28 ઓક્ટોબરે ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આવી રહેલા વડાપ્રધાનને સારું બતાવવા માટે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીમાંથી 7 હજાર ટન કચરો કાઢવાનો, 15 હજાર ખાડા પૂરવાનો અને 3 હજાર ટ્રક માટીથી 87 ભૂવા પૂરવામાં આવ્યા હોવાનો મ્
.
વિશ્વામિત્રી નદીમાંથી 7 હજાર મેટ્રિક ટન કચરો કાઢવા અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી સફાઈની આ કામગીરી પ્રિ-મોન્સૂન કામગીરીથી પૂર આવ્યા બાદ કરવામાં આવી ત્યાર સુધીની છે. સમામાં નવી નગરી, ભરવાડવાસ, અગોરા મોલ પાસે મંગલ પાંડે બ્રિજ, રાત્રિ બજાર, કારેલીબાગ, વુડા ઓફિસ પાસે કચરા એકત્રિતકરણ કેન્દ્ર, નરહરિ બ્રિજ અને કાલા ઘોડા બ્રિજથી યવતેશ્વર વચ્ચે, ભીમનાથ બ્રિજની બંને બાજુ અને ફાસ્ટ ટ્રેક કોર્ટ બાજુ, અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે, અકોટા સ્મશાન અને રેલવે બ્રિજ વચ્ચે, મુજ મહુડા બ્રિજ અને અટલાદરા સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે, અટલાદરા માંજલપુર બ્રિજ અને વડસર બ્રિજ પાસે કરવામાં આવી છે. મોટા યંત્રો સહિત 50 જેટલા ડમ્પરોની મદદથી સફાઈ અને અન્ય કર્મયોગીઓના યોગદાનથી કુલ 7070 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આથી વડોદરા શહેરના વિશ્વામિત્રીના વહન વિસ્તારમાં નદીની જળ વહન ક્ષમતા અંદાજે 850 ક્યુમેક્સ છે. જેની સામે તાજેતરના પૂરમાં 1400 ક્યુમેકસ જળ જથ્થો વહ્યો હતો.
15326 ખાડાઓને પેચવર્ક કરી પૂરવામાં આવ્યાનો દાવો દિલીપ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીના ભયાનક પૂરના માર્ગો ઉપર પડેલા ખાડા પૂરવાનું કામ યુદ્ધના ધોરણે કરવામા આવ્યું હતું. જેમાં માર્ગો ઉપર પડેલા 15326 ખાડાઓને પેચવર્ક કરી પૂરવામાં આવ્યા છે. શહેરમાં મહાપાલિકા હસ્તક કુલ 1837 કિલોમીટરના માર્ગો છે. જેમાં 18 મીટર કે તેનાથી વધુ પહોળાઈ ધરાવતા 742 માર્ગો, તેનાથી ઓછી પહોળાઈ ધરાવતા 1095 રસ્તાઓ છે. ભારે વરસાદ અને તે બાદ આવેલા પૂરથી માર્ગોને નુકસાન થયું હતું. જો કે, આ કામગીરી પણ પ્રિ-મોન્સૂનથી પૂર આવ્યા બાદ કરવામાં આવેલી કામગીરી સુધીની છે.
આ રસ્તાઓ રિપેર કર્યાનો દાવો તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ, બાપોદ, સવાદ, વારસિયા રિંગ રોડ, ફતેપુરા, હરણી સહિતના વિસ્તારો, પશ્ચિમમાં ભાયલી, ગોરવા, ગોત્રી, વાસણા, તાંદલજા, બિલ, સેવાસી, ઉંડેરા સહિતના વિસ્તારો, ઉત્તરમાં દેણા, સમા, વેમાલી, નિઝામપુરા, પ્રતાપગંજ, છાણી અને દક્ષિણમાં માંજલપુર, મકરપુરા, તરસાલી, ધનિયાવી, વડદલા, વડસર અને કપુરાઇ સહિત લગભગ તમામ અસર પામેલા વિસ્તારોમાં રસ્તાઓને સુધારીને વાહન-વ્યવહારને યોગ્ય એટલે કે, મોટરેબલ કરવામાં આવ્યા છે. જેમાં પેવર બ્લોક, વેટ મિક્સ અને હોટ મિક્સ મટિરિયલ પાથરવા સહિત જરૂરી કામો કરવામાં આવ્યા છે.
પૂર બાદ શહેરમાં 88 ભૂવા પડ્યા હતા શહેરમાં પડેલા ભૂવા અંગે દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં આવેલા પૂર બાદ 88 ભૂવા પડ્યા હતા. આ પૈકી 84 ભૂવાને વડોદરા મહાપાલિકા દ્વારા રિપેર કરવામાં આવ્યા છે. 84 ભૂવાને પૂરવા માટે મહાપાલિકા દ્વારા અંદાજે 3 હજાર ડમ્પરના ફેરા કરી 30 હજાર ઘન મીટર જેટલી માટી નાખવામાં આવી છે.
રોડના ઠેકાણાં નથી. અનેક માર્ગો ઉપર ખાડા ઉલ્લેખનીય છે કે, દિલીપ રાણા દ્વારા વિશ્વામિત્રી નદીમાંથી 7 હજાર મેટ્રિક ટન કચરો કાઢવાની, શહેરમાં 15 હજાર ખાડા પૂરવાનો અને 3 હજાર ટ્રેક્ટર માટીથી ભૂવા પુરાવાની માહિતી સત્તાવાર યાદી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જો કે, આજે પણ વિશ્વામિત્રી નદીના પટમાં કચરો અને ઝાડી-ઝાંખરા જોવા મળી રહ્યા છે. પૂર્વ વિસ્તાર સહિત શહેરના તમામ ચાર ઝોનના વિસ્તારોમાં ખાડા પડેલા છે. રોડના ઠેકાણાં નથી. અનેક માર્ગો ઉપર ખાડા છે. રસ્તાઓ ખખડધજ છે અને ભૂવા પૂરવા માટે વાપરવામાં આવેલી 3 હજાર ટ્રેક્ટર માટી શંકા ઉપજાવી રહી છે.
માત્ર ને માત્ર શહેરીજનોને દિવસે તારા બતાવવા જેવી વાત આ અંગે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીમાંથી 7 હજાર ટન કચરો કાઢવો, શહેરના માર્ગો ઉપર 15 હજાર ખાડા પૂરવાની અને માર્ગો ઉપર પડેલા ભૂવા પૂરવાની કામગીરીના જે આંકડા આપવામાં આવ્યા છે તે માત્ર ને માત્ર શહેરીજનોને દિવસે તારા બતાવવા જેવી વાત છે. પાલિકા મારી સાથે આવે વિશ્વામિત્રી નદીની સફાઇ કેવી થઇ છે અને રસ્તાઓ ઉપર કેટલા ખાડા પૂરાયા છે? કેટલા માર્ગો ઉપર પેચવર્ક કરવામાં આવ્યું છે? કોર્પોરેશન દ્વારા જે દાવા મુજબ કામગીરી કરવામાં આવી હોત તો મુખ્યમંત્રીને ટોણો મારવાની ફરજ પડી ન હોત. જો કે, પાલિકા દ્વારા મુખ્ય માર્ગો ઉપર રસ્તાની કરવામાં આવેલી કામગીરી દેખાય છે. પરંતુ, આંતરિક રસ્તાઓની હાલત આજે પણ ખરાબ છે.