સ્પોર્ટ્સ ડેસ્ક2 મિનિટ પેહલા
- કૉપી લિંક
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. ટીમની પહેલી મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાઈ હતી, જેનું પરિણામ પાંચમા દિવસે એટલે કે આજે જાહેર થયું હતું. ટીમ ઈન્ડિયા આ મેચ 8 વિકેટે હારી ગઈ હતી. આ જીત સાથે કિવી ટીમે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
36 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડની ભારતીય ધરતી પર આ પ્રથમ ટેસ્ટ જીત છે અને એકંદરે ત્રીજી છે. કિવી ટીમે આ પહેલાં 1988માં ભારતીય ધરતી પર ટેસ્ટ મેચ જીતી હતી. આ બેંગલુરુ ટેસ્ટમાં ભારતીય ટીમે એવી 5 મોટી ભૂલો કરી છે, જેના કારણે તે મેચ હારી ગઈ છે. ચાલો તેના વિશે જાણીએ…
પિચને સમજવામાં થાપ ખાઈ ગયો મેચમાં ટૉસ સમયે જ પહેલી ભૂલ થઈ હતી. આ ભૂલ કેપ્ટન રોહિત શર્માએ કરી હતી, જેની સજા ટીમને ભોગવવી પડી હતી. બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ કેપ્ટને આ ભૂલ માટે ચાહકોની માફી પણ માગી હતી. રોહિત શર્માએ કહ્યું કે તેણે પિચને સમજવામાં મોટી ભૂલ કરી છે. તે પિચને બરાબર સમજી શક્યો નહતો.
આ કારણે જ તેણે ટૉસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો. ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 92 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પહેલીવાર ઘરઆંગણે સૌથી લોએસ્ટ સ્કોર પર ટીમ ઓલઆઉટ થઈ હતી.
રોહિતે કહ્યું, ‘અમને લાગ્યું કે પિચ પર વધારે ઘાસ નથી. અમે વિચાર્યું કે મેચના પહેલા સેશનમાં અહીં જે પણ થવાનું છે તે થશે. આ પછી, જેમ જેમ રમત આગળ વધે છે, તે (પિચ) તેની દિશા બદલશે. જ્યારે પણ આપણે ભારતમાં રમીએ છીએ ત્યારે પ્રથમ સત્ર હંમેશા મહત્વપૂર્ણ હોય છે. આ પછી વિકેટ (પિચ) જામી જાય છે અને સ્પિનરોને અહીં મદદ મળવા લાગે છે.
તેણે વધુમાં કહ્યું, ‘જેમ કે મેં કહ્યું, અહીં (પિચ) વધારે ઘાસ નહોતું, તેથી અમે વિચાર્યું કે કુલદીપ (સ્પિનર કુલદીપ યાદવ)ને મેચમાં સામેલ કરવો જોઈએ. આ એટલા માટે પણ છે કારણ કે કુલદીપ ફ્લેટ પિચ પર બોલિંગ કરી રહ્યો છે અને વિકેટ પણ લઈ રહ્યો છે.
કુલદીપને રમાડવાનો દાવ ખોટો સાબિત થયો ટૉસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિતે બીજી મોટી ભૂલ કરી. ખોટી પિચ રીડિંગને કારણે તેણે ત્રીજા એટલે કે વધારાના સ્પિનર કુલદીપ યાદવને પ્લેઇંગ-11માં સામેલ કર્યો. જ્યારે આ પિચ પર માત્ર બે સ્પિનરો જ પૂરતા હતા. આ પીચ પર ત્રણ ઝડપી બોલરોને મેદાનમાં ઉતારવાના હતા, પરંતુ તેણે માત્ર બે જ ફાસ્ટ બોલર્સને લીધા હતા.
કુલદીપે પહેલી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઈનિંગમાં તેને કોઈ સફળતા મળી ન હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડ માટે માત્ર ફાસ્ટ બોલરોએ જ બેન્ને ઇનિંગ્સમાં મળીને કુલ 17 વિકેટ ઝડપી હતી. આ રીતે સમજી શકાય છે કે ભારતીય ટીમને મેચમાં ઝડપી બોલરની ખોટ લાગી હતી.
બેટિંગ કરતી વખતે ભૂલ કરી કેપ્ટન રોહિતની બે ભૂલો બાદ ભારતીય બેટર્સે ક્રિઝ પર મક્કમ રહીને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની જરૂર હતી. તેમણે અહીં થોડી સારી બેટિંગ કરીને ભારતીય ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ જવાની હતી. પરંતુ આવું ન થયું. એક પછી એક ભારતીય બેટર્સ આવતા-જતા રહ્યા. આખી ટીમ પહેલી ઇનિંગમાં 46 રનમાં ખખડી ગઈ હતી.
