રાક્ષસોનું વિકરાળપણું. આ વિરોધાભાસ રાવણના વ્યક્તિત્વનો આધાર બન્યો.
કૈલાસની નીચે રાવણનો હાથ દબાયો અને તેના રુદનથી ભગવાન શિવે નામ આપ્યું ‘રાવણ’ આ પાછળ અનેક પ્રકારની કહાનીઓ છે. રાવણનો અર્થ છે રડાવનારો કે ભારે રુદન ક૨ના૨. રાવણનો જ્યારે જન્મ થયો ત્યારે તે ખૂબ જ જોરથી રડ્યો, તેના ૨ડવાના અવાજથી સૌ ડરી ગયા. ત્યારે નામ રાખવામાં આવ્યું રાવણ. એક કહાની એવી પણ છે કે જ્યારે રાવણે કૈલાસ પર્વત ઉઠાવ્યો તો ભગવાન શિવે પોતાના પગના અંગૂઠાથી તેને દબાવી દીધો. તેના વજનથી કૈલાસની નીચે તેનો હાથ દબાઈ ગયો અને પીડાના કારણે તેનાં આંસુ નીકળી આવ્યાં. આ રુદનથી ભગવાન શિવે તેને રાવણ નામ આપ્યું.
વિદ્વાન અને પ્રકાંડ પંડિત હોવાથી તમે સારા સાબિત નથી થતા. સારા બનવા માટે નૈતિક બળ હોવું જરૂરી છે અને કર્મો શુદ્ધ હોવાં જરૂરી છે. શિવના પરમ ભક્ત યમ અને સૂર્યને પણ પોતાનો પ્રતાપ સહન કરવા માટે મજબૂર કરી દેનાર પ્રકાંડ વિદ્વાન રાવણને આજે બૂરાઈનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે તેણે બીજાની સ્ત્રીનું હરણ કર્યું હતું.
રાવણમાં આસુરી શક્તિ પાછળનું કારણ બન્યા 3 શ્રાપ
નારદ મુનિનો શ્રાપ રાવણના જન્મ પહેલા, તેના પિતા વિશ્રવ અને કૈકસી વચ્ચે એક વચન હતું કે બાળકનો જન્મ શુભ સમયે થશે. પરંતુ કૈકસીએ પોતાના લોભ અને મહત્વકાંક્ષાને કારણે આ વચન તોડ્યું અને ખોટા સમયે બાળકને જન્મ આપ્યો. આ કારણથી નારદ મુનિએ રાવણને શ્રાપ આપ્યો કે તેનો સ્વભાવ રાક્ષસી હશે અને તેનામાં અધર્મની વૃત્તિ વધશે.
કુબેરનો શ્રાપ કુબેર, જે રાવણના ભાઈ અને લંકાના સ્વામી હતા, તેમણે રાવણના અહંકારને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો. રાવણ તેના ભાઈને હરાવીને લંકા કબજે કરે છે, જેના કારણે કુબેરે તેને શ્રાપ આપ્યો કે તેના અતિશય ઘમંડને કારણે તેનું પતન નિશ્ચિત છે.
બ્રહ્માનો શ્રાપ રાવણે એકવાર તેની શક્તિનું પ્રદર્શન કર્યું અને કૈલાશ પર્વતને ઉપાડવાનો પ્રયાસ કર્યો, જેનાથી ભગવાન શિવ નારાજ થયા. રાવણને તેની ભૂલ સમજાઈ અને તેણે શિવની માફી માંગી. પરંતુ બ્રહ્માએ તેને શ્રાપ આપ્યો કે તે શ્રી રામના હાથે મૃત્યુ પામશે, જેના કારણે આખરે રામાયણનું યુદ્ધ થયું.
બ્રાહ્મણ પુત્ર હોવા છતાં રાવણમાં આસુરી ગુણો કેવી રીતે વિકસિત થયા? રાવણનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, પરંતુ તેની માતા કૈકસીના રાક્ષસી સ્વભાવ અને ત્રણ શ્રાપોએ તેના જીવનનો માર્ગ બદલી નાખ્યો હતો. રાવણને જ્ઞાન અને શક્તિની ભૂખ હતી, પરંતુ તેણે આ શક્તિનો ખોટી દિશામાં ઉપયોગ કર્યો. બ્રાહ્મણવાદ અને રાક્ષસવાદ વચ્ચેનો આ સંઘર્ષ તેમના વ્યક્તિત્વમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. જ્ઞાન, શક્તિ અને યુદ્ધની કળામાં પારંગત હોવા છતાં, રાવણની રાક્ષસી વૃત્તિઓએ તેને અધર્મના માર્ગે ધકેલી દીધો.
