નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હમીરજી ગોહિલ સર્કલથી રામ મંદિર સુધીની વિકાસ પદયાત્રા યોજાઈ હતી. જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયાં
.
ઢોલ-નગારાના ગગન ગજાવતા નાદ અને શરણાઈના કર્ણપ્રિય સુરો રેલાવતી આ પદયાત્રા હમીરજી ગોહિલ સર્કલથી શરૂ કરી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી ડોંગરેજી મહારાજ સ્થાપિત અન્નક્ષેત્ર, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન, સમુદ્ર દર્શન પથથી રામ મંદિર સુધી પહોંચી હતી.
આ પદયાત્રામાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ કલેક્ટર-1 ભૂમિકા વાટલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરૂણ રોય, જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા, જિલ્લા રમત અધિકારી કાનજી ભાલિયા સહિત શાળા-કોલેજના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.