અમદાવાદ,બુધવાર,23 ઓકટોબર,2024
અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી પકડાયેલા પાલતુ અને રખડતા
કૂતરાંની ઓળખ પ્રસ્થાપિત કરવા મ્યુનિસિપલ તંત્ર રેડીયો ફ્રીકવન્સી આઈડેન્ટીફીકેશન
ડેટા ટેગ અને ચીપ લગાવશે. આર.એફ.આઈ.ડી.ટેગ અને વિઝયુલ ઈયર ટેગ લગાવવા રુપિયા ૧.૮૦
કરોડની મર્યાદામાં બે વર્ષ માટે મે.બીઝ ઓરબીટ ટેકનોલોજી નામની સંસ્થાને કામગીરી
અપાશે.રખડતા પશુઓ બાદ હવે શહેરમાં રાખવામાં આવતા પાલતુ કૂતરાનું રજિસ્ટ્રેશન કરી
તેના માલિક સાથે ઓળખ આપવામાં આવશે.
અમદાવાદમાં એક અંદાજ મુજબ બે લાખ જેટલી કૂતરાંની વસ્તી
છે.પોલીસ કમિશનરના જાહેરનામાનો અમલ કરાવવા શહેરમાં પાલતુ તેમજ રખડતા કૂતરાંને તેનુ
ખસીકરણ કરવામાં આવ્યા બાદ તેની ઓળખ ઉભી કરવા આર.એફ.આઈ.ડી.ચીપ તેમજ વિઝયુલ ઈયર ટેગ
લગાવવા મંજુરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામાં આવી છે.એક સર્વે
મુજબ, અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નવા વિસ્તારો જેવા કે અસલાલી,બોપલ,ઘુમા ઉપરાંત ખોડીયાર,કઠવાડા,
નાના ચિલોડા,વિસલપુર
સહિતના વિસ્તારોમાં ૨૫ હજારથી વધુ પશુઓ છે.મ્યુનિ.ના સી.એન.સી.ડી.વિભાગના વડા નરેશ
રાજપૂતે કહયુ, વિભાગ
તરફથી વાર્ષિક ૧૩ હજાર જેટલા પશુ પકડવામાં આવે છે.જેને આર.એફ.આઈ.ડી.ચીપ અને ટેગ
લગાવવામાં આવે છે.પશુ ત્રાસ અટકાવ પોલીસી તથા એબીસી ડોગ રુલ્સ-૨૦૨૩ મુજબ રખડતા
કૂતરાંની સાથે પાલતુ કૂતરાંને આર.એફ.આઈ.ડી.ચીપ લગાવવાની સાથે કૂતરાંના માલિક તથા
કૂતરાંનુ રજિસ્ટ્રેશન કરી ઓળખ આપવામાં આવશે.
કૂતરાં દીઠ માઈક્રોચીપ લગાવવા રુપિયા ૨૮૫નો ભાવ અપાયો
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રખડતા કૂતરાંને પકડી તેનુ
ખસીકરણ કરવામાં આવે છે.હવે રખડતા અને પાલતુ કૂતરાંની ઓળખ ઉભી કરવા
આર.એફ.આઈ.ડી.માઈક્રો ચીપ લગાવવા કૂતરાં દીઠ રુપિયા ૨૮૫ વિઝયુઅલ ઈયર ટેગ લગાવવા
કૂતરાં દીઠ રુપિયા ૩૦નો ભાવ એજન્સી તરફથી આપવામાં આવ્યો છે.