રાવણની કથાનો સાંકેતિક અર્થ શું છે? રાવણની પૌરાણિક કથામાં આપણને સમજવા મળે છે કે વ્યક્તિના કાર્યો અને નિર્ણયો તેના જીવનને કઈ દિશામાં લઈ જાય છે. બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોવા છતાં, રાવણના ખોટા નિર્ણયો અને શ્રાપોએ તેને રાક્ષસ બનાવી દીધો. આ વાર્તા માત્ર એક પૌરાણિક પાત્ર વિશે નથી, પરંતુ તે એ પણ શીખવે છે કે સત્તા અને અહંકારનો દુરુપયોગ કેવી રીતે વિનાશક બની શકે છે.
રાવણ વધ પહેલા શ્રીરામે કરી હતી માતા શક્તિની ઉપાસના વાલ્મીકિ પુરાણ અનુસાર, રાવણનો વધ કરતા પહેલા ભગવાન શ્રી રામે આષો પ્રતિપદા (એકમ)થી નવમી સુધી ઋષ્યમૂક પર્વત પર દેવી દુર્ગાની પૂજા કરી હતી અને ત્યારબાદ દશમના દિવસે તેઓ કિષ્કિંધાથી લંકા ગયા હતા અને રાવણનો વધ કર્યો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી રામે આધ્યાત્મિક શક્તિ મેળવવા, દુશ્મનોને હરાવવા અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ કરીને માતા દુર્ગા પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત, લંકા પર વિજયનો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવે છે.
આયુર્વેદ, તંત્ર અને જ્યોતિષના જાણકાર રાવણ પોતાના યુગના પ્રકાંડ પંડિત જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક પણ હતા. આયુર્વેદ, તંત્ર અને જ્યોતિષનાં ક્ષેત્રમાં તેનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. ઇન્દ્રજાળ જેવી અથર્વવેદમુલક વિદ્યાનું રાવણે જ અનુસંધાન કરેલું. તેમની પાસે સુષેણ જેવા વૈદ્ય હતા, જે દેશ-વિદેશમાં મળી આવતી જીવનરક્ષક ઔષધિઓની જાણકારી, સ્થાન, ગુણધર્મ વગેરે જાણતા હતા.
ઘણાં શાસ્ત્રોનો રચયિતા રાવણે તાંડવ સ્તોત્ર, અંક પ્રકાશ, ઇન્દ્રજાળ, કુમારતંત્ર, પ્રાકૃત કામધેનુ, પ્રાકૃત લંકેશ્વર, ઋગ્વેદ ભાષ્ય, રાવણિયમ, નાડી પરીક્ષા વગેરે પુસ્તકોની રચના કરી હતી. પૌરાણિક ગ્રંથોમાં વર્ણન પણ છે કે રાવણને ઘણી ભાષાઓનું જ્ઞાન પણ હતું.
બ્રહ્મહત્યાનું પાપ ધોવા શ્રીરામે શિવલિંગની સ્થાપના કરી રામેશ્વરમ્ જયોતિર્લિંગ અંગેની કથા ભગવાન શ્રીરામ સાથે સંકળાયેલી છે. સીતાજીનું અપહરણ કરીને લંકા લઈ ગયેલા રાવણ સાથે યુદ્ધ કરવા ભગવાન શ્રીરામ પોતાની સાથે વાનરોની મોટી સેના લઈને રામેશ્વરમ્ પાસેના ધનુષ્યકોડીથી પથ્થરોનો પુલ બનાવીને લંકા ગયા હતા. લંકામાં શ્રીરામ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થયુ. યુદ્ધમાં વિજયી થઈને સીતાજીને લઈને ભગવાન શ્રીરામ અયોધ્યા જવા માટે નીકળ્યા અને રામેશ્વરમાં રોકાયા. રાવણ બ્રાહ્મણ હતો અને આથી બ્રહ્મહત્યાનું પાપ પોતાને લાગ્યું છે તેમ વિચારીને ભગવાન શ્રીરામે આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવા શિવજીની ઉપાસના કરવાનો સંકલ્પ કર્યો.
