રાજકોટનાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ શહેર કોંગ્રેસ લોકોની વચ્ચે રહેવા માટે સતત પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત વધુ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ‘મેં હું ના’ અભિયાન હેઠળ કોંગ્રેસનાં શહેર પ્રમુખ લોકોની ફરિયાદ સાંભળશે. તેમજ સરકારી કચેરીઓમાં
.
ભાજપનાં શાસનમાં અધિકારીઓ બેફામ બન્યા સમગ્ર મામલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, હાલ ભાજપના શાસનમાં અધિકારીઓ બેફામ બન્યા છે. આ કારણે કલેક્ટર કચેરી, સિવિલ હોસ્પિટલ, શહેર પોલીસ ડિપાર્ટમેન્ટ, મહાનગરપાલિકા, બહુમાળી ભવન ઉપરાંત મામલતદાર કચેરીનાં કામો માટે પ્રજાજનોને ધક્કાઓ થતા હોય છે. અને વ્યાજબી અને જે કામો સરકારી કચેરી દ્વારા કરવાના થતા હોય છે તે સમય મર્યાદામાં કરવામાં આવતા નથી. અને લોકો તુમારશાહીનો ભોગ બનતા હોવાનું સામે આવી રહ્યું છે.
કોંગ્રેસ દ્વારા નવતર અભિગમ અપનાવ્યો લોકોને વિવિધ સરકારી કચેરીઓમાં પોતાના કામ કરવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે હવે કોંગ્રેસ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં કોઈપણ સરકારી કચેરીમાં લાંચિયા અને ભ્રષ્ટ અધિકારી લાંચ માંગતા હોય કે કોઈપણ કારણસર ફાઈલો ક્લિયર કરવામાં ઠાગાથૈયા કરવામાં આવતા હોય તો રાજકોટ શહેર કોંગ્રેસ લોકોની મદદ કરશે. અને લોકોને ખોટી રીતે હેરાન કરતા હોય તેવા અધિકારીઓને કાયદાનો પાઠ ભણાવવા પ્રયાસ કરવામાં આવશે. જરૂર પડ્યે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી લોકોના અટકતા કામ કરવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે.
લોકોની ફરિયાદ સાંભળશે કોંગ્રેસ દ્વારા છેલ્લા એકાદ સપ્તાહથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે લોકો રૂબરૂ આવીને કાર્યાલયનાં સમય દરમિયાન તેમની રજૂઆતો કરી રહ્યા છે. પોતે નિયમિત સવારે 10 થી 1 અને સાંજે 4 થી 7 હાજર રહી લોકોની ફરિયાદ સાંભળે છે. તેમજ કાર્યાલયના નંબર 9426443511, 9426229396 અથવા બે નકલમાં પોસ્ટમાં કોંગ્રેસ કાર્યાલયે ફરિયાદ મોકલી શકાય છે. અને સરકારી તંત્ર સામેની આ ફરિયાદનો ઉકેલ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં અંદાજે 15થી 20 જેટલા પ્રશ્નો આવ્યા છે. જે પૈકી 10 પ્રશ્નો સોલ્વ કર્યા છે. અને બાકીના એક-બે દિવસમાં ઉકેલાઈ જશે.
ભાજપ પ્રમુખે પણ દરરોજ લોકોને મળતા હોવાનો દાવો કર્યો રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો ભાજપના મેયર નયનાબેન પેઢડીયા અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે ઓફિસમાં હાજર હોય ત્યારે કોઈપણ ફરિયાદના નિકાલ માટે લોકોને મળતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પણ પોતે ભાજપના કાર્યાલય ખાતે લોકોની ફરિયાદ સાંભળતા હોવાનું અને મનપા કમિશનર દેવાંગ દેસાઈએ દર સોમવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી લોકોની આવી ફરિયાદ સાંભળતા હોવાનું દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવતર પહેલને કેવી અને કેટલી સફળતા મળશે તે જોવું રહ્યું.