અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામ નજીક પ્રેમસંબંધમાં પ્રેમીના મિત્રની 2 દીવસ પહેલા હત્યા થતા ચકચાર મચી ગઇ હતી. જેમાં આરોપીઓને ઝડપીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
.
રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામ નજીક બનેલી મારામારીની ઘટનામાં મૃતક મનુભાઈ ઉર્ફે મામયો ભોપાભાઈ મકવાણની હત્યા થઈ હતી. જેના મિત્ર નાગ દડુભાઈ વણઝરને આરોપી એકતાબેન હમીરભાઈ લાખણોત્રા સાથે પ્રેમસબંધ હોવાથી એકતાબેન, કનુ બાબુભાઇ લાખણોત્રા, નાગ વાસુરભાઈ વાઘ અને અન્ય 5 અજાણ્યા આરોપીઓએ પૂર્વ કાવતરું રચી આરોપી એકતાબેનને પોતાના પ્રેમી નાગ દડુભાઈ વણઝરને જૂની બારપટોળી બોલાવતા તેમની સાથે મિત્ર મનુભાઈ સાથે મોટરસાઇકલ લઈ આવતા રસ્તામાં પ્રેમિકા એકતાબેનને વચ્ચે મળવા આવતા આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરું મંડળી રચી મારામારી કરતાં પ્રેમી નાગભાઈ દડુભાઈ વણઝર જીવ બચાવવા ભાગી જતા બચી ગયો હતો, જોકે, મનુભાઈ મકવાણાને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમને મહુવા બાદ ભાવનગર હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમ્યાન મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો.
હત્યા મામલે અમરેલી જિલ્લા પોલીસ વડાએ રાજુલા પોલીસને ભેદ ઉકેલવા સૂચના આપતા રાજુલા પી.આઈ.વી.એમ.કોલાદ્રા સહિત પોલીસ દ્વારા આરોપીને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી પ્રેમિકા એકતાબેન સહિત 6 આરોપીને પોલીસે ઝડપી પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આરોપી રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.
આ અંગે અમરેલી ડી.વાય.એસ.પી.અશોક સિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, ટોટલ 7 ઈસમો સામે ગુન્હો નોંધ્યો હતો, જે પેકી 6 આરોપીને ઝડપી લીધા છે અને રાજુલા પોલીસએ આગળની કાર્યવાહી હાથધરી તપાસ શરૂ કરી છે.