શિવજીની ઉપાસના માટે શ્રીરામે શિવલિંગની નિશ્ચિત સમયે સ્થાપના કરવાનું નક્કી કર્યું. શ્રીરામે પવનપુત્ર હનુમાનને શિવજીના નિવાસસ્થાન કૈલાસપર્વત પર શિવલિંગ લેવા મોકલ્યા. સ્થાપનાના નિર્ધારિત સમય સુધી હનુમાનજી પહોંચી શક્યા નહિ. આથી સીતાજીએ સમુદ્રની રેતીમાંથી શિવલિંગ બનાવ્યું અને નિશ્ચિત સમયે શિવપૂજાનો આરંભ કરવામાં આવ્યો. બીજી તરફ પૂજાવિધિની સમાપ્તિના સમયે હનુમાનજી શિવલિંગ સાથે આવી પહોંચ્યા અને રેતીના શિવલિંગને જોઈને નિરાશ થઈ ગયા. પોતાના પરમ ભક્ત હનુમાનજીના ગુસ્સાને શાંત કરવા ભગવાન શ્રીરામે હનુમાનજીએ લાવેલા શિવલિંગને રેતીના શિવલિંગની બાજુમાં પ્રસ્થાપિત કરવાનો અને પ્રથમ પૂજા હનુમાનજીના શિવલિંગની જ કરવાનો આદેશ આપ્યો.
હવે આગળ જાણો ભારતમાં જ આવેલાં રાવણનાં 6 મંદિર વિશે… અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપતા વિજયાદશમી પર્વ પર જ્યાં એક બાજુ ભગવાન શ્રીરામની પૂજા કરવામાં આવે છે, ત્યાં જ દેશમાં થોડા લોકો રાવણને પોતાના આરાધ્ય દેવ માનીને તેમની પૂજા-અર્ચના પણ કરે છે. બ્રાહ્મણ કુળમાં જન્મેલા રાવણને ઘણાં લોકો પોતાના પૂજનીય માને છે અને તેની સેવા કરે છે. અનેક જગ્યાએ રાવણનાં પૂતળાંને બાળવા પર પ્રતિબંધ છે. રાવણ ભગવાન શિવજીનો પરમભક્ત, વિદ્વાન અને પરાક્રમી યોદ્ધા હતો, રાવણના આ જ ગુણોને કારણે તેના ભક્તોએ ભારતમાં તેનાં ઘણાં મંદિર બનાવ્યાં છે. ચાલો… આજે આ લેખમાં અમે તમને જણાવીએ ભારતમાં આવેલાં રાવણનાં 6 મંદિર વિશે.
રાવણનું 150 વર્ષથી વધુ જૂનું મંદિર ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ શહેર કાનપુરમાં રાવણનું 150 વર્ષ જૂનું એક ખૂબ જ પ્રસિદ્ધ દશાનન મંદિર છે, જે માત્ર દશેરાના દિવસે જ તેની પૂજા માટે ખોલવામાં આવે છે. વિજયાદશમીના દિવસે સ્થાનિક લોકો રાવણને શણગારે છે અને પૂજા કરે છે અને રાવણદહન પહેલાં આ મંદિર બંધ કરી દેવામાં આવે છે. વર્ષમાં એકવાર ખૂલતા મંદિરમાં રાવણની પૂજામાં તરોળનાં ફૂલ ચઢાવવાની પરંપરા છે. કાનપુરના શિવાલા વિસ્તારના દશાનન મંદિરમાં શક્તિના પ્રતીક સ્વરૂપમાં રાવણની પૂજા થાય છે તથા શ્રદ્ધાળુ તેલનાં દીવાં પ્રગટાવીને રાવણ પાસે પોતાની મન્નતો પૂર્ણ કરવાની પ્રાર્થના કરે છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ 1890 કરવામાં આવ્યું હતું. પરંપરા મુજબ, દશેરા પર સવારે મંદિરના દરવાજા ખોલવામાં આવે છે. પછી રાવણની પ્રતિમાનો શ્રૃંગાર કરવામાં આવે છે, ત્યાર પછી તેમની આરતી કરવામાં આવે છે. દશેરા પર રાવણનાં દર્શન માટે આ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે અને સાંજે મંદિરના દરવાજા ફરી એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે.
જોધપુરમાં રાવણના મૃત્યુનો શોક કેમ મનાય છે? હિંદુ માન્યતા અનુસાર, લંકાપતિ રાવણના લગ્ન રાજસ્થાનના જોધપુર જિલ્લાના મંડોરમાં મંદોદરી સાથે થયા હતા. એવું માનવામાં આવે છે કે શ્રીમાળી સમુદાયના ગોડા ગોત્રના લોકો પણ અહીં રાવણના લગ્નની જાનમાં આવ્યા હતા અને ક્યારેય પાછા ફર્યા નથી. એવું માનવામાં આવે છે કે અહીં રહેતા શ્રીમાળી સમુદાયના લોકો પોતાને રાવણના વંશજ માને છે અને રાવણ અને મંદોદરી બંનેની પૂજા કરે છે. આવી સ્થિતિમાં દશેરાના દિવસે આ લોકો રાવણના દહનમાં ભાગ લેવાને બદલે તેના મૃત્યુનો શોક કરે છે. જોધપુર જિલ્લાના મંદોદરી નામના ક્ષેત્રને રાવણ અને મંદોદરીના વિવાહનું સ્થળ માનવામાં આવે છે. જોધપુરમાં રાવણ અને મંદોદરીના વિવાહ સ્થળ પર આજે પણ રાવણની ચવરી નામની છત્રી જોવા મળે છે. શહેરના ચાંદપોળ ક્ષેત્રમાં રાવણનું મંદિર બનાવવામાં આવ્યું છે.
