મોરબી જિલ્લાના 10માંથી ચાર ડેમ સતત ઓવરફ્લો થઇ રહ્યા હોઇ તેના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે તો બીજી તરફ શહેરની અમુક સોસાયટીમાં તંત્રના વાંકે લોકોને તરસ્યા રહેવું પડી રહ્યું હોઇ, અકળાયેલા રહીશો કચેરીએ દોડી ગયા હતા અને પાણી આપવા રજૂઆત કરી હત
.
મોરબીમાં 2025નું આખું વર્ષ ચાલે તેટલું પાણી આ વખતે મેઘરાજાએ જળાશયોમાં ઠાલવી દીધું છે. આસો માસ ચાલી રહ્યો છે અને સત્તાવાર ચોમાસાની વિદાય થઇ ગઇ હોવા છતાં હજુ પણ મેઘો અનરાધાર વરસી જ રહ્યો છે. ખાસ તો મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ -2 ડેમ જન્માષ્ટમીમાં જ ઓવરફ્લો થયો હોય બાદમાં આગામી દિવાળી નજીક આવતી હોય ત્યારે પણ મેઘરાજાએ આસોમાં અષાઢી માહોલ સર્જી દીધો એમ નોનસ્ટોપ વરસાદ ચાલુ રહેતા મચ્છુ 2 ડેમમાંથી હજુ પણ પાણી છોડવું પડી રહ્યું છે તો બીજી તરફ શહેરમાં પાણીની કુત્રિમ અછત ઉભી થઇ છે. જેમાં મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની પાસે આવેલી નીલકંઠ સોસાયટીની મહિલાઓ અને પુરૂષોનું ટોળું રોજે રોજની પાણીની હાડમારીથી કંટાળીને રજૂઆત કરવા મોરબી પાલિકાએ દોડી ગયું હતું અને નગરપાલિકા સમક્ષ દસ દિવસથી પાણી ન આવતું હોવાનો કકળાટ ઠાલવ્યો હતો.
લોકોએ કહ્યું હતું કે, પાણી ડેમમાં ભરપુર હોવા છતાં કોના પાપે અમે તરસ્યા રહીએ છીએ ? જાણી જોઈને પાણી આપતું ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.છ વર્ષથી અસ્તિત્વમાં આવેલી આ સોસાયટીના પૂરેપૂરા વેરા ભરવા છતાં પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઈટની કોઈ સુવિધા અપાતી નથી. છતે પાણીએ લોકોને તરસ્યા રાખનારા તંત્ર સામે આક્રોશ ઠાલવવા ટોળું પાલિકા કચેરીએ દોડી ગયું હતું. { તસવીર: રવિ બરાસરા આ તકે લોકોએ નગરપાલિકા વેરો લઈને કામ ન કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
તેમજ અનેક રજુઆત કરવા છતાં પાણી, લાઈટ, સફાઈના પ્રશ્નો ઠેરના ઠેર રહેતા આજે નગરપાલિકાએ મોરચો માંડવો પડ્યો છે.નગરપાલિકા દ્વારા જે તે વખતે ભૂતિયા નળ કનેક્શનો ચેક કરીને ગેરકાયદે ન હોય તેવા કનેકશનો પણ કાપી નાખ્યા હતા. આથી સ્થાનિકોએ રજૂઆત કરી છતાં દાદ ન દેતા સ્થાનિક લોકોએ સ્વખર્ચે કનેકશનો લઈ લીધા હતા. પણ હવે પ્રેશરથી પાણી છોડાતું જ નથી. જેના કારણે લોકો પાણીથી વંચિત રહી જાય છે. જો કે લોક રોષ પારખીને નગરપાલિકાના ચીફ ઓફિસરે આ પ્રશ્ન હાલ તુરંત હલ કરવાની ખાતરી આપતા હાલના તબક્કે મામલો થાળે પડ્યો હતો.