પાંચ ખેલાડીઓ પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા, જેમાં વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ થાય છે. જો આ બેટર્સ 10-10 રન પણ બનાવ્યા હોત તો ભારતીય ટીમ 100નો આંકડો પાર કરી શકી હોત. આ સિવાય રિષભ પંત (20) અને યશસ્વી જયસ્વાલ (13) સિવાય અન્ય કોઈ બેટર 5 રન પણ બનાવી શક્યો નહોતો. બધા તેની બહાર હતા. આ જ કારણ છે કે પહેલી ઇનિંગમાં 46 રનનો લોએસ્ટ સ્કોર બન્યો હતો, જેણે ભારતીય ટીમને ડૂબાડી દીધી હતી.
બોલિંગમાં પણ જાદુ દેખાયો નહીં શરૂઆતની 3 ભૂલો બાદ ચાહકોને આશા હતી કે જે રીતે ન્યૂઝીલેન્ડના બોલરોએ પોતાની તાકાત બતાવી હતી, ભારતીય બોલરો પણ એ જ તાકાત બતાવશે. આ સાથે કિવી ટીમ ઓછા સ્કોર સુધી સીમિત થઈ જશે. પરંતુ અહીં પણ બોલરોએ ચાહકોને નિરાશ કર્યા. કિવી ટીમને કોઈ બોલર રોકવામાં સફળ થઈ શક્યો ન હતો અને ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ દાવમાં 402 રન બનાવીને મેચ પર જકડો કસ્યો હતો.
ખરાબ ફિલ્ડિંગે તકો છીનવી બેટર્સ અને બોલર્સ વચ્ચેની ફિલ્ડિંગમાં પણ ભારતીય ખેલાડીઓએ નાવને ડૂબવામાં કોઈ કસર છોડી ન હતી. પ્રથમ દાવમાં કેએલ રાહુલે એટલો આસાન કેચ છોડ્યો કે ચાહકો પણ તેને જોઈને ચોંકી ગયા હતા. આ કેચ સ્લિપમાં આવ્યો હતો. કેચ લેવાનું છોડી દો, કેએલ રાહુલે પ્રયાસ પણ કર્યો ન હતો. હકીકતમાં, રાહુલ બોલથી પોતાને બચાવવા માટે દૂર પણ ખસી ગયો હતો. પહેલી અને બીજી બંને ઇનિંગ્સમાં ભારતીય ફિલ્ડરોએ બાયમાં કેટલાક વધારાના રન પણ આપ્યા હતા. જો આ કેચ લેવામાં આવ્યો હોત અને રન બચાવવામાં આવ્યા હોત તો ઘણું દબાણ સર્જાઈ શક્યું હોત.
ભારતીય ટીમે મેચની પહેલી ઇનિંગમાં 46 રન બનાવ્યા હતા. આ પછી કિવી ટીમે 402 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમે બીજી ઇનિંગમાં સારી બેટિંગ કરી અને 462 રન બનાવ્યા. જેના કારણે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કિવી ટીમે માત્ર 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.
રચિન-સાઉધીની ગજબની પાર્ટનરશિપે ભારતીયોને હેરાન કર્યા કોનવે સિવાય ચોથા નંબર પર રચિન રવીન્દ્ર (157 બોલમાં 134 રન)એ ભારતીય ટીમને મુશ્કેલી આપી હતી. રચિને ડેરીલ મિચેલ (18) સાથે ચોથી વિકેટ માટે 39 રન જોડ્યા હતા. આ પછી, રચિનને થોડા સમય માટે બીજી બાજુથી સારો સપોર્ટ મળ્યો ન હતો. જોકે, જ્યારે ટિમ સાઉધી (65 રન) રચિનને સપોર્ટ કરવા આવ્યો ત્યારે ખતરનાક ભાગીદારી થઈ હતી. બંનેએ આઠમી વિકેટ માટે 137 રનની ભાગીદારી કરી હતી. બંનેની પાર્ટનરશિપના કારણે ન્યૂઝીલેન્ડે પહેલી ઇનિંગમાં 402 રન બનાવ્યા હતા. જો ભારત આ પાર્ટનરશિપે વહેલી તકે તોડી શક્યું હોત તો ન્યૂઝીલેન્ડ 300થી નીચેમાં ઓલઆઉટ થઈ ગયું હોત. રચિન આઉટ થનાર છેલ્લો ખેલાડી હતો. તેણે પોતાની ઇનિંગમાં 13 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.
રાહુલ, જાડેજા, અશ્વિન બીજી ઇનિંગમાં ચાલ્યા નહીં સરફરાઝ ખાન (150), રિષભ પંત (99) અને વિરાટ કોહલી (70)ની શાનદાર બેટિંગના કારણે ભારતે બીજી ઇનિંગમાં 462 રન બનાવ્યા હતા. જોકે, કેએલ રાહુલ (12), ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (5) અને આર અશ્વિન (15) નીચલા ક્રમમાં આઉટ થયા હતા. જો ત્રણેય બેટથી યોગદાન આપ્યું હોત તો ભારત મોટો સ્કોર કરી શક્યું હોત. ભારતે બીજી ઇનિંગમાં માત્ર 54 રનમાં છેલ્લી 7 વિકેટ ગુમાવી દીધી હતી. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ ઝીરો પર પરત ફર્યા હતા.