કર્ણાટક આ કારણથી રાવણની પૂજા કરે છે કર્ણાટકના માંડ્યા અને કોલારમાં રાવણને મારવામાં આવતો નથી, પરંતુ તેની પૂજા કરવામાં આવે છે, કારણ કે અહીં રહેતા લોકોનું માનવું છે કે રાવણ ભગવાન શિવનો મહાન ભક્ત હતો, તેથી તેનું દહન ન કરવું જોઈએ, પરંતુ તેની પૂજા કરવી જોઈએ. અહીં લોકો રાવણની પૂજા સંપૂર્ણ વિધિથી કરે છે. અહીં લંકેશ્વર ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આમાં રાવણની પૂજા કરવામાં આવી હતી. આ પછી રાવણની સાથે શિવની મૂર્તિને પણ શોભાયાત્રામાં કાઢવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અહીં રાવણની પૂજા એટલા માટે કરવામાં આવે છે, કારણ કે તે શિવનો પરમ ભક્ત હતો.
મંદસૌરમાં રાવણના મૃત્યુનો શોક મધ્યપ્રદેશમાં મંદસૌર ખાતે રાવણની પૂજા કરવામાં આવે છે. મંદસૌરનું જૂનુ નામ દશપુર હતું. અહીં રાવણની પત્ની મંદોદરીનું માવતર હતું. તેથી આ સ્થળનું નામ મંદસૌર પડ્યુ. મંદસૌર રાવણનું સાસરું હોવાના કારણે અહીં રાવણનું દહન નથી કરવામાં આવતું, પણ પૂજા કરવામાં આવે છે. આ રાવણનું મધ્યપ્રદેશમાં પહેલું મંદિર છે. મંદસૌર નગરના ખાનપુરા ક્ષેત્રમાં રાવણ રૂંડી નામના સ્થાન પર રાવણની વિશાળ મૂર્તિ છે. કથાઓ મુજબ, રાવણ દશપુર (મંદસૌર)ના જમાઈ હતા. રાવણની ધર્મપત્ની મંદોદરી મંદસૌરની જ નિવાસી હતી. મંદોદરીના કારણે જ દશપુરનું નામ મંદસૌર માનવામાં આવે છે.
મહારાષ્ટ્રનો આદિવાસી સમુદાય રાવણને પોતાનો દેવતા માને છે મહારાષ્ટ્રના આદિવાસી બહુલ મેલઘાટ (અમરાવતી જિલ્લો) અને ધરોરા (ગઢચિરૌલી જિલ્લો)નાં થોડાં ગામડાંઓમાં રાવણ અને તેના પુત્ર મેઘનાદની પૂજા કરવામાં આવે છે. આ પરંપરા વિશેષ રીતે કોર્કુ અને ગોંડ આદિવાસીઓમાં પ્રચલિત છે, જે રાવણને વિદ્ધાન વ્યક્તિ માને છે અને પીઢાઓથી રાવણની પૂજા કરવાની આ પરંપરાનું પાલન કરી રહ્યા છે. દર વર્ષે હોળીના સમયે આ સમુદાય રાવણુ પુત્ર મેઘનાદની પૂજા કરે છે.
અહીં રાવણે પોતાના નવ માથા અર્પણ કરેલાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં શિવનગરીના નામથી પ્રખ્યાત બૈજનાથ વિસ્તાર છે. અહીંના લોકો રાવણના પૂતળાને બાળવું મહાપાપ માને છે. અહીં રાવણની પૂર્ણ શ્રદ્ધા સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. બૈજનાથમાં બિનવા બ્રિજ પાસે રાવણનું મંદિર છે, જેમાં શિવલિંગની નજીક એક વિશાળ પગનું નિશાન છે એવું માનવામાં આવે છે કે રાવણે આ સ્થાન પર એક પગ પર ઊભા રહીને શિવની તપસ્યા કરી મોક્ષનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. આ પછી શિવ મંદિરના પૂર્વ દરવાજામાં ખોદકામ દરમિયાન એક હવન કુંડ પણ મળી આવ્યો હતો. આ કુંડમાં રાવણે હવન કર્યો હતો અને તેનાં નવ માથાં અર્પણ કર્યાં હતાં.