દેવભૂમિ દ્વારકા જિલ્લાની જામખંભાળિયા નગરપાલિકાએ વીજળી બિલ ભરવા માટે લોન લેવી પડી! આ સાંભળીને ભલે થોડી નવાઇ લાગે પણ તે કડવી હકીકત છે. નગરપાલિકા પાસે વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઇટના વીજ બિલના 84 લાખ રૂપિયા ભરવા માટેના પૈસા નહોતા એટલે નગરપાલિકાએ 1 કરોડ રૂ
.
તળિયાઝાટક તિજોરીની આ સમસ્યા ફક્ત જામખંભાળિયા નગરપાલિકા પૂરતી જ સિમિત નથી. દિવ્ય ભાસ્કરને મળેલી એક્સક્લૂસિવ માહિતી મુજબ રાજ્યની 125 નગરપાલિકા એવી છે જેને વીજળી બિલ ભરવાના પણ ફાંફાં છે. આ નગરપાલિકાઓ પાસેથી 915 કરોડથી વધુની રકમ વસૂલ કરવાની બાકી છે.
સામાન્ય લોકોના મનમાં એવો પ્રશ્ન ઉઠે કે અમે બિલ ન ભરીએ તો અમારૂં વીજ કનેક્શન તરત જ કપાઇ જાય છે તો પછી આવી નગરપાલિકા સામે કડક કાર્યવાહી કેમ નથી થતી? અમારા ટેક્સના પૈસા ક્યાં જાય છે? આવા સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે જેનું સૌથી વધુ વીજ બિલ બાકી છે તેવી નગરપાલિકાના સત્તાધીશોનો સંપર્ક કર્યો હતો અને એ જાણવાની કોશિષ કરી કે ખરેખર નગરપાલિકા કેમ દેવાળું ફૂંકવાના આરે પહોંચી જાય છે.
ગુજરાતની 12 નગરપાલિકા એવી છે જેનું 10 કરોડ રૂપિયાથી વધુનું વીજ બિલ ચુકવવાનું બાકી છે.
રાજ્યની 24 એવી નગરપાલિકા છે જેનું વીજળી બિલની રકમ 5 કરોડથી વધુ છે અને તે ચુકવવાની બાકી છે.
દિવ્ય ભાસ્કરે ખંભાળિયા અને ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે લોકો ટેક્સ નથી ભરતા એટલે નગરપાલિકાને આવક નથી થતી. જેના કારણે બિલ ભરવાના બાકી રહે છે.
‘લોનનો ચેક આવશે એટલે બિલ ભરી દઇશું’ ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુરે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, નગરપાલિકાનું વીજ બિલ 1 કરોડ રૂપિયા જેટલું બાકી છે પણ લોન મંજૂર થઈ ગઈ છે. ચેક આવશે એટલે બિલ ભરી દઇશું. સ્વભંડોળના અભાવના કારણે વીજ બિલ બાકી રહે છે. વેરાની ઓછી વસૂલાત અને વેરો ભરવા માટે લોકોમાં જાગૃતિ નથી એટલે ભંડોળનો અભાવ રહે છે. સૌથી વધુ આવક મિલકત વેરાની થાય છે, મહેકમ વિભાગમાં સૌથી વધુ ખર્ચ થાય છે.
વીજ બિલ ભરવા માટે ખંભાળિયા નગરપાલિકાએ 1 કરોડ રૂપિયાની લોન લીધી
‘લોકો ટેક્સ નથી આપતા એટલે બિલ નથી ભરાતા’ ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દીપસિંહ હઠીલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, 25 લાખ રૂપિયા જેટલું વીજ બિલ બાકી છે. લોકો ટેક્સ નથી આપતા એટલ બિલ ભરી નથી શકતા. જો ટેક્સ પૂરતો આવે તો આજે જ બિલ ભરી દઇએ. ટેક્સના અભાવના કારણે વીજ બિલ નથી ભરાતું. નગરપાલિકાને સૌથી વધુ આવક મિલકત વેરાની થાય છે. સૌથી વધુ ખર્ચ પગાર પાછળ થતો હોય છે.
ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે લોકો ટેક્સ નથી આપતા એટલે બિલ નથી ભરાતા
વલ્લભીપુર નગરપાલિકાને 5 લાખની આવક, 15 લાખનો ખર્ચ વલ્લભીપુર નગરપાલિકામાંથી મળતી માહિતી મુજબ નગરપાલિકાને મહિને સરેરાશ 5 લાખની આવક સામે 15 લાખનો ખર્ચ છે. 92 લાખના બિલ ચુકવવાના બાકી છે. નગરપાલિકાને વેરા સિવાયની કોઈ ખાસ આવક હોતી નથી. વસૂલાતની કમગીરી ખૂબ નબળી હોય છે. અહીં વેરાની વસૂલાત માત્ર 9 ટકા છે. 100 ટકા સામે 9 ટકા નો રેશિયો છે. 100 રૂપિયાના ખર્ચ સામે માત્ર 9 રૂપિયાની આવક હોય તો બે છેડા ભેગા થાય નહીં, કર્મચારીઓનો પગાર પણ ચુકવવાનો બાકી છે. ભૂતકાળમાં ગ્રાન્ટમાંથી પણ પગાર ચૂકવવાના કિસ્સા બન્યા છે. હાલની પરિસ્થિતિમાં આ બિલ કોઈ રીતે ભરાઈ શકે તેવી શક્યતા નથી. નગરપાલિકાને મુખ્યત્વે લાઈટ બિલ, ડીઝલ બિલ અને મહેકમનો ખર્ચ વધુ હોય છે. જ્યારે આવક મિલકત વેરાની હોય છે. પાલિકાની માલિકીની 2થી 4 દુકાનો છે જેનું ભાડું આવે છે. વેરા વસૂલાત માટે સિસ્ટેમેટિક વ્યવસ્થા ગોઠવવી જોઇએ. સ્થાનિક ચૂંટાયેલા રાજકારણીઓને સ્થાનિક ક્ષેત્રે વસૂલાત કરવી ગમે નહીં, સ્ટાફ પણ સ્થાનિક હોય છે એટલે વેરા વસૂલાતની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોય છે તેવું અંગત સૂત્રોએ જણાવ્યું હતું.
વલ્લભીપુરમાં વેરાની વસૂલાત ફક્ત 9 ટકા જ છે
દિવ્ય ભાસ્કરે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશી સાથે પણ વાતચીત કરી હતી અને તેમનો મત જાણ્યો હતો.
નગરપાલિકાના વહીવટકર્તાઓની નિષ્ફળતાઃ કોંગ્રેસ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, નગરપાલિકાના વહીટવકર્તાઓની સંપૂર્ણ નિષ્ક્રિયતા, નિષ્ફળતા અને અણઘડ વહીવટના કારણે આવા પ્રશ્ન સર્જાય છે. નગરપાલિકામાં થતી આડેધડ ભરતી, ફંડનો અભાવ સાથોસાથ મોટાપાયે થતો ભ્રષ્ટાચાર પણ આ માટે જવાબદાર છે. સત્તાસ્થાને બેઠેલા લોકો નગરપાલિકાનો વહીવટ વ્યવસ્થિત ચલાવતા નથી.
નગરપાલિકાની આવકનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે, નગરપાલિકાને રાજ્ય સરકારની ગ્રાન્ટ મળે, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તેને રકમ આપે, ટેક્સની આવક ઓછી હોય છે. ટેક્સમાં પણ પાણી વેરો, મિલકત વેરો અને સ્વચ્છતાનો વેરો ઉઘરાવતા હોય છે.
શાસક મળતિયાની ભરતી કરી દે છેઃ કોંગ્રેસ તેઓ વધુમાં જણાવે છે કે, નગરપાલિકાના જે શાસક આવે તે પોતાના મળતિયાની ભરતી કરી દે છે. ટેન્ડર સહિતના આડેધડ ખર્ચ કરે. નાણાંકીય શિસ્ત નથી હોતી. જે શાસક આવે તે પોતાની ઓફિસ રિનોવેટ કરાવે. દર અઢી-ત્રણ વર્ષે વીજ કનેક્શન કપાવાના સમાચાર આવે છે. અમે 16મા નાણાંપંચને પણ રજૂઆત કરી છે.
નગરોમાં મચ્છર, ગટર અને ગંદકીનો ત્રાસઃ કોંગ્રેસ તેમણે કહ્યું કે, મોટાભાગના નગરોમાં મચ્છર, ખુલ્લી ગટરો એ મોટામાં મોટો ત્રાસ છે. નગરોમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળે છે. નાના ટાઉનમાં યોજના આધારિત વન ટાઇમ ગ્રાન્ટ આપવી જોઇએ જેથી કરીને મોટા સિટીમાં સ્થળાંતર ન થાય.