27 મિનિટ પેહલા
- કૉપી લિંક
સિનવારના મોતની આ તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે.
ઈઝરાયલે હમાસ ચીફ યાહ્યા સિનવારને મારી નાખ્યો છે. ઇઝરાયલની મીડિયા ચેનલ 12એ સેનાના વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે સિનવારનું મોત થયું છે.
બુધવારે મધ્ય ગાઝામાં ઇઝરાયલી હુમલામાં હમાસના ત્રણ સભ્ય માર્યા ગયા હતા. તેમાંથી એક યાહ્યા સિનવાર હોવાના અહેવાલ છે.
ઈઝરાયલની સેનાએ પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેને એક ઈમારતમાં હમાસના ત્રણ લડવૈયાની માહિતી મળી હતી. આ પછી રૂટિન ઓપરેશનમાં તેના પર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી.
માર્યા ગયેલા લોકોના મૃતદેહ જોયા તો એમાંથી એક યાહ્યા સિનવારનો હતો. તેના મૃત્યુની તપાસ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સિનવારના મૃતદેહના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
આ પહેલાં પણ ઈઝરાયલે સિનવારને મારવાના અનેક પ્રયાસો કર્યા હતા, જોકે તેને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. તેના મૃત્યુ અંગે અગાઉ પણ દાવા કરવામાં આવ્યા હતા. 23 સપ્ટેમ્બરે પણ સિનવારના મોતનો દાવો કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર લોકો મૃતદેહના દાંત અને તેની ઘડિયાળની તુલના કરીને દાવો કરી રહ્યા છે કે હત્યા કરાયેલી વ્યક્તિ સિનવાર છે.
હમાસના ટોચના નેતૃત્વમાં માત્ર સિનવાર જ બાકી હતો ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર થયેલા હુમલામાં ત્રણ મહત્ત્વનાં પાત્રો હતાં. એમાં રાજકીય વડા ઇસ્માઇલ હનીયેહ, લશ્કરી વડા મોહમ્મદ દૈફ ઉપરાંત ગાઝામાં હમાસ નેતા યાહ્યા સિનવારનો સમાવેશ થાય છે. 31 જુલાઈએ ઈરાનમાં હનીયેહના મૃત્યુ પછી સિનવાર સંસ્થાનો નવા વડા બન્યો.
દરમિયાન હમાસના સૈન્ય વડા મોહમ્મદ દૈફ 13 જુલાઈના રોજ હવાઈહુમલામાં માર્યો ગયો હતો, જેની પુષ્ટિ 1 ઓગસ્ટના રોજ થઈ હતી. આવી સ્થિતિમાં હમાસના ટોચના નેતૃત્વમાં હવે માત્ર સિનવાર જ બચ્યો હતો, તેથી ઇઝરાયલનું સમગ્ર ધ્યાન સિનવારને શોધવા અને તેને મારી નાખવા પર હતું.
શરણાર્થી શિબિરમાં જન્મેલો સિનવાર 22 વર્ષ સુધી જેલમાં રહ્યો નવા હમાસ ચીફનું પૂરું નામ યાહ્યા ઈબ્રાહિમ હસન સિનવાર છે. તેનો જન્મ ગાઝાપટ્ટીના દક્ષિણ વિસ્તારમાં ખાન યુનિસ શરણાર્થી શિબિરમાં થયો હતો. યાહ્યાનાં માતા-પિતા અશ્કેલોનનાં હતાં. 1948માં જ્યારે ઈઝરાયલની સ્થાપના થઈ અને હજારો પેલેસ્ટાઈનીઓને તેમના પૂર્વજોનાં ઘરોમાંથી હાંકી કાઢવામાં આવ્યા ત્યારે યાહ્યાનાં માતા-પિતા પણ શરણાર્થી બની ગયાં.
સિનવારની 1989માં બે ઈઝરાયલી સૈનિક અને ચાર પેલેસ્ટાઈનના અપહરણ તથા હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે યાહ્યા 19 વર્ષનો હતો. કેસ ચાલ્યો. બાદમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
જોકે 2011માં ઇઝરાયલી સૈનિક ગિલાડ શાલિતના બદલામાં 1,000થી વધુ કેદીઓની અદલાબદલી દરમિયાન સિનવારને પણ મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યાં સુધીમાં સિનવાર લગભગ 22 વર્ષ જેલમાં વિતાવી ચૂક્યો હતો.
ગાઝામાં યાહ્યા સિનવાર સાથે ઇસ્માઇલ હનીયેહ. તસવીર 2017ની છે.
ખાન યુનિસના કસાઈને સિનવાર કહેવામાં આવે છે સિનવાર ક્રૂર હત્યા કરવા માટે જાણીતો છે. બીબીસીના અહેવાલ મુજબ સિનવારે ઈઝરાયલ માટે જાસૂસીની શંકામાં એક વ્યક્તિને તેના ભાઈના હાથે જીવતો દાટી દીધો હતો.
નવાઈની વાત તો એ છે કે દફન કરવાનું કામ પાવડાથી નહીં, પણ ચમચી વડે કરવામાં આવ્યું હતું. આવી ક્રૂરતાને કારણે સિનવારને ખાન યુનિસનો કસાઈ પણ કહેવામાં આવે છે. સિનવારની નજીકના લોકો પણ તેનાથી ડરે છે. કહેવાય છે કે સિનવારની વાત ટાળી રહ્યા છો તો તમે તમારા જીવનને દાવ પર લગાવી રહ્યા છો.
2015માં સિનવારે હમાસ કમાન્ડર મહમૂદ ઈશ્તિવીને ટોર્ચર કરીને મારી નાખ્યો હતો. ઈષ્ટીવી પર સમલૈંગિકતા અને પૈસાની ઉચાપતનો આરોપ હતો. સિનવાર લોકોને નિયંત્રિત કરવામાં નિષ્ણાત છે. જોકે તેને બહુ સારા વક્તા માનવામાં આવતો નથી.
2014માં તેને ‘મૃત’ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા સમય પછી તે અફવા સાબિત થઈ હતી. 2015માં યાહ્યાને અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો હતો. સિનવાર ઈરાનની નજીક માનવામાં આવે છે.