અમદાવાદ,શુક્રવાર,11 ઓકટોબર,2024
દશેરા પર્વને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિ.ના ફુડ વિભાગે અલગ
અલગ હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી. આશ્રમરોડ ઉપર આવેલી ઓશવાલ હોટલના
રસોડામાં ગંદકીના થર જામેલા હતા. ઉપરાંત અસહય દુર્ગંઘ મારતી હોવાથી શુક્રવારે
હોટલના રસોડાને ટેમ્પરરી સીલ કરાયા બાદ રુપિયા વીસ હજારની પેનલ્ટી લઈ રસોડાનુ સીલ
ખોલી અપાયુ હતુ.
મ્યુનિ.ફુડ વિભાગે ફાફડા અને જલેબી ઉપરાંત ચોળાફળીનુ વેચાણ
કરતા અનેક વિક્રેતાઓ અને હોટલ,રેસ્ટોરન્ટમાં
કરેલી તપાસ દરમિયાન ઓશવાલ હોટલના રસોડામાં ઘણી બધી જગ્યાએ ગંદકી જોવા મળી
હતી.રસોડામાં ફાફડા,જલેબી
ઉપરાંત શાકભાજી સહિતની ખાદ્યચીજો બનાવવામા આવતી હતી.મ્યુનિ.ના એડીશનલ મેડીકલ ઓફિસર
ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોષીના કહેવા મુજબ,હોટલ
સંચાલકોએ રસોડાની સફાઈ કરાવતા રુપિયા વીસ હજારની પેનલ્ટી લઈ રસોડાનુ સીલ ખોલી
અપાયુ હતુ.સિંધુ ભવન રોડ ઉપર આવેલા ડોસબ્રોસ ખાતે
ઓર્ડર કરવામાં આવેલા ભોજનમાંથી પથ્થર નીકળવાની ફરિયાદ મ્યુનિ.ફુડ વિભાગને
કરવામાં આવી હતી.જે સામે માત્ર રુપિયા દસ હજાર પેનલ્ટી કરી સંતોષ માનવામાં આવ્યો
હતો.