2 મિનિટ પેહલા
- કૉપી લિંક
સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે. ત્રણ દિવસ પહેલા ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક્ટર માટે ધમકીભર્યો મેસેજ આવ્યો હતો, જેમાં 5 કરોડ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી. હવે ઘમકી આપનાર જ ડરી ગયો હોય તેવું લાગે છે અને તેને ભૂલ સ્વીકારતા કહ્યું કે, મેસેજ ભૂલથી થઈ ગયો હતો. તેને પોતાની ઓળખ લોરેન્સ ગેંગના સભ્ય તરીકેની આપી હતી.
સલમાન ખાનને મેસેજ પર ધમકી મળી હતી 18 ઓક્ટોબરે મુંબઈ ટ્રાફિક પોલીસને વોટ્સએપ પર એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં સલમાન પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. તેમાં ઘમકી આપવામાં આવી હતી કે જો અભિનેતા પૈસા નહીં ચૂકવે તો તેની હાલત NCP નેતા બાબા સિદ્દીકી karta પણ ખરાબ કરવામાં આવશે.
મેસેજમાં લખ્યું હતું, ‘આને હળવાશથી ન લેશો. જો સલમાન ખાને જીવિત રહેવું હોય અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવા 5 કરોડ રૂપિયા આપી દે. જો પૈસા નહીં આપે તો સલમાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે. પોલીસના જણાવ્યા મુજબ, આ વ્યક્તિએ પોતાને લોરેન્સ ગેંગનો નજીકનો સહયોગી ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તે ખાન અને ગેંગસ્ટર વચ્ચે સોદો કરી શકે છે.
‘સિકંદર’નું શૂટિંગ મોકૂફ બીજી તરફ, બિશ્નોઈ ગેંગની ધમકીઓને કારણે સલમાનનું કામ પણ પ્રભાવિત થઈ રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર જાણકારી મળી રહી છે કે સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિંકદર’ નું શૂટિંગ સુરક્ષાના કારણોસર સ્થગિત કરવામાં આવ્યું છે. ઉપરાંત, થોડા સમય માટે કંઈ નવું શૂટ કરવાના નથી, હાલ કેટલા સમય માટે શૂટિંગ મોકૂફ રહેશે હજુ સુધી તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી.
થોડા દિવસો પહેલા જ સમાચાર આવ્યા હતા કે અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેન’માં સુપરસ્ટાર સલમાન ખાન પણ તેના સુપરકોપ અવતારમાં જોવા મળશે. અહેવાલો અનુસાર સલમાન ખાન ‘સિંઘમ અગેન’માં ચુલબુલ પાંડેના રોલમાં કેમિયો આપવાના હતા. પરંતુ હવે પ્લાન બદલાઈ ગયો છે.
‘સિંઘમ’ અને ‘ચુલબુલ પાંડે’ સાથે જોવા મળશે નહીં! બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, ‘સિંઘમ અગેન’ માટે સલમાનનો કેમિયો 14 ઓક્ટોબરે શૂટ થવાનો હતો. પરંતુ 12 ઓક્ટોબરે તેના સારા મિત્ર રાજકારણી બાબા સિદ્દીકીની હત્યા થઈ ગઈ હતી. ત્યારબાદ ‘સિંઘમ અગેઈન’ના મેકર્સે સલમાનનો કેમિયો રદ કરી દીધો હતો.
સલમાનનું એક દિવસનું શૂટિંગ ગોલ્ડન ટોબેકો, મુંબઈ મેનન ખાતે થવાનું હતું. પરંતુ બાબા સિદ્દીકીની હત્યા બાદ શૂટ રદ કરવામાં આવ્યું હતું. રોહિત અને અજયે ઇન્ટરનલી ચર્ચા કરી અને તેમને લાગ્યું કે, આ સમગ્ર વિવાદ વચ્ચે સલમાનને કેમિયો માટે રિકવેસ્ટ કરવી તે યોગ્ય નથી.
