અમદાવાદના લાલદરવાજા ખાતે આવેલી એલ. સી. મહેતા કોલેજમાં બીએ સેમેસ્ટર 5ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમાજશાસ્ત્રની આંતરિક પરીક્ષા હતી. જે પરીક્ષામાં પ્રોફેસરે 6 વર્ષ જૂના અભ્યાસક્રમમાંથી પેપર કાઢ્યું હતુ, જેને લઇને વિદ્યાર્થીઓએ કોલેજમાં હોબાળો કર્યો છે.
.
સમાજશાસ્ત્રનું છ વર્ષ જૂનું પેપર કાઢ્યું લાલદરવાજામાં આવેલ સિટી કેમ્પસમાં એલ. સી. મહેતા કોલેજમાં કોલેજની આંતરિક પરીક્ષા ચાલી રહી હતી. જેમાં સમાજશાસ્ત્ર વિષયનું 36 નંબરનું પેપર હતું, પરંતુ તે વિષયના પ્રોફેસર નરેન્દ્ર પટેલે છ વર્ષ જુના કોર્સનું પેપર કાઢ્યું હતું. સેમેસ્ટર 5ના વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા માટે બેઠા ત્યારે તેમણે જે અભ્યાસ કર્યો હતો તેનાથી પેપર તદ્દન અલગ હતું, જેને લઇને વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો.
વિદ્યાર્થી સંગઠનનો કોલેજમાં હોબાળો વિદ્યાર્થીઓએ અને NSUI સાથે મળીને આ અંગે આજે કોલેજમાં હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપલને આ અંગે રજૂઆત કરી હતી. પ્રોફેસર નરેન્દ્ર પટેલ વિરુદ્ધમાં પ્રિન્સિપાલને ફરિયાદ પણ કરી હતી. જેમાં પ્રોફેસર નિયમિત ન આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જોકે, પ્રિન્સિપાલે પણ આ અંગે પ્રોફેસરની શરતચૂકથી ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું.
પ્રોફેસર અમને ભણાવવા આવતા નથી: વિદ્યાર્થી સહિલખાન પઠાણ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, જૂના કોર્ષનું આખું પેપર પૂછવામાં આવ્યું હતું. પ્રોફેસર નરેન્દ્ર પટેલ 3.25 લાખ પગાર લે છે. પ્રોફેસર અમને ભણાવવા આવતા નથી. અમને જૂના કોર્સનું પેપર પૂછીને દબાણ કરવામાં છે અને કેવી રીતે જૂના કોર્ષનું પેપર લખી શકીએ.
બેદરકારી બદલ પ્રોફેસર સામે પગલાં લેવા જોઈએઃ NSUI NSUIના નેતા આસિફ પવારે જણાવ્યું હતું કે, પ્રોફેસરે પેપર કાઢ્યું છે, પરંતુ પેપર જૂનું છે તો લખવું કેવી રીતે. વિદ્યાર્થીઓના હિતમાં કોલેજ પરીક્ષા ફરીથી લેવી જોઈએ. બેદરકારી બદલ કોલેજે પ્રોફેસર સામે પગલાં લેવા જોઈએ.
અમે પ્રોફેસર પાસેથી ખુલાસો માંગ્યો છેઃ પ્રિન્સીપાલ કોલેજના પ્રિન્સીપાલ બાબુલાલ પંચાલે જણાવ્યું હતું કે, પેપર જૂનું પૂછ્યું હતું, જે પ્રોફેસરની શરતચૂકથી થયું હતું. અમે ખુલાસો માંગ્યો છે. વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી નવું પેપર પણ આપવામાં આવ્યું છે. કોઈને કોઈ તકલીફ નથી અને વિદ્યાર્થીઓને સંતોષ છે.