અમદાવાદ,સોમવાર,21 ઓકટોબર,2024
વેજલપુર વોર્ડમાં શ્રીનંદનગર અને મકરબા આસપાસના વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ
માટે બનાવવામાં આવેલુ વોટર પમ્પિંગ સ્ટેશન યોગ્ય રીતે કામ કરતુ નહીં હોવાની વિગત
સામે આવી છે.રુપિયા ૩૯ કરોડના ખર્ચથી વેજલપુરમાં આવેલા બુટભવાની મંદિરથી સાબરમતી
નદી સુધી સ્ટ્રોમ વોટર ડ્રેઈન નાંખવા પાણી સમિતિએ મંજુરી આપી છે.માણેકબાગ અને
શ્રેયસ બ્રિજ પાસે વરસાદી પાણીનો નિકાલ નહીં થતા નવી લાઈન નાંખવા ૧૮૦.૧૭ કરોડનો
ખર્ચ કરાશે.
સોમવારે મળેલી પાણી સમિતિની બેઠકમાં બે વિવાદાસ્પદ નિર્ણય લેવામાં
આવ્યા હતા.વેજલપુરમાં શ્રીનંદનગર વિસ્તાર અને મકરબા આસપાસના વિસ્તારોમાં ભરાતા વરસાદી
પાણીના કારણે સ્થાનિકો પહેલેથી ત્રાહીમામ પોકારી ગયા છે.અગાઉ આ જગ્યાએ સ્ટ્રોમ વોટર
ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી હતી.હવે વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યુ છે.પરંતુ
હવે આ વોટર પમ્પિંગ સ્ટેશન યોગ્ય રીતે કામ કરતુ નહીં હોવાની વિગત સામે આવતા કરોડો રુપિયાનો
કરવામાં આવેલો ખર્ચ માથે પડયો છે.વેજલપુરમાં બુટભવાની મંદિર આજુબાજુ,સોનલ સિનેમા રોડ,મકરબા પોલીસ હેડ કવાટર્સ
વિસ્તારમાં વર્ષોથી ભરાતા વરસાદી પાણીના નિકાલ
માટે મકરબા પોલીસ હેડકવાટર્સથી સરખેજ ઓકાફ થઈ ફતેવાડી કેનાલ ક્રોસ કરી સાબરમતી નદી
સુધી રુપિયા ૩૯.૨૭ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાનો નિર્ણય કરાયો હોવાનુ
પાણી સમિતિના ચેરમેન દીલીપ બગરીયાએ કહયુ છે.ઉપરાંત માણેકબાગ અને શ્રેયસ બ્રિજ પાસે
અગાઉ સ્ટ્રોમ વોટર લાઈન નાંખી અને મલાવ તળાવમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા
કરવામાં આવી હતી.હવે આ જગ્યા ઉપર વરસાદી પાણીનો નિકાલ થતો નહીં હોવાથી નવી લાઈન નાંખી
અને વાસણા બેરેજ સુધી પહોંચાડવા માટે રુપિયા ૧૮૦.૧૭ કરોડનો ખર્ચ કરવામાં આવશે.