6 મહિનામાં 2 કેસ, જે બાદ સલમાનની સુરક્ષા વધારવામાં આવી
12 ઓક્ટોબરઃ સલમાનના નજીકના બાબા સિદ્દીકીની હત્યા સલમાન ખાનના નજીકના સહયોગી અને NCP નેતા બાબા સિદ્દીકી તેમના પુત્ર જીશાનની ઓફિસમાંથી બહાર આવ્યા હતા. ત્યારે તેમના પર 6 ગોળીઓ ચલાવવામાં આવી હતી. બે ગોળી સિદ્દીકીના પેટમાં અને એક છાતીમાં વાગી હતી. તેમને તરત જ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં રાત્રે 11.27 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. લોરેન્સ બિશ્નોઇએ આ હુમલાની જવાબદારી લીધી હતી.
14 એપ્રિલ: સલમાનના એપાર્ટમેન્ટમાં ફાયરિંગ સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. આ હુમલાની જવાબદારી લોરેન્સ ગ્રુપે લીધી હતી. ઘટનાના બે મહિના બાદ સલમાને મુંબઈ પોલીસને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘હું વારંવાર અલગ-અલગ લોકો દ્વારા નિશાન બનવાથી કંટાળી ગયો છું. અગાઉ પણ અનેક વખત ધમકીઓ મળી છે.
આ પહેલાં સલમાનને કેટલી વાર ધમકી મળી?
જાન્યુઆરી 2024: બે અજાણ્યા લોકોએ ફેન્સિંગ વાયર તોડીને સલમાન ખાનના ફાર્મ હાઉસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. પોલીસના હાથે ઝડપાઈ જતાં બંનેએ પોતાને સલમાનના ફેન ગણાવ્યા હતા. તેમની પાસેથી નકલી આધારકાર્ડ મળી આવ્યા હતા. આ કારણે બંને વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી હતી. એપ્રિલ 2023: એક 16 વર્ષીય સગીરે મુંબઈ પોલીસને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે તેની અટકાયત કરી હતી. તેણે મુંબઈ પોલીસને તેનું નામ રોકી ભાઈ હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તે જોધપુરનો રહેવાસી છે અને 30 એપ્રિલ 2023ના રોજ સલમાનને મારી નાખશે. માર્ચ 2023: જોધપુરના રહેવાસી ધાકદ્રમે સલમાનના ઓફિશિયલ મેઈલ પર 3 ઈ-મેલ મોકલ્યા હતા. તેમાં લખ્યું હતું કે સલમાન ખાન હવે તારો નંબર છે, જોધપુર આવતા જ તમને સિદ્ધુ મૂઝવાલાની જેમ મારી નાખવામાં આવશે. જૂન 2022: સલમાનના પિતા સલીમ ખાન મોર્નિંગ વોક કરીને ઘરે પરત ફર્યા ત્યારે તેમને એક અજાણ્યો પત્ર મળ્યો જેમાં તેમને અને સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં લખ્યું હતું – ‘સલમાન ખાન તમારી હાલત મૂસેવાલા જેવી થશે.’ આ પછી સલીમ ખાને પોતાના સુરક્ષાકર્મીઓની મદદથી પોલીસનો સંપર્ક કર્યો અને આ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો. સલમાન સાથે લોરેન્સની દુશ્મનીનું કારણ
સલમાન પર 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન રાજસ્થાનના જંગલોમાં કાળા હરણનો શિકાર કરવાનો આરોપ છે. સલમાન ઉપરાંત સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ કોઠારી પણ આરોપી હતાં. ત્યારે બિશ્નોઈ સમુદાયે પણ સલમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ માટે જોધપુર કોર્ટે સલમાનને પાંચ વર્ષની જેલની સજા પણ સંભળાવી હતી, જોકે બાદમાં તેમને આ કેસમાં જામીન મળી ગયા હતા. આ કારણે ગેંગસ્ટર લોરેન્સ સલમાન ખાનને મારવા માગે છે. દિલ્હી અને મુંબઈ પોલીસે સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરવાની યોજના ઘડવા બદલ લોરેન્સના ઘણા સાગરીતોની ધરપકડ કરી છે. પરંતુ હજુ પણ લોરેન્સ તેના ગેંગસ્ટરોને કામે લગાડી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ મુંબઈમાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.